ઓપરેશન સિંદૂરઃ ભારતે કૂટનીતિના નવા પાઠ શીખવા પડશે

Wednesday 14th May 2025 05:44 EDT
 

ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલી અથડામણો અચાનક રોકાઇ ગઇ. 22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહલગામ ખાતે આતંકવાદી હુમલા બાદ 7મેના રોજ ભારતે પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર હુમલા કરી 100થી વધુ આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો. પરંતુ આ હુમલાના કારણે ભારત અને પાકિસ્તાન પૂર્ણ કક્ષાના યુદ્ધની કગાર પર પહોંચી ગયાં હતાં. જોકે અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપના કારણે બંને દેશે યુદ્ધવિરામની જાહેરાત કરવી પડી અને એક પૂર્ણકક્ષાનું યુદ્ધ અટકી ગયું. યુદ્ધવિરામ બાદ હવે ચર્ચાએ વેગ પકડ્યો છે કે આ કાર્યવાહીની ફલશ્રુતિ શું?
2014માં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં નવી દિલ્હીમાં ભાજપની સરકાર સત્તારૂઢ થયા બાદ પાકિસ્તાન પ્રયોજિત આતંકવાદી હુમલા સામે ભારતે આકરું વલણ અખત્યાર કર્યું છે. 2019માં પુલવામામાં આતંકવાદી હુમલા બાદ ભારતે બાલાકોટ સ્થિત જૈશ એ મોહમ્મદના આતંકવાદી ઠેકાણાને તહસ નહસ કરી પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે હવે ભારતની ધરતી પર પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી હુમલા સાંખી લેવાશે નહીં. 2025માં પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પણ ભારતે આજ નીતિ જારી રાખતાં આતંકી ઠેકાણાને નિશાન બનાવ્યાં. સમગ્ર દેશમાં પ્રચંડ લાગણી પ્રવર્તી રહી હતી કે આ વખતે તો ભારતીય સેનાએ પાકિસ્તાનને ખોખરું કરી 1971ની જેમ પાકિસ્તાનના ટુકડે ટુકડા કરવા જોઇએ. યુદ્ધવિરામ બાદ હવે આ ઉન્માદ સવાલ કરવા લાગ્યો છે કે ભારતને શું હાંસલ થયું.
એ વાતમાં કોઇ શંકા નથી કે ભારતીય સેનાએ ન કેવળ આતંકવાદી ઠેકાણા તબાહ કર્યાં પરંતુ પાકિસ્તાની સેનાને પણ તેની ક્ષમતાનો પુરાવો આપી દીધો. ભારતીય સેનાના પક્ષે આ એક મોટો વિજય ગણી શકાય પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલેલા ઘટનાક્રમે ભારતને નવા પાઠ શીખવી દીધાં છે. ભારત પર આતંકવાદી હુમલા બાદ અમેરિકા સહિત વિશ્વના મોટા ભાગના દેશ જોર શોરથી કહી રહ્યાં હતાં કે આતંકવાદને સાંખી ન લેવો જોઇએ. પરંતુ જેવી બંને પરમાણુસક્ષમ દેશો વચ્ચે પૂર્ણકક્ષાના યુદ્ધની નોબત આવી કે બધાના સૂર બદલાઇ ગયાં અને ભારત અને પાકિસ્તાનને યુદ્ધ નહીં કરવા તથા મંત્રણાની મેજ પર બેસી તમામ સમસ્યાનો ઉકેલ લાવવા અપીલ કરવા લાગ્યાં. બંને દેશ હવે યુદ્ધ કરીને જ રહેશે તેવી સ્થિતિનું સર્જન થતાં જ યુદ્ધ વિરામ કરાવી દેવાયો. આ સાથે જ અમેરિકા સહિતના દેશોના વલણ પ્રત્યે ભારતે નવી સમજણ કેળવવાનો સમય પાકી ગયો છે. ઇઝરાયેલ પર આતંકી હુમલા બાદ ગાઝા પટ્ટીમાં જે રીતે હમાસનું નિકંદન કાઢવાની પરવાનગી અપાઇ તેવી પરવાનગી વિશ્વએ ભારતને આપી નથી. એકતરફ ચીનને હંફાવવા અમેરિકા ભારતને ક્વાડમાં સામેલ કરી લશ્કરી સહકારની મોટી મોટી વાતો કરી રહ્યો છે પરંતુ તેના જ નેતૃત્વ હેઠળના નાટો સંગઠનના સભ્ય તૂર્કીને પાકિસ્તાનની મદદ કરતાં અટકાવી શક્તો નથી. યુકે, રશિયા, જાપાન અને રશિયાની બોલી પણ એકસમાન રહી અને ભારતને પાકિસ્તાન સાથે ચર્ચાના મેજ પર આવવા સુફિયાણી સલાહો અપાઇ રહી છે. આઇએમએફમાં અમેરિકા સૌથી મોટો સ્ટેકહોલ્ડર હોવા છતાં પાકિસ્તાનને બે બિલિયન ડોલર કરતાં વધુની લોન અપાઇ તે વિચાર માગી લેતો સવાલ છે.
બીજીતરફ ચીન, તૂર્કી અને અઝરબૈજાનના વલણે ભારતીય કૂટનીતિને નવો પડકાર ફેંક્યો છે. ચીને તો ખુલ્લેઆમ પાકિસ્તાનના સમર્થનમાં ઊભા રહેવાનું પસંદ કર્યું અને ભારત પર દબાણ લાવવા અક્સાઇ ચીનમાં પોતાના સૈનિકો પણ તહેનાત કરી દીધાં. પાકિસ્તાની સેનાને ભરપૂર લશ્કરી સહાય કરી. તૂર્કીએ પણ પાકિસ્તાનના પક્ષે રહીને તેને ડ્રોન સહિતના ઉપકરણોની મદદ કરી. આશ્ચર્યજનક રીતે અઝરબૈજાન પણ પાકિસ્તાનની પડખે આવી ગયો અને લશ્કરી સહાય મોકલી આપી. અહીં સૂચક બાબત એ છે કે અઝરબૈજાન અને ઇઝરાયેલ ગાઢ મિત્ર દેશો છે. ઇઝરાયેલના ભારત સાથેના સંબંધો પણ ઘણા મજબૂત છે તેમ છતાં ઇઝરાયેલે અઝરબૈજાનને અટકાવ્યો નથી. આમ પાકિસ્તાનના સમર્થનમાં ઊભી થયેલી આ ધરી પણ ભારતીય શાસકો માટે ચિંતાજનક છે. ભારતે ભલે પાકિસ્તાની સેનાના દાંત ખાટા કર્યા અને વિજય પ્રાપ્ત કર્યાની લાગણી અનુભવી પરંતુ વૈશ્વિક પ્રવાહો તો એવા જ સંકેત આપી રહ્યાં છે કે હવે પછીના સમયમાં ભારતે વધુ આત્મનિર્ભર બનીને તમામ સમસ્યાઓ સામે એકલા હાથે ઝઝૂમવું પડશે.


comments powered by Disqus