ઢાકાઃ મોહંમદ યુનુસના નેતૃત્વવાળી બાંગ્લાદેશની વચગાળાની સરકારના સલાહકારના રૂપમાં કામ કરનારા મહફુઝ આલમે વિજયદિવસના અવસરે ભારત પર કબજો કરવાની ધમકી આપી છે. વિજય દિવસ 16 ડિસેમ્બર 1971એ બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામમાં પાકિસ્તાની સેના પર બાંગ્લાદેશી સેનાની જીત નિમિત્તે ઊજવવામાં આવે છે. આ જ દિવસે ફેસબુક પર પોસ્ટ કરી કટ્ટર ઇસ્લામિસ્ટ મહફુઝ આલમે સૌપ્રથમ પૂર્વોત્તર ભારત અને ઉત્તરી ભારતમાં રહેનારા લોકો વચ્ચે સંસ્કૃતિના આધાર પર અસંતોષ સર્જવાનો પ્રયાસ કર્યો. બાદમાં તેણે વિવાદિત નકશો જાહેર કર્યો, જેમાં પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને અસમને બાંગ્લાદેશનો ભાગ ગણાવ્યા. જો કે વિવાદ વધ્યા બાદ તેણે પોસ્ટને ડિલીટ કરી દીધી હતી.
પૂર્વોત્તર ભારતને ભડકાવવાનો પ્રયાસ
મહફુઝ આલમે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે, પૂર્વોત્તર ભારત અને બાંગ્લાદેશમાં લોકોની સંસ્કૃતિ ધર્મને અનુલક્ષીને એકસમાન છે. બાદમાં તેણે દાવો કર્યો હતો કે, પૂર્વ પાકિસ્તાનનું નિર્માણ ઊંચી જાતિ અને હિન્દુ કટ્ટરપંથીઓના બંગાળ વિરોધી વલણના કારણે થયું છે. મહફુઝ આલમે દાવો કર્યો હતો કે, ભારતે એક નિયંત્રણ અને યહૂદી સમાજનો કાર્યક્રમ અપનાવ્યો છે. ભારતથી સાચા અર્થમાં આઝાદી મેળવવા માટે આપણે 1975 અને 2024ની ઘટનાને ફરી દોહરાવવી પડશે.

