કાર્ડિફને ધાર્મિકમય-ઉત્સવમય બનાવતું કાર્ડિફ સનાતન ધર્મમંડળ

બાદલ લખલાણી Wednesday 11th June 2025 06:06 EDT
 
 

યુકેમાં ગુજરાત સમાચાર સનાતનની વિચારશૈલી સાથે હિન્દુ ભારતીયો અને ગુજરાતીઓને એકતાંતણે બાંધી રાખે છે. આ જ પ્રકારે કાર્ડિફ સનાતન ધર્મમંડળ પણ યુકેમાં વસતા આપણા હિન્દુ સનાતની ગુજરાતીઓ અને ભારતીયોને એકસૂત્રમાં બાંધી રાખે છે. ગુજરાત સમાચારના વિશેષ ઝૂમ કાર્યક્રમ સોનેરી સંગતનો 62મો અધ્યાય આ જ કાર્ડિફ સનાતન ધર્મમંડળની યશોગાથા પર આયોજિત કરવામાં આવ્યો.
લંડનથી 212 કિ.મી. અંતરે આવેલા વેલ્સના કાર્ડિફમાં સનાતન ધર્મ મંડળ અને હિન્દુ સનાતન મંદિર દ્વારા વિવિધ યૂથ પ્રવૃત્તિઓનું આયોજન કરાય છે. જેમાં ઉત્સવ નામથી બાળકોમાં સનાતન ધર્મનું સિંચન કરવામાં આવે છે. આ જ યૂથ પૈકીની 13 વર્ષની અનન્યા ભટ્ટ દ્વારા કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં સુંદર પ્રાર્થના કરવામાં આવી,
કાર્યક્રમની શરૂઆતમાં કન્સલ્ટિંગ એડિટર કોકિલાબહેન પટેલે કાર્ડિફ સનાતન મંદિરનાં સહસ્થાપક વિમળાબહેન પટેલને આવકારતાં પૂછ્યછયું કે, તમારી આ સંસ્થાની સ્થાપના ક્યારે અને કેવી રીતે થઈ તે જણાવો.
વિમળાબહેન પટેલઃ 70 અને 80ના દાયકામાં આપણા સનાતની ભારતીય ભાઈ-બહેનો આફ્રિકા-યુગાન્ડાથી જીવનભરની કમાણી મૂકીને ખાલી હાથે આવ્યાં હતાં. જો કે તે સમય અહીંની સંસ્કૃતિ અને વાતાવરણમાં અનુકૂળ આવ્યું નહોતું, આવા સમયે લોકો પોતાના ઘરમાં જ પુરાઈ રહેતાં હતાં. આ સમયે અમારા દ્વારા સત્સંગ કરવાનું નક્કી કરાયું. આ માટે અમને કાર્ડિફ કાઉન્સિલે 1984માં હોલ આપ્યો, જેમાં અમે બધી ધાર્મિક પ્રવૃત્તિ કરતા હતા. આ સમયે વડીલો અને બાળકો તહેવારો-પ્રવૃત્તિઓની રાહ જોતાં હતાં. એ સમયે કેટલાક સનાતનીઓ દ્વારા કાર્ડિફમાં મંદિર બનાવવાની પ્રેરણા મળી, જેથી તમામ હિન્દુઓ ત્યાં આવી શકે. તે સમયના અમારા કમિટી મેમ્બરના સભ્યોના કારણે અમે આજે અહીં પહોંચી શક્યા છીએ. આજે અમારી ખૂબ મોટી ટીમના કારણે અમે તમામ કાર્યો સરળતાથી કરી શકીએ છીએ. 1989માં અમને મિસ્ટર મુનિરામે સલાહ આપી હતી કે, તમે તમારું પોતાનું મંદિર લો તો સારું રહેશે અને તેના માટે પાસેની એક જગ્યા જ અમને બતાવી. એ સમયે મારી પાસે એકાઉન્ટમાં 8 હજાર પાઉન્ડ હતા અને અમે 100 પાઉન્ડનું મંદિર લીધું હતું. આ સમયે ખૂટતી રકમનું ફંડ એકત્ર કરવા અમે ઘરે-ઘરે ફર્યાં હતાં. અમને સનાતનીઓ દ્વારા કરેલી મદદથી અમે મંદિર લઈ શક્યાં.
