શ્રાવણના પવિત્ર માસમાં અને કેનેડાના મારખમના સનાતન મંદિરના ઉદઘાટનની ૨૫મી એનિવર્સરીએ સ્વ. કૃષ્ણશંકર શાસ્ત્રીજીની કૃપાથી કેનેડાની ભૂમિ પર શ્રાવણ મહિનાના પહેલા દિવસે ૯ ઓગસ્ટને સોમવારે પ્રથમ વખત ઐતિહાસિક અને સીમાચિહ્નરૂપ કાર્યક્રમ થયો. મંદિરની સામે ભારતના લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પૂરા કદની પ્રતિમા માટે વીતેલા સપ્તાહે ભૂમિપૂજન થયું.
ભારતીય ધ્વજની પણ પૂજા કરાઈ તે પછી વિદેશમાં આપણી માતૃભૂમિ પ્રત્યે આદર અને કૃતજ્ઞતા દર્શાવવા ફરકાવવામાં આવ્યો હતો. કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા આ પ્રતિમાનું અનાવરણ ૩૧ ઓક્ટોબરને સરદાર પટેલની જન્મજયંતીએ કરાશે. આમ તો તેનું અનાવરણ ગયા વર્ષે કરાવાનું હતું. પરંતુ, કોવિડ મહામારીને લીધે તે વિલંબમાં મૂકાઈ ગયું.
આ પ્રતિમાના પ્રોજેક્ટની સંપૂર્ણ રકમ ગ્રેટર ટોરોન્ટો અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા ભારતીય/ગુજરાતી કોમ્યુનિટીના ભક્તોએ આપેલા ડોનેશનથી એકત્ર કરાઈ હતી.
થોડાં વર્ષ અગાઉ સૌ પ્રથમ ગ્લોબલ ગુજરાતી એવોર્ડ સ્વીકારવા ટોરોન્ટોની મુલાકાતે આવેલા ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલે સનાતન મંદિરમાં દેવી - દેવતાઓના દર્શન કર્યા હતા.