તેલઅવીવઃ ઇઝરાયલ દ્વારા શુક્રવારે વહેલી સવારે 3 વાગ્યાથી ઈરાન પર શ્રેણીબદ્ધ હુમલા કર્યા. 200 જેટલા ફાઇટર જેટ દ્વારા બોમ્બમારો અને મિસાઇલમારો કરાતાં તહેરાન, ઇરાનના અણુમથક નાતાન્ઝ અને લશ્કરી મથકોને ટાર્ગેટ બનાવી તેનો ખાત્મો બોલાવાયો હતો. ઈઝરાયલના આ હુમલામાં ઈરાનના 6 અણુ વૈજ્ઞાનિકો માર્યા ગયા. આ ઉપરાંત હુમલામાં ઈરાનના લશ્કરી વડા મોહંમદ બાઘેરી, ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડસ કોર્પ્સ (IRGC)ના કમાન્ડર હુસેન સલામી સહિત ઈરાનના ટોચના 20 કમાન્ડરનાં પણ મોત થયાં છે. ઈરાને જવાબમાં શુક્રવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર 100 બેલેસ્ટિક મિસાઈલ છોડતાં તેલઅવીવ, યેરુશલેમમાં સાઇરનો ગૂંજી ઊઠી હતી અને વિસ્ફોટો સંભાળાયા હતા.
ઇરાનમાં ખાનાખરાબી
ઈઝરાયેલે ઓપરેશન રાઈઝિંગ લાયન હેઠળ ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતું રોકવા આ હુમલો કર્યો. આ સાથે બંને દેશ પૂર્ણસ્તરના યુદ્ધ તરફ આગળ વધતા હોવાની આશંકા ઊભી થઈ છે. ઈઝરાયેલે રવિવારે દક્ષિણ ઈરાનમાં દુનિયાના સૌથી મોટા ગેસફિલ્ડ, સંરક્ષણ મંત્રાલયના મુખ્યાલય અને પરમાણુ મથક પર હુમલો કરીને ભારે નુકસાન કર્યું હતું. ઈઝરાયલે દાવો કર્યો કે તે એક ક્ષણ માટે પણ રોકાયા વિના તહેરાન પર હુમલા ચાલુ રાખશે. ઈઝરાયલના હુમલામાં ઇરાનમાં 406 લોકોનાં મોત અને 954થી વધુ ઘાયલ થયા છે. બીજીબાજુ ઈરાને પણ ઓપરેશન ટુ પ્રોમિસ-3 હેઠળ ઈઝરાયલ પર મિસાઈલોનો મારો ચલાવ્યો હતો, જેમાં 13 લોકોનાં મોતની થયાં હતાં.
ટ્રમ્પની ચેતવણી
અમેરિકન પ્રેસિડેન્ટ ટ્રમ્પે ઈરાનને તેની સાથે પરમાણુ સોદો કરી લેવા ધમકી આપતાં કહ્યું કે, હજુ પણ સમય છે. આ રક્તપાત રોકી શકાય છે. ઈઝરાયલ પાસે હથિયારોનો ભંડાર છે. ઇઝરાયલ આગામી હુમલાની યોજના પહેલાથી જ બનાવી ચૂક્યું છે અને આ હુમલા પહેલા કરતાં વધુ ક્રૂર હશે.