ટોરોન્ટોઃ શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ - ટોરોન્ટોના 20મા પાટોત્સવ પ્રસંગે કેનેડિયન સરકારના ચુંટાયેલ પ્રતિનિધિઓ સૌન ચેન અને રેમેન્ડ ચો દ્વારા આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ અને કોઠારી પવન સ્વામીને 20 વર્ષની સેવા માટે અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે કહ્યું હતું કે કેનેડાના વિકાસમાં તમે સંગઠિત રહીને વર્ષોથી યોગદાન આપી રહ્યા છો. હું વિશેષ ખુશી અનુભવું છું કારણ કે મારા પિતાજી પણ કોલકત્તાથી કેનેડા આવ્યા હતા. આજથી વીસ વર્ષ પહેલા વડતાલ સંપ્રદાયના અનુયાયીઓએ એક યુનિટ ખરીદીને સત્સંગ ચાલુ કર્યો હતો. જોતજોતામાં આજે 20 વર્ષ થઈ ગયા છે.
20 વર્ષની ઉજવણીના ભાગરૂપે સપ્તાહ પારાયણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સત્સંગીજીવનના વક્તાપદે શાસ્ત્રી હરિગુણદાસજી સ્વામી - ઉમરેઠ અને હનુમંત ચરિત્ર કથાના વક્તા શાસ્ત્રી હરિપ્રકાશદાસજી સ્વામી - સારંગપુરવાળા બિરાજમાન થયા હતા. આ પ્રસંગે 108 લાલજી મહારાજ શ્રી સૌરભપ્રસાદજી મહારાજ - ગાદીપતિના ધર્મપત્ની પણ મહિલાઓને આશીર્વાદ આપવા આવ્યા હતા.
આ પ્રસંગે વડતાલથી ચેરમેન
ડો. સંતવલ્લભદાસજી સ્વામીએ વડતાલની સેવા પ્રવૃત્તિઓની માહિતી આપતા જણાવ્યું હતું કે, ‘નિઃશુલ્ક હોસ્પિટલ, નિઃશુલ્ક છાત્રાલય, નિઃશુલ્ક સંસ્કૃત પાઠશાળા અને અન્નક્ષેત્ર જેવા સેવાકાર્યો આપણી સંસ્થા દ્વારા થઈ રહ્યા છે. આ મંદિર મોટું બને, બાળ યુવા પ્રવૃત્તિ થાય, એ સમયની જરૂરિયાત છે.’
આ પ્રસંગે શાસ્ત્રી રામદાસજી - અમેરિકા, શાસ્ત્રી વિવેકસાગરદાસજી - સારંગપુર કોઠારી, શાસ્ત્રી સત્યપ્રકાશદાસજી - વડતાલ, માધવપ્રકાશ સ્વામી - નાસિક, શાસ્ત્રી વિનયપ્રકાશદાસજી - ધાંગધ્રા વગેરે સહિત 20 સંતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જતન જાગૃતભાઈ પટેલ સહિતના યજમાનો, અતુલભાઈ પટેલ વગેરે ટ્રસ્ટીઓ અને કાર્યકરોનું અભિવાદન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ. પવન સ્વામી કલાલી દ્વારા કરાયું હતું.