અનંત અંબાણીને ગ્લોબલ હ્યુમનિટેરિયન એવોર્ડ

સંક્ષિપ્ત સમાચાર

Wednesday 10th December 2025 06:28 EST
 
 

અમેરિકન હ્યુમન સોસાયટીની ઇન્ટરનેશનલ બ્રાન્ડ ગ્લોબલ હ્યુમન સોસાયટી દ્વારા વનતારાના ફાઉન્ડર અનંતનું ગ્લોબલ હ્યુમનિટેરિયન એવોર્ડ ફોર એનિમલ વેલફેર એવોર્ડથી સન્માન કર્યું. અનંત આ એવોર્ડ લેનાર પ્રથમ સૌથી યુવાન અને પહેલા એશિયન બન્યા છે.

• રાજસ્થાનમાં સ્લીપર બસ-ટ્રક વચ્ચે અકસ્માતઃ સિકરમાં સ્લીપર બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં 6 લોકોનાં મોત થયાં છે અને 15થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. બસમાં સવાર મોટાભાગના મુસાફરો ગુજરાતના હતા, જેઓ વૈષ્ણોદેવીનાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

• મસ્કની મોંઘીઘાટ ઇન્ટરનેટ સર્વિસઃ બિલિયોનેર ઉદ્યોગપતિ એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિન્કે ભારતમાં ઇન્ટરનેટ સર્વિસના ભાવ જાહેર કર્યા. સ્ટારલિન્કે રેસિડેન્શિયલ પ્લાન માટેનું માસિક ભાડું રૂ. 8,600 નક્કી કર્યું છે.

• સલમાન રશ્દી ભારતમાં પ્રેસ ફ્રિડમ અંગે ચિંતિતઃ સલમાન રશ્દીએ ભારતમાં વધતા હિન્દુ રાષ્ટ્રવાદ અને અભિવ્યક્તિની આઝાદી પર પ્રતિબંધો અંગે ચિંતા વ્યક્ત કરી. આ સાથે તેમણે કહ્યું કે, એવું લાગે છે કે દેશનો ઇતિહાસ ફરી લખવાની જરૂર છે.

• નક્સલીઓને મોટો આંચકોઃ છત્તીસગઢના ખૈરાગઢ-છુઇખદાન-ગંડઈ જિલ્લામાં 12 નક્સલીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કરી દીધું છે. આ નક્સલીઓમાં આતંકીઓની સેન્ટ્રલ કમિટીનો સભ્ય રામધર માજ્જી પણ સામેલ છે. જેના માથે રૂ. 1 કરોડનું ઈનામ જાહેર કરાયું હતું.

• PMOનું નામ બદલીને ‘સેવા તીર્થ’ કરાયુંઃ વડાપધાન કાર્યાલય (PMO)નું નામ બદલીને સેવા તીર્થ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન કાર્યાલય ટૂંક સમયમાં સાઉથ બ્લોકમાં તેના જૂના કાર્યાલયથી નવા ‘સેવા તીર્થ’ સંકુલમાં ખસેડવામાં આવશે. નવું પીએમઓ ‘સેવા તીર્થ-1’ નામથી કાર્યરત્ થશે.

• થાઇલેન્ડ-કંબોડિયાનું ફરી યુદ્ધઃ થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે સરહદી તણાવ ફરી વધ્યો છે. સોમવારે સવારે કંબોડિયાએ કરેલા ગોળીબારમાં એક થાઇ સૈનિકનું મોત થયું હતું અને 8 ઘાયલ થયા હતા. થાઇ સૈન્યએ દાવો કર્યો હતો કે, પ્રેહવિહાર મંદિર નજીક રેડિયો ટાવર સહિત ત્રણ લક્ષ્યોને નિશાન બનાવાયા હતા.

• બાંગ્લાદેશમાં હિન્દુ સ્વાતંત્ર્યસેનાનીની હત્યાઃ બાંગ્લાદેશના ઉત્તરી રંગપુર જિલ્લામાં 1971ના મુક્તિસંગ્રામના યોદ્ધા 75 વર્ષીય જોગેશચંદ્ર રોય અને તેમનાં 60 વર્ષીય પત્ની સુવર્ણા રોયની રવિવારે વહેલી સવારે કે તે પહેલાં તેમના ઘરમાં ગળું કાપીને હત્યા કરી દેવાઈ.

• શાંઘાઈમાં ભારતની અદ્યતન કોન્સ્યૂલેટ કચેરીનું ઉદઘાટનઃ ભારતે રવિવારે ચીનના મહાકાય શહેર શાંઘાઈ ખાતે અદ્યતન અને આધુનિક સુવિધાઓ ધરાવતી કોન્સ્યૂલેટ કચેરીનું ઉદઘાટન કર્યું હતું, જે ચીનના મુખ્ય બિઝનેસ કેન્દ્ર ખાતે છેલ્લાં 32 વર્ષમાં તેનું સૌપ્રથમ રિલોકેશન છે.

• 36 મિસાઇલ અને 600 ડ્રોનથી રશિયાનો હુમલોઃ યુક્રેન પરના રશિયન સેનાએ 48 કલાકમાં લગભગ 36 બેલિસ્ટિક મિસાઇલ અને લગભગ 600 ડ્રોનથી વ્યાપક હુમલા કર્યા, જેમાં ઘણા બધા પાવર પ્લાન્ટ્સને ઘણું નુકસાન થયું છે.

• જૈશની મહિલા વિંગ જમાતઉલ-મુમિનાતનું ગઠનઃ ભારતના ઓપરેશન સિંદૂર વખતે બધું ગુમાવી દેનારા આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના મસૂદ અઝહરે જૈશની મહિલા વિંગની સ્થાપના અને તેમાં 5,000 મહિલાની ભરતીની જાહેરાત કરી છે.


comments powered by Disqus