મંદિર તો લીધું પણ વિદ્યાર્થીઓ અને બહારના લોકો મોટા પ્રમાણમાં આવવા લાગતાં તે નાનું પડવા લાગ્યું, જેના કારણે અમે 2011માં મોટું મંદિર લીધું. આ મંદિરમાં અમે રામ પરિવાર, શિવ પરિવાર, રાધા-કૃષ્ણ, શ્રીનાથજી, બાલકૃષ્ણ, અંબે માતા, ગાયત્રી માતા, શિવલિંગ, શિરડી સાંઈબાબા, જલારામ બાપા, ઘનશ્યામ મહારાજ, તિરુપતિ બાલાજી, ખોડિયાર માતા, આશાપુરા માતા, વિશ્વકર્મા ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરી છે. અહીં અમે તમામ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. મંદિરમાં સ્થાપિત તમામ મૂર્તિઓ અમને રામબાપાના દ્વારા પ્રાપ્ત થઈ હતી, રામબાપાને અમે અનેક વખત આમંત્રણ આપ્યું હતું, પરંતુ તેઓ ક્યારેય મંદિરની મુલાકાત ન લઈ શક્યા. અમારા મંદિરમાં ભગવાન વિશ્વકર્માની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ત્યારે સી.બી. પટેલે 5 હજાર પાઉન્ડનું મોટું અનુદાન આપ્યું હતું. તેમના દાનથી ઘણી મદદ થઈ હતી.
વિમળાબહેન પટેલ બાદ કોકિલાબહેને આસિસ્ટન્ટ સેક્રેટરી સુધાબહેન ભટ્ટને આમંત્રિત કરતાં તેમનાં કાર્યોની રજૂઆત કરવા આગ્રહ કર્યો.
સુધાબહેન ભટ્ટઃ અમે દર બુધવારે સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ડે સેન્ટર ચલાવીએ છીએ, જે અંતર્ગત અમે પ્રાર્થના અને ભજન બાદ ભગવાનને થાળ ધરાવીએ છીએ. ભગવાનને ભજ્યા બાદ 12 વાગ્યાથી 1 વાગ્યા સુધી વિવિધ એક્ટિવિટી કરીએ છીએ અને 1 વાગ્યાથી 2 વાગ્યા સુધી લન્ચ કરીએ છીએ. ઘણા એવા લોકો છે, જેઓ ઘરમાં એકલતા અનુભવે છે તેમને આ સ્થિતિમાં ન મુકાવું પડે તે માટે અમારું આ આયોજન છે. અહીં આવતા તમામ લોકો માનસિકપણે સ્વસ્થ રહે તેવા આશય સાથે અમારી આ એક્ટિવિટીઝ રહે છે. અહીં થતી એક્ટિવિટીમાં યોગ, લાફિંગ યોગ, બહારથી આવતા ધાર્મિક વક્તાનું સંબોધન, હેલ્થ માટે ખાસ વક્તાઓ, ડાયેટિશિયન્સ દ્વારા ખાવા-પીવાની સલાહ આપતા વક્તા, સ્થાનિક કોમ્યુનિટી પોલીસના વક્તાનું આયોજન કરીએ છીએ. આ સિવાય અમારા દ્વારા અન્ય એક્ટિવિટી પણ કરાવાય છે.
સુધાબહેનની રજૂઆત બાદ શારદાબહેન હીરાણી, મધુબહેન જેઠવા અને દેવુબહેન જાદવાએ સનાતન ધર્મ મંડળના કાર્યક્રમોમાં થતી રસોઈ અંગે જણાવ્યું કે, અમે સનાતન મંદિરમાં દર બુધવારે રસોઈ કરવા જઈએ છીએ, જ્યાં લગભગ તમામ મહિલાઓ 65 વર્ષથી વધુની છે. અમે સંપીને તમામ કામ પૂર્ણ કરીને યોગ માટે તૈયાર થઈ જઈએ છીએ. કોઈનો જન્મદિવસ હોય, તહેવાર હોય કે બહારથી કોઈ કોચ આવે અમે રસોઈ બનાવીએ છીએ. આ અમારી હોબી છે અને અમને ખૂબ મજા આવે છે.
મધુબહેન જેઠવાએ જણાવ્યું કે, અમે દર બુધવારે મળીએ છીએ. અમે અહીં આવતાં રસ્તામાં જ મેનુ ડિસાઇડ કરી લઈએ છીએ, જે બાદ અમે બધા ભેગા થઈને રસોઈ કરીએ છીએ. અમે 11 વાગ્યા સુધીમાં તમામ સ્વાદિષ્ટ રસોઈ તૈયાર કરી એક્ટિવિટીઝમાં પણ ભાગ લઈએ છીએ, જે અંતર્ગત પૂજા-આરતી બાદ ભગવાનને થાળ પણ ધરાવીએ છીએ. અમારો સમય ક્યાં પસાર થઈ જાય તેની ખબર જ નથી પડતી. અહીં આવતા તમામ લોકો પાસેથી કંઈને કંઈ નવું શીખવા મળે છે.
શૈલેશભાઈ રાવલઃ અમે ડે સેન્ટરમાં અમે યોગા અને મેડિટેશનની ખાસ પ્રવૃત્તિ કરાવીએ છીએ. ખાસ કરીને વડીલોને શારીરિક અને માનસિક તકલીફ વધારે હોય છે, તેથી તેમના પર ખાસ ફોકસ રાખવામાં આવે છે. આમ કરતાં તેમની મેન્ટલી અને ફિઝિકલ ફિટનેસ સારી રહે છે. આપણી સનાતન સંસ્કૃતિના ઋષિમુનિઓ દ્વારા આપણને જે આપવામાં આવ્યું છે, તેનો પ્રચાર અને પ્રસાર આપણે અહીં સારી રીતે કરી શકીએ છીએ. અમારી આ પ્રવૃત્તિમાં સનાતનીઓ સિવાય સ્થાનિક લોકો પણ જોડાઈ રહ્યા છે.
