ઢાકાઃ બાંગ્લાદેશમાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ઇન્ટરનેશનલ ક્રિમિનલ ટ્રિબ્યૂનલ (ICT-BD) દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યાં છે અને ફાંસીની સજા ફટકારાઈ છે. શેખ હસીનાને મૃત્યુદંડની સજા સંભળાવતાં જ કોર્ટમાં તાળીઓનો ગડગડાટ ગૂંજી ઊઠ્યો હતો. ટ્રિબ્યૂનલે હસીનાને 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન થયેલી હત્યાઓનાં માસ્ટર માઇન્ડ કહ્યાં છે.
હસીનાને હત્યા માટે આદેશ આપવો, ભડકાઉ ભાષણ આપી હિંસા કરાવવી, ન્યાયમાં વિઘ્ન નાખવા અને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ, વિદ્યાર્થી અબુ સઈદની હત્યાનો આદેશ અને ચાંખારપુલમાં 5 લોકોની હત્યા કરી તેમના મૃતદેહ બાળી નાખવા અંગે દોષિત ઠેરવવામાં આવ્યાં છે. કોર્ટે અન્ય એક આરોપી, પૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાનને પણ 12 લોકોની હત્યાના દોષી ઠેરવ્યા અને તેમને પણ ફાંસીની સજા ફટકારી. આ સિવાય ત્રીજા આરોપી પૂર્વ આઇજીપી અબ્દુલ્લા અલ-મામુનને 5 વર્ષની જેલની સજા ફટકારાઈ છે. મામુન સાક્ષી બની ગયો છે. સજા સંભળાવતાં જ કોર્ટરૂમમાં હાજર લોકોએ તાળીઓના ગડગડાટથી ચુકાદાનું સ્વાગત કર્યું હતું. કોર્ટે હસીના અને અસદુઝમાન કમાલની મિલકત જપ્ત કરવા આદેશ આપ્યો છ.
હસીનાએ જ કરી હતી
કોર્ટની સ્થાપના
હસીનાને જે કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે, તે કોર્ટની સ્થાપના હસીનાએ જ કરી હતી. 1971ના બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ દરમિયાન થયેલા વોર ક્રાઇમ્સ અને નરસંહારની તપાસ અને કાર્યવાહી કરવા બાંગ્લાદેશ ઇન્ટરનેશનલ ક્રાઇમ ટ્રિબ્યૂનલની સ્થાપના કરાઈ હતી.
આ નિર્ણય ખોટો અને પક્ષપાતીઃ
શેખ હસીનાનો આક્રોશ
શેખ હસીનાએ કહ્યું કે, તેમની વિરુદ્ધનો ચુકાદો ખોટો, પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત હતો. તેમણે કહ્યું કે, આ ચુકાદો એક બિનચૂંટાયેલી સરકાર દ્વારા સંચાલિત ટ્રિબ્યૂનલ દ્વારા અપાયો હતો, જેમાં જાહેર જનાદેશનો અભાવ હતો. લોકો જાણે છે કે આ સમગ્ર મામલો વાસ્તવિક ઘટનાઓની તપાસ નથી, પરંતુ અવામી લીગને નિશાન બનાવવાનો પ્રયાસ છે. યુનુસ સરકારના શાસનમાં પોલીસ અને ન્યાય વ્યવસ્થા નબળી પડી છે, અવામી લીગ સમર્થકો અને હિન્દુ-મુસ્લિમ લઘુમતીઓ પર હુમલા વધ્યા છે, મહિલાઓના અધિકારોને દબાવાઈ રહ્યા છે અને કટ્ટરપંથીઓનો પ્રભાવ વધી રહ્યો છે. ડો. યુનુસ કોઈ દ્વારા ચૂંટાયા નથી. બાંગ્લાદેશની આગામી ચૂંટણી સંપૂર્ણપણે મુક્ત અને ન્યાયી હોવી જોઈએ.
હસીનાનું ઘર તોડવા તોફાનીઓ રસ્તા પર ઉતર્યા
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ 5 ઓગસ્ટ, 2024એ રાજીનામું આપ્યું અને ભારતમાં આશ્રય લીધો ત્યારથી બાંગ્લાદેશ સતત રાજકીય ઉથલપાથલમાં ફસાયેલું છે. છેલ્લા 15 મહિનામાં તેમના વિરુદ્ધ ઓછામાં ઓછા 15 મોટા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શનો થયા. આમાં ઢાકામાં હિંસક સરઘસો, રાષ્ટ્રપતિ ભવન પર હુમલો, આવામી લીગ પર પ્રતિબંધ સામે રેલીઓ, લોકડાઉન કોલ અને વિદ્યાર્થીઓ અને ધાર્મિક જૂથો દ્વારા કૂચ. હવે, સોમવારે કોર્ટે તેમને મૃત્યુદંડની સજા સંભળાવ્યા પછી તણાવ ચરમસીમાએ પહોંચી ગયો. ઉજવણી કરતી વખતે, બંગબંધુ શેખ મુજીબુર રહેમાનના ઘરને તોડી પાડવાની માગણી કરતા રસ્તાઓ પર તોફાનીઓનો પોલીસ સાથે ટકરાવ થયો હતો. સુરક્ષા દળોએ ટીયર ગેસ, સાઉન્ડ ગ્રેનેડ અને લાઠીચાર્જનો ઉપયોગ કરીને ભીડને રોકવાનો પ્રયાસ કર્યો હતો.
યુનુસે જાણીજોઈને ચરમપંથી શક્તિ સાથે હાથ મિલાવ્યાઃ હસીના
શેખ હસીનાએ દેશમાં ચાલી રહેલી ઊથલપાથલ વચ્ચે એક મોટો આરોપ કર્યો છે. એક ઈન્ટરવ્યૂમાં તેમણે દાવો કર્યો કે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહંમદ યુનુસની વિદેશનીતિ દિશાહીન છે. તે જાણીજોઈને દેશને એવા માર્ગે લઈ જાય છે, જ્યાંથી ભારત સાથેનું અંતર વધારીને દેશ ગંભીર જોખમમાં મુકાઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, યુનુસની આ રણનીતિ ચરમપંથી શક્તિઓને શક્તિશાળી બનાવે છે અને તેનાથી દક્ષિણ એશિયાની સ્થિરતા પણ પ્રભાવિત થઈ શકે છે. શેખ હસીના અનુસાર ભારત બાંગ્લાદેશનો સૌથી જૂનો અને વિશ્વાસપાત્ર દેશ છે, જે ભૌગોલિક, આર્થિક અને સુરક્ષા બાબતોમાં ઢાકાનું સૌથી સ્વાભાવિક ભાગીદાર પણ છે.

