નવી દિલ્હીઃ ભારત અને ઓમાન વચ્ચે મુક્ત વેપાર સમજૂતી પૂરી થઇ ગઇ છે. જો કે, હજુ અંતિમ હસ્તાક્ષર નથી થયા, પરંતુ તેની તારીખ પણ જલ્દી નક્કી થશે, તેવું સરકારે જણાવ્યું હતું.
ઉદ્યોગ રાજ્યમંત્રી નીતિન પ્રસાદે રાજ્યસભામાં કોંગ્રેસ સભ્ય હેબી માયેર હિશામના પ્રશ્નના જવાબમાં આ જાણકારી આપી હતી.
વ્યાપક આર્થિક સહભાગિતા સમજૂતી કરાર થઇ જતાં મધ્ય-પૂર્વમાં ભારતનો વેપારી પ્રભાવ મજબૂત બનશે.
આ સમજૂતી કરાર રોકાણનું પ્રમાણ તો વધારશે જ, સાથોસાથ રોજગાર અને આર્થિક ગતિવિધિના નવા અવસરો પણ પેદા કરશે. કેન્દ્રિય ઉદ્યોગ રાજ્યમંત્રી નીતિન પ્રસાદે જણાવ્યું હતું કે, છેલ્લાં પાંચ વર્ષમાં લગભગ 12 દેશ સાથે વેપારી સમજૂતી કરાર કરવા માટે પ્રયાસ કરાયા છે. કેટલાક દેશો સાથે વેપાર સમજૂતી નક્કી થઇ ચૂકી છે, જ્યારે કેટલાક દેશો સાથે વાતચીત ચાલી રહી છે, તો ક્યાંક ચર્ચા અંતિમ સ્તર પર છે. ભારતે મોરેશિયસ, યુએઇ, ઓસ્ટ્રેલિયા સાથે વેપાર સમજૂતી કરી છે. યુરોપિય મુક્ત વેપાર સંઘ સાથે પણ જલ્દી લાગુ કરી દેવાશે.