આદિકાળથી માનવ સ્થળાંતર અવિરતપણે ચાલી રહ્યું છે. માનવી વેપાર, સત્તા, સારી જીવન સુવિધાઓ માટે સ્થળાંતર કરતો જ રહ્યો છે. આવામાં વડાપ્રધાન સર કેર સ્ટાર્મરે ઇમિગ્રન્ટ્સના કારણે બ્રિટન અજાણ્યાઓનો ટાપુ બની જશે તેવું શરમજનક નિવેદન આપીને વિવાદના વમળો સર્જી દીધાં છે. ફાર રાઇટ્સ એવા રિફોર્મ યુકેના હાથમાં સત્તા જતી બચાવવા સ્ટાર્મર સરકારે ઇમિગ્રન્ટ્સ સામે આકરું વલણ અપનાવવાનું શરૂ કરી દીધું છે. પરંતુ વડાપ્રધાન કેર સ્ટાર્મર બ્રિટિશરોના જ ઇતિહાસને ભૂલી રહ્યાં છે.
16મી સદીમાં સમૃદ્ધિની શોધમાં બ્રિટિશરોએ સમગ્ર વિશ્વમાં ખાંખાખોળા શરૂ કર્યાં હતાં. ભારતીય ઉપખંડની સમૃદ્ધિએ તેમને ઇમિગ્રન્ટ્સ તરીકે ભારત પહોંચવા મજબૂર કર્યાં હતાં. સ્ત્રોતોની શોધમાં બ્રિટિશરો ન કેવળ એશિયા પરંતુ અમેરિકા, આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સુધી લાંબા થયાં હતાં. આજે બ્રિટનના વડાપ્રધાન સ્ટાર્મર ઇમિગ્રન્ટ્સને અજાણ્યા લોકો તરીકે વર્ણવી રહ્યાં છે પરંતુ તેમના જ પૂર્વજો દુનિયાના અનેક દેશમાં પહોંચ્યા હતા. વેપારના બહાને પહોંચેલા બ્રિટિશરોએ ભારત સહિતના અનેક દેશોમાં સત્તા હસ્તગત કરી અને સ્થાનિકોને ગુલામ બનાવીને રાખ્યાં. જો બે વિશ્વયુદ્ધે બ્રિટનની આર્થિક કમ્મર તોડી ન હોત તો આજે પણ આ દેશો બ્રિટનના ગુલામ જ હોત.
બીજીતરફ બ્રિટનમાં આવેલા ઇમિગ્રન્ટ્સે ક્યારેય બ્રિટનમાં સત્તા હાંસલ કરવાનો પ્રયાસ કર્યો નથી કે બ્રિટિશરોને ગુલામ બનાવવાની તજવીજ કરી નથી. ઉલટાનું ભારતીય સહિતના ઇમિગ્રન્ટ્સે બ્રિટનના આર્થિક વિકાસમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આજે બ્રિટનનો સૌથી અમીર પરિવાર ભારતીય મૂળનો હિન્દુજા પરિવાર છે. બ્રિટનના ટેલિકોમ, સ્ટીલ અને ઓટોમોબાઇલ ઉદ્યોગોમાં ભારતીય કંપનીઓ અને ભારતીય મૂળના બ્રિટિશરોનો દબદબો છે. અનેક બ્રિટિશ ભારતીય આજે નાનાથી માંડીને મોટા બિઝનેસ બ્રિટનમાં ચલાવીને મોટું યોગદાન આપી રહ્યાં છે.
ફક્ત બિઝનેસ જ નહીં પરંતુ બ્રિટનના સામાજિક અને રાજકીય માળખામાં પણ ઇમિગ્રન્ટ્સનું યોગદાન અભુતપૂર્વ રહ્યું છે. બ્રિટિશ લોકશાહીને મજબૂત બનાવવામાં ઇન્ડિયન ડાયસ્પોરાના યોગદાનને વડાપ્રધાન સ્ટાર્મર કેવી રીતે અવગણી શકે. એકસમયે જે ભારતને ગુલામ બનાવ્યો હતો તે જ ભારતીય મૂળના રિશી સુનાક બ્રિટનના વડાપ્રધાનપદ સુધી પહોંચ્યા હતા. આજે બ્રિટિશ સંસદના બંને ગૃહમાં ભારતીય મૂળના સાંસદો અને લોર્ડ્સની ભરમાર છે. કાઉન્સિલોમાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના કાઉન્સિલરો વહીવટમાં યોગદાન આપી રહ્યાં છે. તાજેતરમાં જ હેરોમાં અંજના પટેલ અને વેલિંગબરોમાં રાજ મિશ્રા મેયરપદે ચૂંટાઇ આવ્યાં છે. આમ બ્રિટિશ ભારતીયો બ્રિટિશ લોકશાહીને વધુને વધુ મજબૂત બનાવી રહ્યાં છે.
સામાજિક ક્ષેત્રમાં પણ ઇમિગ્રન્ટ્સનું યોગદાન ઊડીને આંખે વળગે તેવું છે. આજે તેમના દ્વારા મોટી સંખ્યામાં ચેરિટી સંસ્થાઓ ચલાવવામાં આવી રહી છે. એનએચએસ જેવી સરકારની કરોડરજ્જૂ સમાન સેવા અને સોશિયલ કેર સેક્ટર ઇમિગ્રન્ટ્સ વિના ચાલી શકે તેમ નથી તેમ છતાં હવે વડાપ્રધાન સ્ટાર્મરને ઇમિગ્રન્ટ્સ અજાણ્યા લોકો લાગે છે. યુનિવર્સિટીઓથી માંડીને પ્રાથમિક શાળાઓ સુધી ઇમિગ્રન્ટ્સ મહત્વની સેવા આપી રહ્યાં છે. સંશોધન ક્ષેત્રે પણ ઇમિગ્રન્ટ્સ પાછળ નથી. તો પછી વડાપ્રધાનને તેઓ અજાણ્યા કેમ લાગવા માંડ્યા છે.
વડાપ્રધાન સ્ટાર્મર એ વાત ભૂલી જાય છે કે બે વિશ્વયુદ્ધમાં બ્રિટિશ સેના વતી લાખો ભારતીયો લડ્યાં હતાં. શું એ વખતે બ્રિટનને ભારતીય સૈનિકો અજાણ્યા લાગતાં નહોતાં. આજે પણ બ્રિટિશ સેનામાં મોટી સંખ્યામાં ભારતીય મૂળના સૈનિકો અને અધિકારીઓ ફરજ બજાવી રહ્યાં છે. આજે પણ બ્રિટિશ સેનાને ગુરખા સૈનિકોની જરૂર છે. તાજેતરમાં જ ગુરખાઓની આર્ટિલરી યુનિટ બનાવવાની કવાયત કરવામાં આવી. સ્ટાર્મરને સીધો સવાલ એ છે કે શું આ ઇમિગ્રન્ટ્સ તેમના માટે અજાણ્યા નથી.
ફક્ત ફાર રાઇટ્સને સત્તા પર આવતા અટકાવવા ઇમિગ્રન્ટ્સના યોગદાનને ભૂલી જવું યોગ્ય નથી. વડાપ્રધાન સ્ટાર્મરે એ વાત સારી રીતે સમજી લેવાની જરૂર છે કે ઇમિગ્રન્ટ્સ વિના બ્રિટનનો ઉદ્ધાર નથી.