ગ્રુમિંગ ગેંગઃ નેશનલ ઇન્કવાયરી માટે સરકારના ઠાગાઠૈયા

Wednesday 21st May 2025 06:10 EDT
 

તાજેતરમાં યુકેમાં સક્રિય પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગોનો પર્દાફાશ કરનાર પત્રકાર એન્ડ્રુ નોરફ્લોકનું નિધન થયું. તેમના ઇન્વેસ્ટિગેટિવ પત્રકારત્વના કારણે ગ્રુમિંગ ગેંગો દ્વારા સગીરાઓનું શારીરિક શોષણ કરવાના સુનિયોજિત કારસાઓ સામે આવી શક્યાં હતાં. તેમ છતાં આજે પણ સેંકડોની સંખ્યામાં પીડિત સગીરાઓને ન્યાય મળી શક્યો નથી.
ગ્રુમિંગ ગેંગોના મામલે નેશનલ પબ્લિક ઇન્કવાયરી શરૂ કરાવવાની માગ ઘણા લાંબા સમયથી ચાલી રહી છે પરંતુ અગમ્ય કારણોસર લેબર સરકાર નેશનલ ઇન્કવાયરીના મુદ્દે પીછેહઠ કરી રહી છે. પહેલાં તો લેબર સરકાર પાંચ વિસ્તારોમાં સ્થાનિક તપાસ માટે રાજી થઇ હતી પરંતુ હવે તેનું પણ ફીંડલુ વાળવામાં આવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. અત્યાર સુધીના મોટાભાગના મામલાઓમાં પાકિસ્તાની મૂળના નરાધમોની સંડોવણી સામે આવી હોવા છતાં સરકાર મૂળ મુદ્દાની તપાસને બદલે બાળકોના જાતીય શોષણની વ્યાપક તપાસની આડમાં શું સંતાડવા માગે છે તે સમજાતું નથી. સેફગાર્ડિંગ મિનિસ્ટર જેસ ફિલિપ્સના તાજેતરના નિવેદનો સ્પષ્ટ કરે છે કે ચાઇલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ અને એક્સ્પ્લોઇટેશનના નામે સમગ્ર મામલાને દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
ઘણાને એમ લાગી રહ્યું છે કે સરકાર લેબર પાર્ટીના કોર મતદારો નારાજ થશે તેવા ભયના કારણે કાયરતાપૂર્ણ પીછેહઠ કરી રહી છે. પાકિસ્તાની મૂળના મુસ્લિમો દ્વારા શ્વેત સગીરાઓને વર્ષોથી સુનિયોજિત રીતે શિકાર બનાવવામાં આવી રહી હોવાની વાસ્તવિકતા છતાં નેતાઓ રક્ષણાત્મક અભિગમ અપનાવી રહ્યાં છે. શીખ સમુદાયની કન્યાઓને પણ મુસ્લિમોના જૂથો દ્વારા લક્ષ્યાંક બનાવવામાં આવતી હોય છે. સરકાર નેશનલ ઇન્કવાયરીના મુદ્દે ગલ્લાં તલ્લાં કરતી રહી છે અને તેના કારણે એવી છાપ ઉપસી રહી છે કે પીડિતો પ્રત્યેની જવાબદારીને સ્થાને રાજકીય હિતોને વધુ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
આખરે સરકારને શેનો ડર લાગી રહ્યો છે. ગ્રુમિંગ ગેંગોના મામલે સરકાર દ્વારા સ્પષ્ટ વલણ કેમ અપનાવવામાં આવી રહ્યું નથી. અગાઉ આવું જ વલણ હોરાઇઝન આઇટી સ્કેન્ડલના પીડિત સબ પોસ્ટમાસ્ટરો માટે પણ અપનાવવામાં આવ્યું હતું. આ સ્કેન્ડલ બ્રિટિશ ન્યાયતંત્રની સૌથી મોટી કસુવાવડ પૂરવાર થયું હતું. ગ્રુમિંગ ગેંગની શિકાર પીડિતાઓ પણ ન્યાયની આશા રાખી રહી છે. જો નેશનલ ઇન્કવાયરી જાહેર કરાય તો અત્યાર સુધી મૌન સેવીને બેઠેલી ઘણી પીડિતાઓ સામે આવી શકે છે, ન્યાય મેળવી શકે છે. પરંતુ સરકારના વલણને જોતાં લાગી રહ્યું છે કે તેમને પણ સબ પોસ્ટમાસ્ટરોની જેમ ન્યાય મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડશે.


comments powered by Disqus