બાંગ્લાદેશના સિરાજગંજમાં નોબેલ વિજેતા રવીન્દ્રનાથ ટાગોરના પૈતૃક ઘર પર ભીડે હુમલો કર્યો, જેમાં તેમના મકાનને ભારે નુકસાન પહોચ્યું હતું. ત્યારબાદ પુરાતત્વ વિભાગે ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યની કમિટીનું ગઠન કર્યું છે.
• રેર અર્થ મેટલ્સ પર ચીન ભારત સાથે ચર્ચા માટે તૈયારઃ ભારતને ઝડપથી ચીનથી રેર અર્થ મેટલ્સની સપ્લાયમાં રાહત મળી શકે છે. ચીને સંકેત આપ્યો કે તે ભારત સાથે આ મુદ્દે વાતચીત કરવા તૈયાર છે. ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ અન્ય દેશો સાથે મળીને સપ્લાય ચેઇનની સ્થિરતા બનાવી રાખવા માટે સંવાદ અને સહયોગને પ્રોત્સાહિત કરવા માગે છે.
• બલૂચ આર્મીએ 23 પાકિસ્તાન સૈનિક ઠાર માર્યાઃ પાકિસ્તાનમાં બલૂચ આર્મી અને પાકિસ્તાનની આર્મી વચ્ચેના ઘર્ષણમાં 23 પાકિસ્તાની જવાનો માર્યા ગયા હતા, જ્યારે બલૂચિસ્તાન આર્મીના 9 બળવાખોર પણ માર્યા ગયા હતા.
• મણિપુરમાં કુકી-મૈતેઇ વચ્ચે ‘મૈત્રી’: અમદાવાદમાં વિમાન દુર્ઘટનાની બે એરહોસ્ટેસના મોત બાદ મણિપુરમાં કુકી અને મૈતેઈ જૂથ વચ્ચે સામંજસ્ય થતું જોવાયું. આ બંને ક્રૂ મણિપુરની રહેવાસી છે અને મૈતેઈ તેમજ કુકી સમુદાયથી આવતી હતી.
• આતંકી હુમલો ટેરર ફન્ડિંગ વિના અશક્યઃ ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)એ 22 એપ્રિલે પહલગામમાં થયેલા આતંકી હુમલા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને તેની કડક નિંદા કરી છે. FATFએ જણાવ્યું કે, આ હુમલો આતંકી ફન્ડિંગ વિના શક્ય નહોતો.
• પ્રધાનમંત્રીને મળવા મંત્રીઓ માટે RT-PCR ફરજિયાતઃ કોરોના વાઈરસના સંક્રમિતોની વધતી સંખ્યાથી ચિંતિત સરકાર એલર્ટ પર છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા આવનારા મંત્રીઓએ RT-PCR ટેસ્ટ કરાવવા જરૂરી બની ગયા છે.
• બ્રિટનના F-35 ફાઇટર જેટનું તિરુવનંતપુરમમાં ઇમર્જન્સી લેન્ડિંગઃ બ્રિટનના F-35 ફાઇટર જેટનું ઇંધણ ખૂટી જતાં શનિવારે તિરુવનંતપુરમ એરપોર્ટ ખાતે ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું. ફાઇટર જેટે કોઈ વિમાનવાહક જહાજથી ઉડાન ભરી હોવાનું કહેવાય છે.
• ભારતના જન્મદરમાં મોટો ઘટાડોઃ ભારતની કુલ વસ્તી 2025માં 1.46 અબજે પહોંચી હોવાનો અંદાજ છે અને તે વિશ્વમાં સૌથી વધુ છે, જો કે દેશમાં કુલ જન્મદર રિપ્લેસમેન્ટ રેટથી નીચે ગબડ્યો છે. આનો અર્થ એ થયો કે ભારતમાં સરેરાશ ધોરણે જરૂર કરતાં ઓછાં બાળકો પેદા થઈ રહ્યાં છે.