ગુજરાત સમાચાર વિવિધ સંસ્કૃતિને મહત્ત્વ આપવાની સાથે તેમને જોડવાનું પણ અવિરત કાર્ય કરતું આવ્યું છે. આ જ નેમ સાથે ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’માં ગુજરાત અને મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત કરતાં પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, સદીઓ-હજારો વર્ષથી ગુજરાતે અગણિત વિભૂતિઓ આપી છે. કૃષ્ણ ભગવાને ગુજરાતનું મહત્ત્વ સમજી દ્વારકા વસાવ્યું, જેનું સંશોધન કરી સાબિત પણ થયું છે કે દ્વારકા અને ઓખાના દરિયામાં 9 હજાર વર્ષ જૂના સ્મારકો અને અવશેષો ધરબાયેલા છે, તો મહારાષ્ટ્ર પણ એક લાંબો ઇતિહાસ ધરાવે છે.
ગુજરાત દિવસ નિમિત્તે ગુજરાતી ભાષા અને સુગમ સંગીતની ધરોહરનું સોનેરી નજરાણું એવાં માયાબહેન દીપકે એક સુંદર ગીત રજૂ કર્યું હતું.
ગુજરાત સરકારના નિવૃત્ત આઇએએસ ઓફિસર, કવિ, લેખક ભાગ્યેશભાઈ જ્હાએ ગુજરાત ગૌરવ દિવસ અંગે કહ્યું કે, આપણા બે ગુજરાતી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે. ગુજરાતની પ્રજા પોતાના કૌવત, મીઠાશ, ધૈર્ય, સાહસ, સૌંદર્યબોધ, સાહિત્યપ્રેમ અને આધ્યાત્મિક શોધને પગલે આજે મહાજાતિ ગુજરાતી નહીં વિશ્વજાતિ બની ચૂકી છે. ગુજરાતીએ સામાન્ય લોકોનો સમૂહ નથી, તેઓ સીધા ઇશ્વરના આશીર્વાદ પામેલી પ્રજાનો સમૂહ છે. સી.બી. પટેલ તેના તમે જ ઉત્તમ દૃષ્ટાંત છો, લંડનમાં સી.બી.એ જે કામ કર્યું છે તે માત્ર ગુજરાતીઓ પૂરતું સીમિત નથી. સી.બી.ના પ્રસંગમાં ગવર્નર્સ, સેનેટર્સ, ડેપ્યુટી
પ્રાઇમ મિનિસ્ટર, પ્રાઇમ મિનિસ્ટર આવે - કેટકેટલા લાંબા તમારા કોન્ટેક્ટ્સ. આ બધું અચાનક નથી થતું, કારણ કે તમે વિશ્વજાતિ ગુજરાતીના એક અગ્રણી છો. એટલે જ ઇશ્વરે તમને આ બધા વિશેષ ગુણો આપ્યા છે.
ગુજરાતી મારી માતા છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદી છે અને અંગ્રેજી મારી પાડોશમાં રહેતી રૂપાણી, વિદેશી - વિદૂષી નારી છે, એ મને ખૂબ ગમે છે. જો કે મને ઊંઘ ન આવે તો હાલરડું તો મારી માતા ગુજરાતી જ ગાય. અને મને પેટમાં દુઃખે તો સૂંઠ ખાઈ લે તે મારી દાદી સંસ્કૃત જ કહે. તમે જે રીતે ગૌરવને સાચવ્યું, તમે જે રીતે અસ્મિતાને સાચવી છે, તમે જે રીતે ગુજરાતી ભાષાને વિદેશમાં બોલતી રાખી છે તેવા સી.બી. જેવા વડીલો, ગુજરાતીઓ અને વિશ્વભરમાં પથરાયેલા ગુજરાતી સમુદાયને ગુજરાત સ્થાપનાદિનના ખૂબ-ખૂબ અભિનંદન.
ભાગ્યેશભાઈ જ્હા બાદ કાર્યક્રમની ધુરા સંભાળનારા વિષ્ણુભાઈ પંડ્યાએ કહ્યું કે, ગુજરાત અને મહારાષ્ટ્રનો સંબંધ ખૂબ આત્મીય છે. શિવાજીનો જન્મ સહ્યાદ્રીની ગિરિકંદરાઓમાં અને તેમનું હાલરડું ગવાય સૌરાષ્ટ્ર્માં, ઝવેરચંદ મેઘાણીએ ‘શિવાજીને નિંદરુ ના આવે, માતા જીજાબાઈ ઝુલાવે’ આ વિચારવસ્તુ જ ગુજરાત અને મહારાષ્ટ્રની આત્મીયતા દર્શાવે છે. આ જ ગુજરાત છે, જ્યાં સાબરમતીના ઉત્તર કિનારે ઋગ્વેદનો સૌથી મોટો મહાન ગ્રંથ ઐતરેય બ્રાહ્મણ રચાયો, જે મહિદાસ ઐતરેય દ્વારા આપણને પ્રાપ્ત થયો, તેઓ મહિસાગરના સંગમે નિવાસ કરતા, શારીરિક ખોડ ધરાવતા અષ્ટાવક્ર મુનિએ પ્રભાસ પાટણમાં અષ્ટાવક્ર ગીતાની ભેટ આપી, સૌપ્રથમ યોગવિદ્યાની સાધના કરનારા રાજવી સોમે ભગવાન સોમનાથનું નિર્માણ કર્યું, મૈત્રેયી અને યાજ્ઞવલ્ક્યનો અમૃત સંવાદ પ્રભાસ અને દ્વારકાની વચ્ચે થયો, સીતાપુત્ર લવ અને કુશનું ધનુર્વિદ્યાલય ગુજરાતમાં હતું, શુક્લતીર્થ અને પ્રભાસમાં મહર્ષિ ભૃગુ અને ભાર્ગવ મુનિઓ થઈ ગયા, વિશ્વભરના સૌપ્રથમ ચિકિત્સાશાસ્ત્રી આચાર્ય અશ્વિનીકુમારનો જન્મ મોઢેરામાં થયો હતો, સૌરાષ્ટ્રમાં આજે પણ તેમનું મંદિર છે, ગાયત્રીમંત્રનો સૌપ્રથમ ઉદ્ગાર છોટાઉદેપુરના જંગલમાં વિશ્વામિત્રી નદીના કિનારે ઋષિ વિશ્વામિત્રીએ કર્યો હતો.
ઇશુના જન્મથી 3 હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણએ ગીતાજ્ઞાન આપ્યું હતું. એમના શ્રેષ્ઠ રાજવી તરીકેના છેલ્લા દિવસો દ્વારકામાં. અંતિમ અવસ્થા વિરામ માટે તેમણે સોરઠનો સોમનાથ દરિયાકિનારો પસંદ કર્યો હતો. ગુજરાતમાં આવેલો ગિરનાર હિમાલય કરતાં પણ 26 કરોડ વર્ષ પુરાણો છે, જે સાબિત થઈ ચૂક્યું છે. ત્યાં આવેલા અશોકના શિલાલેખની સાથે રુદ્રદામનનો શિલાલેખ પણ છે, જેને આપણે યાદ કરતા નથી. 1892માં ગુજરાતથી પ્રેરિત થઈ સ્વામી વિવેકાનંદ નામના યુવાન સંન્યાસી આવ્યા અને આખા દેશમાં સૌથી વધુ સમય તેઓ ગુજરાતમાં રહ્યા. આ સમયે જેતલસરના સ્ટેશન માસ્ટર પંડ્યાજીએ સ્વામી વિવેકાનંદજીને શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં જવાની પ્રેરણા આપી હતી. આ આપણી ગુજરાતી અસ્મિતા છે, આપણે વિશ્વભરમાં સંઘર્ષ કર્યો છે. પણ સંઘર્ષ બાદ નિર્માણ આપણી પરંપરા રહી છે.
વિષ્ણુભાઈ પંડ્યા પાસેથી જ્ઞાનવર્ધક માહિતી મળ્યા બાદ સી.બી. પટેલ દ્વારા વૃશાલ ખાંડકેને મહારાષ્ટ્રનો પરિચય આપવા આમંત્રણ આપવામાં આવ્યું.
વૃશાલ ખાંડકેઃ હું વેપારી છું અને મને વેપારના ગુણ મારા નાનપણના ગુજરાતી અને મારવાડી પાડોશી અને મિત્રો પાસેથી મળ્યા છે. મરાઠી અને ગુજરાતીઓ દ્વારા દેશની ખૂબ સેવા કરવામાં આવી રહી છે. હું હાલ લંડનમાં રહું છું અને અમારું મહારાષ્ટ્ર મંડળ-લંડન 1932માં નિર્માણ પામેલું વિશ્વનું પ્રથમ ભારત બહારનું મંડળ છે. અહીં અમારા દ્વારા અમારી સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે. અમે અહીં મહારાષ્ટ્ર ક્રિકેટ લીગનું પણ આયોજન કરીએ છીએ, જે દોઢ મહિના સુધી ચાલે છે. જો કે અમારો એક નિયમ છે, જેમાં અમે પ્લેઇંગ ઇલેવનમાં 8 મરાઠીને જ્યારે અન્ય ત્રણ મરાઠી સિવાયના પ્લેયરનો સમાવેશ કરીએ છીએ. આમ અમે ગુજરાતીઓ અને લોકલ લોકો સાથે સામંજસ્ય રાખીએ છીએ.
સી.બી. પટેલે કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહને આમંત્રણ આપતાં ગુજરાત દિન અંગે અમને કંઈક જણાવો.
જ્યોત્સનાબહેન શાહઃ ગુજરાતની ધરોહર સાહિત્યિક અને વીરરસથી ભરપૂર છે. આપણે નસીબદાર છીએ કે આપણે ગુજરાતી છીએ. કવિ અરદેશર ખબરદારે કહ્યું છે ને, ‘જ્યાં-જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત’ એ વાત બિલકુલ સાચી છે.
ગુજરાતીઓ ભલે વિશ્વના કોઈપણ ખૂણામાં વસતા હોઈએ પણ હૃદયમાં તો ગુજરાત જ રહેલું છે. આપણે જ્યાં હોઈએ ત્યાં આપણી સંસ્કૃતિ, ગરબો અને ખોરાક પણ સાથે જ હોય છે. આ વારસાને આપણે આપણા પૂરતો સીમિત ન રાખી પ્રચાર અને પ્રસાર પણ કરતા રહીએ છીએ અને વિશ્વને ગુજરાતીઓ-ભારતીયોના ઉત્સવો, વાનગી અને રીતરિવાજોથી વાકેફ કરીએ છીએ. ગુજરાત મહાત્મા ગાંધીના વિચારોથી વિશ્વભરમાં નામના કમાયું છે, જો કે હાલમાં આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતનું નામ વિશ્વફલકે રોશન કર્યું છે. તેમણે જે રીતે ભારતને એક પ્રતિભાસંપન્ન દેશ બનાવ્યો છે તે મુદ્દે ગુજરાતીઓએ ગૌરવ લેવું જોઈએ.
જ્યોત્સનાબહેન શાહના વિચારો જાણ્યા બાદ બોલીવિયાની એમ્બેસી ઓફ ઇન્ડિયાના એમ્બેસેડર, જાણીતા લેખક અને મૂળ ઓખાના રોહિતભાઈ વઢવાણાએ આપેલો સંદેશ દર્શાવાયો.
રોહિતભાઈ વઢવાણાઃ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ દ્વારા ગુજરાત દિવસની ઉજવણી અંગે ખાસ કાર્યક્રમ સોનેરી સંગત યોજવા પર ખૂબ આનંદ થયો. આ કાર્યક્રમ દર્શાવે છે તે તમે તમારા ભારતીય અને ગુજરાતી તરીકેના જડમૂળ સાથે આટલાં વર્ષોએ પણ જોડાયેલા છો. યુકે-લંડન અને અન્ય સ્થળોએ ભારતીય લોકોમાં સતત 50 વર્ષથી તમારી ખ્યાતિ તમારા માતૃભૂમિ પ્રત્યેના પ્રેમને દર્શાવે છે. ભારત સરકારે સી.બી. પટેલને પ્રવાસી ભારતીય સન્માનથી સન્માનિત કર્યા છે, જેના તેઓ યોગ્ય રીતે હકદાર છે. ભારત અને ગુજરાત પ્રત્યેના તમારા આદરણીય અને મૂલ્યવાન પ્રેમની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે. એક જાણીતા કવિએ કહ્યું છે કે, ‘જ્યાં-જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત’. આ પંક્તિના તમે મૂર્તરૂપ છો.
સી.બી. પટેલે કહ્યું કે, ગુજરાતે વિશ્વને અને ભારતને અનેક વિભૂતિઓ આપી છે, મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતી, ક.મા. મુનશી અનેક વિભૂતિઓ આપી.
જો કે છેલ્લા 25 વર્ષના રાજકારણમાં ગાંધી અને સરદારની જોડીની જેમ જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સુંદર કામ કરી રહ્યા છે.