ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહને અલવિદા

Wednesday 23rd June 2021 08:37 EDT
 

ભારતના મહાન દોડવીર અને પદ્મશ્રી મિલ્ખા સિંહે ૯૧ વર્ષની વયે એક મહિના સુધી કોરોના સામે જંગ ખેલ્યા પછી દુનિયાને અલવિદા કરી દીધી છે. ભારત અને વિશ્વ માટે મિલ્ખા સિંહનું નામ દોડસ્પર્ધાના વિજયનું પર્યાય બની રહ્યું હતું.
૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના વિભાજનની અંગત પીડા મિલ્ખા સિંહે અનુભવી હતી. પાકિસ્તાનના હાલ પંજાબના ગોવિન્દપૂરા ગામમાં જન્મેલા મિલ્ખા સિંહે વિભાજનના રમખાણોમાં માતા-પિતા અને ભાઈ-બહેનોનો નરસંહાર જોયો હતો. મૃતદેહો અને રક્તરંજિત ટ્રેનમાં તેઓ ભારત આવ્યા હતા. તેમણે ૧૯૫૧માં ભારતીય લશ્કરમાં જોડાઈને પોતાની દોડવીર તરીકેની પ્રતિભાને નિખાર આપ્યો હતો.
તેમનું ભાગલા સમયનું દુઃખ એટલું તીવ્ર હતું કે તેમણે ૧૯૬૦માં પાકિસ્તાનના લાહોરની દોડસ્પર્ધામાં ભાગ લેવા ઈનકાર કરી દીધો હતો. જોકે, તત્કાલીન વડા પ્રધાન નહેરુની સમજાવટ અને દેશ માટે કાંઈ કરી છૂટવાની ધગશે તેમણે અંગત દુઃખ ભુલાવી સ્પર્ધામાં ભાગ લીધો અને પાકિસ્તાનના સ્ટાર ખેલાડી અબ્દુલ ખાલિદને તેની જ ધરતી પર પરાજય આપી ભારતનો ઝંડો લહેરાવ્યો હતો. આ જ વિજયે તેમને પાકિસ્તાની સરમુખ્ત્યાર જનરલ ઐયુબ ખાનના હસ્તે ‘ફ્લાઈગ શીખ’નું બિરુદ અપાવ્યું હતું.
ચાર વખત એશિયન ગેમ્સમાં સુવર્ણપદક વિજેતા મિલ્ખાએ ૧૯૫૮માં કોમનવેલ્થ ગેમ્સમાં પણ ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. મિલ્ખા સિંહે ૧૯૫૬, ૧૯૬૦ અને ૧૯૬૪માં ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમણે ૮૦ આંતરરાષ્ટ્રીય દોડસ્પર્ધામાંથી ૭૭માં વિજય હાંસલ કર્યો પરંતુ, સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છતાં ૧૯૬૦ની રોમ ઓલમ્પિક્સનો મેડલ માત્ર ૦.૧ સેકન્ડના અંતરથી છીનવાઈ જવાના આજીવન વસવસા સાથે તેમણે વિદાય લીધી છે. મિલ્ખા સિંહને ૦.૧ સેકન્ડની કિંમત ઘણી સારી રીતે સમજાઈ હતી. સાઉથ આફ્રિકન એથ્લીટ માલ્કમ સ્પેન્સે આ દોડ ૪૫.૫ સેકન્ડ અને મિલ્ખા સિંહે ૪૫.૬ સેકન્ડમાં પૂરી કરી હતી અને તેમની આંખમાં આંસુ આવી ગયા હતા. તેમની આખરી ઈચ્છા કોઈ ભારતીય એથ્લીટ સુવર્ણપદક મેળવે તેની હતી જે તેમના જીવન દરમિયાન પૂર્ણ થઈ નહિ. વડા પ્રધાન મોદી સહિત અનેક હસ્તીઓએ મિલ્ખા સિંહને શ્રદ્ધાંજલિ આપી છે પરંતુ, અનન્ય શ્રદ્ધાંજલિ તો સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજૂની કહી શકાય જેમણે ફ્લાઈંગ શીખની આ ઈચ્છા પૂર્ણ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. મિલ્ખા સિંહ હવે રહ્યા નથી પરંતુ, તેમની દરેક ઉપલબ્ધિ ઈતિહાસમાં નોંધાયેલી રહેશે અને તેમનું જીવન અનેક પેઢીઓને પ્રેરણા આપશે. મહાન સ્પ્રિન્ટરની પ્રેરણા થકી કોઈ ભારતીય દોડવીર આ ઉપલબ્ધિ હાંસલ કરીને તેમની આખરી ઈચ્છાને પરિપૂર્ણ કરે તેવી આશા આપણે અવશ્ય રાખીએ.


comments powered by Disqus