બે એશિયનો અર્થતંત્રને પાટે ચડાવશે?

Wednesday 30th June 2021 06:25 EDT
 

બ્રિટનના રાજકારણમાં થોડી હલચલ થવા સાથે મેટ હેનકોકે હેલ્થ સેક્રેટરીપદેથી રાજીનામું આપવાની ફરજ પડી છે. એમ કહી શકાય કે એક ચુંબને તેમનું રાજકીય ભાવિ હાલ પૂરતું ડામાડોળ બનાવી દીધું છે. રાજનેતાઓ હંમેશા ‘પરોપદેશે પાંડિત્યમ’નું જીવન જીવે છે. દેશના લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું સતત પાલન કરવાની સુફિયાણી સલાહ આપનારા હેનકોકના દંભનો પડદો ચીરાઈ ગયો તે સારું જ થયું છે. અગાઉ પણ જ્હોન્સનના પૂર્વ સલાહકાર કમિંગ્સ વિશે આવો હોબાળો મચ્યો હતો પરંતુ, કોરોના મહામારી શિખર પર હોવાથી તેમાં વધારે દબાણ સર્જાયું ન હતું. હવે લોકો લોકડાઉનથી કંટાળ્યા છે ત્યારે આચાર અને વિચાર વચ્ચેનો ફરક કે દંભ સહન ના કરે તે સ્વાભાવિક છે.
બોરિસ સરકાર વેક્સિનેશન અને લોકડાઉન પાછું ખેંચવાના એજન્ડા પર અંકુશ મેળવવા સંઘર્ષ કરી રહી છે ત્યારે સાજિદ જાવિદનું પુનરાગમન ૧૯ જુલાઈના આઝાદી દિન મુદ્દે સ્પષ્ટતા લાવ્યું છે. વડા પ્રધાન સિવાય લોકોને લોકડાઉન અને સોશિયલ ડિસ્ટન્સિંગ નિયમોનું પાલન કરવા ખોંખારીને જણાવી શકે તેવા કોઈ વજનદાર નેતાની ખોટ અત્યાર સુધી સાલતી હતી તે હવે પુરાઈ જશે.
યુકેમાં હવે બે વિચારધારાઓ વચ્ચે ગજગ્રાહ વધવાની પૂરી શક્યતા છે. જાવિદે પણ અર્થતંત્રનું સુકાન સંભાળેલું છે અને રિશિ સુનાક પણ સારી રીતે સંભાળી રહ્યા છે. જાવિદ હેલ્થ સેક્રેટરી બન્યા છે ત્યારે NHSના વેતન અને સોશિયલ કેર ક્ષેત્રને નાણાકીય ફાળવણીના મુદ્દે તેઓ બંને આમનેસામને આવી જાય તેવી શક્યતા વધુ છે. એમ પણ કહેવાય છે કે રિશિ સુનાકની લોકપ્રિયતા વધી રહી છે તેને ખાળવા માટે જાવિદને લાવવામાં આવ્યા છે. ભવિષ્યમાં જ્હોન્સનનું સ્થાન હાંસલ કરવા માટે બે એશિયન- મૂળ ભારતીયો વચ્ચે જોરદાર સ્પર્ધા થઈ શકે છે.
બીજી તરફ, વિશ્વના અન્ય અગ્રણી દેશોની સરખામણીએ બ્રિટન વેલ્થ ક્રીએશનમાં પાછળ છે. એક વખત નોપોલિયન બોનાપાર્ટે બ્રિટનને ‘નેશન ઓફ શોપકીપર્સ’ તરીકે ઓળખાવ્યું હતું. આવી ‘વેપારી દેશ’ની ઓળખ દૂર કરવાની આવશ્યકતા છે. આ માટે મજબૂત અર્થનીતિની જરુર છે. સુનાક પાસે નવા વિચારો છે અને જાવિદ પાસે અનુભવનું ભાથું છે. તેઓ સાથે મળીને દેશના અર્થતંત્રને પ્રગતિના માર્ગે આગળ લઈ જઈ શકે છે.


comments powered by Disqus