ક્વેટાઃ પાક. સરકાર સામે વિદ્રોહનું રણશિંગું ફૂંકનાર બલૂચિસ્તાને આખરે પાકિસ્તાનથી આઝાદીની જાહેરાત કરી દીધી છે. બલૂચ નેતા મીર યાર બલોચે બુધવારે ત્યાં પાક. દ્વારા દાયકાઓથી ચાલી રહેલી હિંસા અને લોકોના અપહરણ કરીને તેને ગુમ કરવાના કિસ્સા તેમજ માનવ અધિકારોના ભંગ સામે પાકિસ્તાનથી સ્વતંત્રતાની જાહેરાત કરી છે. બલોચ નેતાએ કહ્યું કે, બલૂચિસ્તાન હવે પાકિસ્તાનમાં નથી. તેમણે હવે ભારત અને વિશ્વના અન્ય તમામ દેશો પાસેથી આઝાદી માટે બલૂચિસ્તાનને ટેકો જાહેર કરવા માગણી કરી હતી.
પીઓકે ખાલી કરવાની માગ આવકારી
બલોચ નેતા મીર યાર બલોચે ભારત દ્વારા પાક. સમક્ષ PoK ખાલી કરીને ભારતને સોંપવામાં આવે તેવી કરાયેલી માગણીને આવકારવામાં આવી હતી. તેમણે લખ્યું કે બલૂચિસ્તાન ભારત દ્વારા 14 મે 2025ના રોજ પાકિસ્તાન પાસે પીઓકે ખાલી કરવા કરાયેલી માગણીને અમારું પૂરેપૂરું સમર્થન છે. વિશ્વના દેશોએ પણ PoK ખાલી કરવાની માગણી કરીને પાકિસ્તાન સમક્ષ PoK ખાલી કરવાનો આગ્રહ કરવો જોઈએ.
80 ટકા બલૂચિસ્તાનથી નિયંત્રણ ગુમાવ્યું
બલોચ અમેરિકન કોંગ્રેસના મહાસચિવ રઝાક બલોચે દાવો કર્યો છે કે, બલૂચિસ્તાન પ્રાંત પર હવે પાકિસ્તાન સરકારનું કોઈ નિયંત્રણ રહ્યું નથી. પાકિસ્તાની સૈનિકો રાતના અંધારામાં રાજધાની ક્વેટા છોડીને બહાર પણ નીકળી શકતા નથી. ચૂંટાયેલા પાકિસ્તાની અધિકારીઓએ પણ કબૂલ્યું છે કે, પાકિસ્તાની સૈનિકો સુરક્ષાના ભયથી સાંજે 5થી સવારે 5 સુધી પેટ્રોલિંગ કરવાનું ટાળે છે. રઝાક બલોચે કહ્યું કે, પાકિસ્તાને બલૂચિસ્તાન પ્રાંતના 80 ટકા ભાગ પરથી નિયંત્રણ ગુમાવી દીધું છે. આ વિસ્તારો પર હવે બલોચ લોકોનો કબજો છે. તેમણે સંયુક્ત રાષ્ટ્ર સંઘ અને ભારત સહિત વૈશ્વિક સત્તાઓને આઝાદી માટે સંઘર્ષ કરતા બલોચ લોકોની મદદ માટે શાંતિ સેના મોકલવા વિનંતી પણ કરી છે.