દમાસ્કસઃ રવિવારે રાત્રે સીરિયાની રાજધાની દમાસ્કસમાં થયેલા ભયાનક આત્મઘાતી હુમલામાં 25 લોકોનાં મોત થયાં અને 60 ઘાયલ થયા. આ હુમલો ગ્રીક ઓર્થોડોક્સ સેન્ટ એલિયાસ ચર્ચમાં ત્યારે થયો, જ્યારે ડઝનબંધ લોકો પ્રાર્થનામાં ભાગ લઈ રહ્યા હતા. ઇસ્લામિક સ્ટેટ (ISIS) સાથે જોડાયેલા એક આતંકવાદીએ ચર્ચમાં ઘૂસીને પહેલા ગોળીબાર કર્યો અને પછી પોતાને ઉડાવી દીધો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હુમલાખોર સાથે બીજો એક બંદૂકધારી પણ હતો, જેણે ભીડ પર ગોળીબાર કર્યો હતો, પરંતુ બોમ્બ વિસ્ફોટ કર્યો નહોતો. તે સમયે ચર્ચમાં લગભગ 150 થી 350 લોકો હાજર હતા.
સીરિયન સુરક્ષા દળો દ્વારા હુમલાની તપાસ શરૂ કરવામાં આવી છે. સીરિયન સરકારે એમ પણ કહ્યું કે, ધાર્મિક લઘુમતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે. નવી સરકાર HTS (હયાત તહરિર અલ-શામ)ના પૂર્વ ઇસ્લામિક બળવાખોર નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે, જેઓ અગાઉ IS સામે પણ લડી ચૂક્યા છે.