શારીરિક-માનસિક સ્વાસ્થ્ય માટે ઉપકારક છે યોગ

Wednesday 18th June 2025 07:59 EDT
 
 

વીતેલા દસકામાં આખી દુનિયાને સમજાઇ ગયું છે કે યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે અને આ જ કારણ છે કે આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માટે વિશ્વના વિવિધ દેશોમાં તડામાર તૈયારી ચાલી રહી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2025ની થીમ છેઃ Yoga for One Earth, One Health (એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ)
વિશ્વગુરુ બનવાના પંથે આગળ ધપી રહેલું ભારત યોગના મામલે તો સદીઓથી વિશ્વ ગુરુ છે. ભારતે યોગને આંતરરાષ્ટ્રીય સ્તર પર ઓળખ અપાવી અને યોગ દ્વારા સાંસ્કૃતિક એકતાને પ્રોત્સાહન આપ્યું. યોગ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તે શરીરને રોગોથી મુક્ત રાખે છે અને મનને શાંતિ આપે છે. ભારતીય સંસ્કૃતિને લગતી આ પ્રવૃત્તિ હવે વિદેશોમાં પણ ફેલાઈ ગઈ છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને આ સમય દરમિયાન વિશ્વભરના લોકો સામૂહિક રીતે યોગાભ્યાસ કરે છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 21 જૂનના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ યોગના ફાયદાઓ વિશે જાગૃતિ વધારવાનો અને વૈશ્વિક સ્તરે યોગાભ્યાસને પ્રોત્સાહિત કરવાનો છે.
યોગ દિવસના ઈતિહાસમાં ડોકિયું કરીએ તો, પહેલી વખત 27 સપ્ટેમ્બર 2014 ના દિવસે યુનાઇટેડ નેશન્સ (યુએન) જનરલ એસેમ્બલીમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના ભાષણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે જ વર્ષે 11 ડિસેમ્બર 2014 ના રોજ યુએન જનરલ એસેમ્બલીએ આ પ્રસ્તાવનો સ્વીકાર કર્યો અને 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી. આ પ્રસ્તાવને 177 દેશોનું સમર્થન મળ્યું છે. પહેલી વખત યોગ દિવસ 21 જૂન 2015ના રોજ ઉજવાયો હતો. આ દિવસે વિશ્વભરમાં લાખો લોકોએ સામૂહિક રીતે યોગાભ્યાસ કર્યો. જ્યારે ભારતમાં મુખ્ય કાર્યક્રમનું આયોજન નવી દિલ્હીના રાજપથ પર કરવામાં આવ્યું હતું, જેમાં 35,000 થી વધુ લોકોએ ભાગ લીધો હતો.
21મી જૂને જ શા માટે યોગ દિવસ?
યોગ દિવસની ઉજવણી માટે 21મી જૂનને દિવસ તરીકે પસંદ કરવાનું એક ખાસ કારણ છે. 21 જૂન એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાંબો દિવસ છે, જેને ગ્રીષ્મ સંક્રાંતિ કહેવામાં આવે છે. આ દિવસને વર્ષના સૌથી લાંબા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગ્રીષ્મ સંક્રાંતિ પછી સૂર્ય દક્ષિણાયનમાં પ્રવેશ કરે છે જે યોગ અને આધ્યાત્મિકતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી આ દિવસને યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus