ક્વેટાઃ બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ બલૂચિસ્તાનના 90 ટકા હિસ્સા પર કબજો કરી લીધો હોવાનો દાવો કર્યો છે. બલૂચિસ્તાનમાં 39 અલગ-અલગ જગ્યાએ સંકલિત હુમલા કર્યાની જવાબદારી લીધી છે. બીએલએ દાવો કર્યો છે કે, તેમણે કેટલાંક પોલીસ સ્ટેશનો પર કબજો કરી લીધો છે અને મુખ્ય માર્ગો પર નાકાબંધી કરી દીધી છે.
બીએલએના પ્રવક્તા જીયંદ બલૂચે જણાવ્યું કે, જે 39 જગ્યાએ સંકલિત હુમલા કરવામાં આવ્યા છે, તેમાં પોલીસ સ્ટેશન, સૈન્ય ટુકડીઓ અને મુખ્ય રાજમાર્ગો સાથે ઘણાં મૂળભૂત માળખાં સહિત અન્ય જગ્યાઓ સામેલ છે. બલૂચે કહ્યું કે, બીએલએએ કેટલાંક પોલીસ સ્ટેશનો પર કબજો કરી લીધો છે અને ક્ષેત્રના મુખ્ય રસ્તાઓ પર નાકાબંધી કરી દીધી છે. તેમણે કહ્યું કે, હુમલા વિશે ટૂંક સમયમાં મીડિયાને વધુ માહિતી અપાશે. બલૂચિસ્તાનમાં લાંબા સમયથી આઝાદીની માગ સાથે અલગતાવાદી આંદોલન ચાલી રહ્યાં છે. ઘણાં વર્ષોથી ચાલતા સંઘર્ષથી અહીં ઘણા લોકો મૃત્યુ પામ્યા છે.
બીએલએએ પરિયોજનાઓને નુકસાન કર્યું
બીએલએએ અત્યાર સુધીમાં પાકિસ્તાની સુરક્ષા દળો, સરકારી ઇમારતો અને વિકાસ પરિયોજનાઓ પર ઘણા હુમલા કર્યા છે. બીએલએએ ખાસ કરીને ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી) સાથે સંકળાયેલી પરિયોજનાઓને નુકસાન કર્યું છે, જેને તે શોષણકારી માને છે.
ભારત કહે ત્યારે પાકિસ્તાન પર તૂટી પડીશુંઃ બીએલએ
ભારત સામે યુદ્ધ જેવી સ્થિતિનો સામનો કરી રહેલું પાકિસ્તાન ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. બલૂચિસ્તાનમાં બલોચ જાતિ પર પાકિસ્તાની સૈન્યના અત્યાચારો સામે બળવો કરનારા બલોચ બળવાખોરોની બલૂચ લિબરેશન આર્મીએ ભારતને પાકિસ્તાનના યુદ્ધવિરામને માત્ર દેખાડો ગણાવ્યો છે. આ સાથે તેણે કહ્યું કે, ભારત પાકિસ્તાન સાથે યુદ્ધ ચાલુ રાખે તો અમે પણ પૂર્વમાં પાકિસ્તાન પર તૂટી પડી બલૂચિસ્તાનને સ્વતંત્ર કરાવવા તૈયાર છીએ.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ બાદ યુદ્ધવિરામની જાહેરાત થઈ હતી. આ જાહેરાતથી બલૂચિસ્તાનની સ્વતંત્રતા માટે લડતા બલોચ બળવાખોરો નિરાશ થયા હતા. બલોચ બળવાખોરોની બલૂચિસ્તાન લિબરેશન આર્મી (બીએલએ)એ ભારત અને પાકિસ્તાનના યુદ્ધવિરામ અંગે સ્પષ્ટપણે કહ્યું હતું કે, તે ન તો કોઈનું મહોરું છે અને મૂકદર્શક પણ નથી.
બીએલએએ ભારતને યુદ્ધવિરામ અંગે સાવધ રહેવા ચેતવણી આપતાં કહ્યું કે, પાકિસ્તાનનો શાંતિનો દાવો માત્ર દેખાડો છે. તેના વચન પર ક્યારેય વિશ્વાસ ન કરી શકાય. બીએલએએ ભારતને વિશ્વાસ અપાવ્યો કે તે પાકિસ્તાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી ચાલુ રાખશે તો પાકિસ્તાને પૂર્વીય અને પશ્ચિમી એમ બે મોરચે લડવું પડશે. પાકિસ્તાન માટે આ યુદ્ધ નિર્ણાયક બની શકે છે. પાકિસ્તાનને ખતમ કર્યા સિવાય દક્ષિણ એશિયામાં ક્યારેય શાંતિ શક્ય નથી.
બલૂચ બળવાખોરોએ પાકિસ્તાન સેનાની કમર તોડી
પાકિસ્તાનના સૌથી મોટા રાજ્ય બલૂચિસ્તાનમાં બળવાની આગ વધુ તીવ્ર બની છે. સોમવારે બલૂચ લિબરેશન આર્મી (બીએલએ)એ પાકિસ્તાની સેના અને ગુપ્તચર એજન્સી આઇએસઆઇને નિશાન બનાવી 80થી વધુ હુમલા કર્યા છે. 24 કલાકમાં જ 60થી વધુ સ્થળને નિશાન બનાવાયાં હતાં, જેમાં પાકિસ્તાની આર્મી ચોકી અને આઇએસઆઇ બેઝનો સમાવેશ છે.
પાકિસ્તાનનો ઝંડો હટાવી બલોચ ધ્વજ ફરકાવ્યો
પાકિસ્તાની સૈન્યને હાલ દરેક મોરચે માર પડી રહ્યો છે. પૂર્વીય સરહદે ભારત સામે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, ત્યારે બલૂચિસ્તાનમાં બલોચ બળવાખોરોએ પાકિસ્તાની સૈન્ય સામે તેનું આક્રમણ વધાર્યું છે. ભારત સાથે યુદ્ધ દરમિયાન પાકિસ્તાન ગૃહયુદ્ધનો પણ સામનો કરી રહ્યું છે. આવા સમયે બલૂચિસ્તાનની સરકારી ઇમારતો પરથી પાકિસ્તાનનો ઝંડો હટાવીને બલોચ ધ્વજ ફરકાવવાનું શરૂ કર્યું છે.