સ્વચ્છ ઊર્જાક્ષેત્રે ગુજરાતી બળિયાઓની બાથ

Wednesday 30th June 2021 06:24 EDT
 

વિશ્વના પર્યાવરણને પ્રદૂષણમાંથી બચાવવાના ભગીરથ પ્રયાસોમાં ક્લીન એનર્જી- સ્વચ્છ ઊર્જાની બોલબાલા છે. ભારતમાં ક્લીન એનર્જીના ક્ષેત્રે બે ગુજરાતી માંધાતાઓ- મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી વચ્ચે ટક્કર થવાના સંકેતો દેખાઈ રહ્યા છે. એશિયાના સૌથી ધનવાન વ્યક્તિ તરીકે રિલાયન્સ ગ્રૂપના મુકેશ અંબાણી પછી બીજા ક્રમે આવેલા ગૌતમ અદાણી ૨૦૩૦ સુધીમાં વિશ્વમાં રિન્યુએબલ એનર્જીના સૌથી મોટા ઉત્પાદક બનવા ઈચ્છે છે. પરંતુ, પેટ્રોકેમિકલ્સ માંધાતા મુકેશ અંબાણીએ મેદાનમાં ઝૂકાવતા ટક્કર રસપ્રદ બનશે તેમ જણાય છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સામાન્ય સભામાં ચેરમેન અંબાણીએ આગામી ત્રણ વર્ષમાં ક્લીન એનર્જી સેક્ટરમાં ૭.૫ બિલિયન પાઉન્ડના ગંજાવર રોકાણની જાહેરાત કરીને સહુને ચોંકાવી દીધા છે. જોકે, ભારતના સૌથી ધનાઢ્ય અને શક્તિશાળી ઉદ્યોગપતિ અંબાણી માટે આટલું રોકાણ નજીવું ગણી શકાય પરંતુ, અદાણી માટે ચિંતાનો વિષય બની શકે છે. અંબાણીના 4G ટેલિકોમ સાહસની અદ્ભૂત સફળતા પછી તેમને નજરઅંદાજ કરી શકાય તેમ નથી. માત્ર પાંચ વર્ષમાં ડિજિટલ સ્ટાર્ટઅપ જિઓ ઈન્ફોકોમે ૪૨૦ મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર્સ મેળવી અન્ય સ્પર્ધકોને ક્યાંય દૂર રાખી દીધા છે અને ટુંક સમયમાં આલ્ફાબેટ ઈન્ક.ના ગૂગલ સાથે ભાગીદારીમાં વિશ્વનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરીને સૌથી વ્યાપક બજારહિસ્સો અંકે કરી લેવાની યોજના છે.
જો અંબાણી ગ્રૂપ સોલાર એનર્જી સેક્ટરમાં આવું જ ઝનૂન દર્શાવશે તો અન્ય હરીફોને નવેસરથી રણનીતિઓ વિચારવી પડશે તેમાં કોઈ શંકા નથી. અદાણી ગ્રીન એનર્જી લિમિટેડમાં ફ્રાન્સની કંપનીનો ૨૦ ટકા હિસ્સો છે અને તેના અન્ય પ્રોજેક્ટ્સમાં પણ પ્રત્યક્ષ રોકાણો છે. ગુજરાતના જ અંબાણી અને અદાણી અત્યાર સુધી અલગ અલગ ક્ષેત્રોમાં હતા. અંબાણીએ રિટેઈલ અને ટેલિકોમ જેવા કન્ઝ્યુમર્સ બિઝનેસીસ તરફ અને અદાણીએ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને યુટિલિટીઝમાં ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. હવે ક્લીન એનર્જી સેક્ટરમાં તેમની સ્પર્ધા થઈ રહી છે.
અદાણી પણ તેમના સફળ પોર્ટ બિઝનેસથી આગળ વધી તેના કેશ ફ્લોનું વૈવિધ્યીકરણ કરવા સાથે ભારતની ૧.૪ બિલિયનની વસ્તી નીચી-મધ્યમ-આવકના સ્તરેથી ઊંચી- મધ્યમ-આવકના સ્તરમાં પ્રવેશી રહી છે તેનો લાભ હાંસલ કરવા તત્પર છે. ગ્રીન એનર્જી સેક્ટરમાં જેટલા વધુ સ્પર્ધકો હશે તેનો લાભ ભારતને જ મળવાનો છે. સોલાર પેનલ્સ, બેટરીઝ, ગ્રીન હાઈડ્રોજન અને ફ્યૂલ સેલ્સ જેવી ટેકનોલોજીઓ કુદરતી સ્રોતો- સૂર્ય, પવન, પાણી અને વૃક્ષોમાંથી ઊર્જા મેળવવા કાર્યરત રહેશે. સતત ઘટી રહેલાં ઓઈલ સ્રોતોથી વિપરીત ક્લીન ઊર્જાની જરા પણ ખોટ રહેશે નહિ અને પર્યાવરણને થતું નુકસાન પણ બચાવી શકાશે.


comments powered by Disqus