રિયાધઃ પાકિસ્તાનની સરકાર અનેક દેશો પાસેથી ભીખ માગીને અર્થતંત્ર ચલાવી રહી છે, ત્યારે પાકિસ્તાની જનતા પણ સરકારની જેમ ભીખ માગવાની વૃત્તિના કારણે વિશ્વભરમાં ટીકાપાત્ર બની છે. તાજેતરમાં સાઉદી અરેબિયામાં ઉમરાહ અને હજના બહાને ઘૂસતા પાકિસ્તાનીઓ ભીખ માગતા હોવાનું માલૂમ પડતાં સાઉદી લાલઘૂમ થયું હતું. ગુસ્સામાં સાઉદીએ ખરીખરી સંભળાવતાં પાકિસ્તાન સરકારને આ મામલે યોગ્ય પગલાં લેવા સૂચના આપી છે.
સાઉદી અરેબિયાના ગૃહ મંત્રાલયે એક-બે નહીં કુલ 4,300 પાકિસ્તાની ભિખારીના દેશમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. પાકિસ્તાનથી ભિખારીઓ અવિરત સાઉદીમાં ઘૂસતા હોવાનું માલૂમ પડતાં સાઉદીએ હવે નવા નિયમો અમલમાં મૂક્યા છે, જેમાં યાત્રીઓએ એફિડેવિટ કરીને આપવી પડશે કે, તેઓ હજના બહાને ઘૂસીને ભીખ નહીં માગે. આ સાથે જ ગ્રૂપમાં જ પ્રવેશને મંજૂરી અપાશે, જેથી ભીખ માગીને કરોડપતિ બનવાના શોર્ટકટ પર લગામ લગાવી શકાય. આ સાથે સાઉદી અરેબિયાએ ટ્રાવેલ એજન્સીઓને પણ જવાબદાર બનવા કહ્યું છે.

