રીયો ડી જાનેરોઃ કોરોનાના કારણે સૌથી અસરગ્રસ્ત થનારા દેશોમાં અમેરિકા અને ભારત બાદ બ્રાઝિલનું સ્થાન છે. બ્રાઝિલમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં પાંચ લાખથી પણ વધુ લોકોના મૃત્યુ થયા છે અને હજુ પણ નિષ્ણાતો આશંકા વ્યક્ત કરી રહ્યા છે.
અત્યંત ધીમે વેક્સિનેશન અને સરકારની ઢીલભરી નીતિના કારણે આ લોકોના મૃત્યુ થયા હોવાના આક્રોશ સાથે ત્યાંના રાષ્ટ્રપતિ ઝાયર બોલ્સોનારો સામે વિરોધ કરવા હજારો લોકો રસ્તા પર ઉતર્યા હતા અને સૂત્રો પોકાર્યા હતા કે આ એક પ્રકારનો નરસંહાર છે અને રાષ્ટ્રપતિ બોલ્સોનારો આ નરસંહાર માટે જવાબદાર છે.
લેટિન અમેરિકામાં કોરોનાના કારણે સૌથી વધુ મૃત્યુ બ્રાઝિલમાં નોંધાયા છે. પાંચ લાખના મૃત્યુઆંક સાથે બ્રાઝિલ અમેરિકા બાદ વિશ્વમાં બીજા સ્થાને છે. બ્રાઝિલના સ્વાસ્થય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં ૧,૭૮,૮૩,૭૫૦ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને પાંચ લાખ લોકોનાં મૃત્યુ થયા છે.