સૌમ્યાબહેન ભટ્ટે સનાતન ધર્મ મંડળ અંગે જણાવ્યું કે, અમે બાળકો માટે હંમેશાં કંઈ કરવા માગતાં હતાં. જેના માટે અમે લાંબું મનોમંથન કર્યું કે કેવી રીતે બાળકોને સનાતન ધર્મમાં રસ લેતાં કરવાં. બાળકો અને આપણી પેઢી વચ્ચે એક લાંબું અંતર હોવાથી તેમને સનાતનમાં રસ લેતાં કરવાં એક મોટો પડકાર હતો. આ સમયે અમને મંદિર ઉત્સવ કાર્યક્રમનો વિચાર આવ્યો, કારણ કે આપણા સનાતન ધર્મમાં પ્રત્યેક મહિને એક તહેવાર આવે છે, જે તેની આગવી વિશેષતા છે. અહીં વર્કિંગ પેરેન્ટ્સ અને શાળામાં વ્યસ્ત બાળકો લગભગ કોઈ તહેવાર ઊજવી શકતાં નથી. આ સમયે મંદિર એવું માધ્યમ છે, જે અનેક લોકોનો સંપર્ક કરવા માટેનું સ્થળ બની રહે છે.
આ સોનેરી અવસર હતો જ્ઞાનને એકબીજાથી વહેંચવાનો. જેથી અમે વિચાર્યું કે આવો કાર્યક્રમ કેમ ન કરી શકીએ! જ્યાં તમામ લોકો સાથે તહેવારની ઉજવણી કરી શકાય. આમ અમે મહિનામાં એક વખત વીકએન્ડમાં આ આયોજન કર્યું, જેથી વર્કિંગ પેરેન્ટ્સ અને બાળકો તેમાં સામેલ થઈ શકે. અહીં બાળકો બોઝ છે, તેમને તમામ પ્રકારે મુક્તિ અપાય છે. અહીં તેઓ ટેક્નોલોજીની સાથે અલગ વિચારધારા કેળવે છે. અહીં થીમબેઝ કાર્યક્રમનું આયોજન થાય છે, જ્યાં બાળકો પોતાના અંદાજમાં ઉપકરણો, ટોક, આર્ટ, કલ્ચર જેવા જ્ઞાનની પ્રતિભા રજૂ કરી શકે છે.
મંજુલાબહેન પટેલે કાર્ડિફ મંદિરે કઈ રીતે પ્રગતિ કરી તે અંગે જણાવતાં કહ્યું કે, 38 વર્ષ પહેલાં અહીં આવી ત્યારે કોઈ મંદિર નહોતું. આથી અમે કોલેજ પરેડના હોલમાં દર રવિવારે ભજન કરતાં. જે બાદ અમે એક નાનું મકાન ખરીદ્યું, જ્યાં મંદિર બનાવી સુંદર કાર્યક્રમ કર્યા, જેમાં લોકોને ખૂબ મજા આવતી. જે બાદ અમે મોટા મંદિરમાં ગયાં, જેના માટે કાઉન્સિલની એક લેડી, વિમળાબહેન, હરીશભાઈ, સુધાબહેન સહિતના લોકોએ અથાક પરિશ્રમ કર્યો.
અહીં હાલમાં યોગા સહિતના થતા કાર્યક્રમોથી વડીલોને ખૂબ મજા આવે છે, જેમની ખૂબ કાળજી પણ લેવામાં આવે છે. કોવિડના કપરા કાળમાં પણ મંદિર એક મહિનો જ ન ગયાં, બાકીના સમયમાં અમે મંદિરે જતાં જ હતાં. અહીં પ્રત્યેક તહેવાર ઊજવવામાં આવે છે.
કાર્યક્રમના સમાપન પ્રસંગે પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે કહ્યું કે, કાર્યક્રમની શરૂઆતમાં આવેલી દીકરી અનન્યાએ સનાતન ધર્મનો આખો ચિત્તાર આપ્યો. મને વિશ્વાસ છે કે બ્રિટનમાં સનાતન ધર્મ હવે કાયમ માટે સ્થાયી થઈ ચૂક્યો છે. મારી દૃષ્ટિએ સનાતન એટલે જેને કોઈ વાડા નથી. ભારતીય સંસ્કૃતિનું જે વહન કરે, પછી ભલે તે હિન્દુ હોય, જૈન હોય, શીખ હોય કે બુદ્ધિસ્ટ હોય... તે સનાતની છે. આ જ આપણી તાકાત છે.


comments powered by Disqus