નવી દિલ્હીઃ સોમવારથી કેનેડામાં ગ્રૂપ ઓફ સેવન (G7) સમિટનો પ્રારંભ થયો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચી ગયા છે. જો કે ઇઝરાયલ-ઈરાન તણાવની અસર G7 સમિટ પર પણ દેખાઈ રહી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સમિટ અધવચ્ચે છોડીને થોડા સમય પછી અમેરિકા પાછા ફર્યા છે. મંગળવારે વ્હાઇટ હાઉસે કહ્યું કે, ટ્રમ્પે મધ્ય-પૂર્વમાં તણાવને કારણે આ નિર્ણય લીધો છે.
કેનેડા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કેનેડાના પીએમ માર્ક કાર્નેએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન મોદીએ G7 સમિટમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ, મેક્સિકન રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમ, ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આલ્બાનીઝ, જર્મન ચાન્સેલર ફ્રિડ્રિચ મર્ઝ અને દક્ષિણ આફ્રિકાના પ્રેસિડેન્ટ રામાફોસા સાથે દ્વિપક્ષીય બેઠકો કરી અને આવતા સમયમાં વેપાર-વાણિજ્ય અને ઔદ્યોગિક સ્તરે દ્વિપક્ષીય સંબંધો મજબૂત બને તેના પર ભાર મૂક્યો હતો. સમિટના પહેલા દિવસે તમામ સભ્ય દેશોએ ઇઝરાયલ-ઈરાન યુદ્ધવિરામ પર સર્વસંમતિ બનાવવા પ્રસ્તાવ લાવવ પ્રયાસ કર્યો, પરંતુ ટ્રમ્પ સંયુક્ત નિવેદન પર હસ્તાક્ષર કરવા તૈયાર નથી.
ટ્રમ્પે શું કહ્યું?
G7 સમિટમાં ભાગ લેવા આવેલા ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની સાથેની મુલાકાતમાં જણાવ્યું કે, G7 પહેલાં G8 હતું. ઓબામા અને ટ્રુડો બે એવા લોકો હતા, જેઓ રશિયાને એમાં સામેલ કરવા માગતા નહોતા, જેને હું એક ભૂલ કહીશ, જેનાથી વિશ્વમાં અસ્થિરતા પેદા થઈ છે. ટ્રમ્પે G7માં ચીનને સામેલ કરવા પણ આગ્રહ કર્યો હતો.
ઇઝરાયલ-ઇરાન સંઘર્ષ પર પ્રસ્તાવ
ટ્રમ્પે સમિટ પહેલાં કહ્યું હતું કે ઇરાન આ યુદ્ધ હારી રહ્યું છે, તેમણે વાતચીતમાં વિલંબ કર્યો. જો કે આ અંગે કોઈ નિર્ણય પૂછવામાં આવે તે પહેલાં જ ટ્રમ્પ G7 સમિટને અકળ કારણોસર અધૂરી મૂકી અમેરિકા રવાના થયા હતા. આ દરમિયાન ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ઇરાને પરમાણુ સમજૂતી પર હસ્તાક્ષર કરવા જોઈએ. ઈરાન પરમાણુ શસ્ત્રો રાખી શકે નહીં. મેં આ વારંવાર કહ્યું છે! દરેક વ્યક્તિએ તાત્કાલિક તહેરાન ખાલી કરી દેવું જોઈએ. બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મરે કહ્યું કે, આ સ્થિતિ ઠારવા ઉકેલ શોધવો પડશે. પરિણામે વૈશ્વિક અર્થતંત્રોને ઠેસ પહોંચી રહી છે.