ઇરાનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવાની ભારતની તૈયારી

Wednesday 18th June 2025 06:12 EDT
 
 

નવી દિલ્હીઃ ઇઝરાયલ અને ઇરાન વચ્ચે ચાલતા યુદ્ધના કારણે તહેરાનમાં ફસાયેલા લગભગ 10 હજાર ભારતીયોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું મિશન શરૂ થવા જઈ રહ્યું છે. સોમવારે ઈરાને કહ્યું કે, વિદેશી નાગરિકો દેશ છોડી શકે છે. આ માટે બોર્ડરો ખુલ્લી છે. બીજી તરફ ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે આર્મેનિયન સમકક્ષ આરત મિર્ઝોયાન સાથે વાતચીત કરી છે. સૂત્રો મુજબ ભારત સરકાર ભારતીયોને બહાર કાઢવાના સલામત રસ્તાઓ શોધી રહી છે. આ માટે આર્મેનિયાને એક મુખ્ય વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, તહેરાનમાં ભારતીય દૂતાવાસની દેખરેખ હેઠળ ભારતીયોને ઈરાનની અંદર સુરક્ષિત સ્થળે ખસેડવાનું શરૂ કરી દેવાયું છે. મંત્રાલયે તેના એક્સ હેન્ડલ દ્વારા ઈરાનમાં રહેતા ભારતીયો પાસેથી વિગતો માગી છે.
દિવસભર ધડાકાથી ભયનો માહોલ
ઈરાનમાં અભ્યાસ કરતા 1200 કાશ્મીરી વિદ્યાર્થીઓ ભયમાં છે. તહેરાનમાં રહેતા શ્રીનગરના ઇમ્તિસલે કહ્યું કે, હું શાહિદ બેહેતી યુનિવર્સિટીમાં ડોક્ટરી કરી રહ્યો છું અને હોસ્ટેલમાં છું. તમામ 350 કાશ્મીરી વિદ્યાર્થીઓને બહાર જવાની મંજૂરી નથી. હોસ્ટેલમાં જરૂરી રાશન પૂરું પાડવામાં આવતું ન હોવાથી અમે દિવસમાં એક સમયે જ ભોજન લઈ ગુજારો કરી રહ્યા છે. અંધારું થતાં જ વીજળી કાપી નાખવામાં આવે છે.


comments powered by Disqus