વેટિકન સિટીઃ પોપ ફ્રાન્સિસે જણાવ્યું છે કે, દુનિયામાં દરેક જગ્યાએ નફરત વધી રહી છે તેવા સમયે શ્રી નારાયણ ગુરુનો માનવ એકતાનો સમાજ સુધારણાનો સંદેશ આપણી દુનિયા માટે પ્રાસંગિક છે. આજે લોકો અને દેશો વચ્ચે અસહિષ્ણુતા તથા નફરત વધવાના કિસ્સા વધુ જોવા મળે છે. કેરળના એર્નાકુલમના અલુવામાં શ્રી નારાયણ ગુરુના સર્વધર્મ સંમેલનના શતાબ્દી સમારોહ પ્રસંગે શનિવારે વેટિકનમાં ધર્મગુરુઓ એકત્રિત થયા હતા. પોપે કહ્યું કે, દુનિયામાં અશાંતિનો જે માહોલ છે તે માટે લોકો દ્વારા પોતાના ધર્મના ઉપદેશો ન અપનાવવા મોટું કારણ છે. શ્રી નારાયણ ગુરુએ તેમના સંદેશોથી સામાજિક અને ધાર્મિક જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે જીવન સમર્પિત કરી દીધું હતું.

