આદિ કવિ નરસિંહની અનુભૂતિ એટલે તેમના વંશજ જવાહર બક્ષી

બાદલ લખલાણી Wednesday 28th May 2025 06:10 EDT
 
 

ગુજરાતી હોવાનું ગૌરવ લેતા ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ દ્વારા ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 60મા અધ્યાયની ચર્ચામાં ગુજરાતીને ગૌરવ અપાવતો વિષય પસંદ કરવામાં આવ્યો. આ જ મહાન ઉદ્દેશ્ય સાથે ગુજરાત સમાચારના આ વિશેષ મંચ પર આદ્યકવિ નરસિંહ મહેતાને યાદ કરતાં તેમના વંશજ અને ગઝલકાર જવાહર બક્ષીને આમંત્રણ આપવામાં આવ્યું.
આ વિશેષ કાર્યક્રમની ધુરા સંભાળતાં ભારતીબહેન વોરાએ કહ્યું કે, સી.બી. પટેલે સતત 53 વર્ષથી તેમના સમાચાર પત્ર દ્વારા ગુજરાતી ભાષા અને ગુજરાતીઓને એકતાંતણે બાંધી રાખ્યા છે. તેમના દ્વારા આયોજિત સોનેરી સંગત પણ આ જ ઉદ્દેશ્ય સાથે એટલી જ મહત્ત્વની છે, જેમાં લબ્ધ પ્રતિષ્ઠિત ગઝલકાર જવાહરભાઈ બક્ષીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
તમે 12 વર્ષની કૂમળી વયે તમે પ્રથમ છંદોબદ્ધ ગઝલ લખી તેની પ્રેરણા ક્યાંથી મળી? તમે તેની રજૂઆત કરી ત્યારે કેવી લાગણી થઈ અને કેવો પ્રતિભાવ મળેલો?
જવાહર બક્ષીઃ હું ડાયરા, ભજન વાણી અને મુશાયરામાં જ ઊછરેલો છું બાળક. જો કે મારી ગઝલના પાયામાં વર્ષ 1950થી 1955નો સમયગાળો રહ્યો, જ્યારે મારા પરિવારમાં કનૈયાલાલ મુનશીની બ્રીફ લખતા મારા નાના, તત્કાલીન ડિસ્ટ્રિક્ટ જજ મારા પિતા, મારા માસા, મારા ફુવા, મારાં કાકી અને મારી મારી નાની બહેનનું મૃત્યુ થયું. તે સમયે અમને બાળકોને આ સમયે કહેવાતું કે તેમને ‘ભગવાન પાસે લઈ જાય છે.’ આ સમયે અમે બાળકો ભગવાન વિશે વિચારતા - કહું તો ગાળો દેતા થઈ ગયાં. આ વેદનાથી મારી ચેતનામાં જીવનની ક્ષણભંગુરતા પુષ્ટ થઈ ગઈ, જે આવ્યું છે તે જશે તે વાસ્તવિકતા મારામાં સ્થિર થઈ ગઈ. આમ થોડા સમય પછી જ મારી એક ગઝલ આવી ‘જળનો જ જીવ છું, ફરી જળમાં વહી જઈશ; પળભર બરફમાં બંધ છું, પળમાં વહી જઈશ. પળભર મળ્યા છે મેઘધનુ રંગરૂપનાં, અરે કાળજ ન આંજ હમણાં આ પળમાં વહી જઈશ.’ એટલે કે જીવન પહેલાં પણ આપણે નિરાકાર હતા અને જીવન બાદ પણ આપણે નિરાકારમાં સમાઈ જવાના છીએ. જીવનના સાત રંગ સામે
મૃત્યુનું કાજળ અને બીજું કે ટાપટીપ કરવાનું છોડ જીવન જેમ છે તેને માણી લે.
મારી એક આખ્યાન ગઝલ છે તેમાં તમે જોશો કે કેવી રીતે આ વારંવાર મારી ક્ષણભંગુરતા પ્રગટ થાય છે કે, ‘ભગ્ન સમયની સોય પર એને મળવાના પાયા બાંધ્યા, જાત ફનાની સાવ અણી પર પરપોટાના કિલ્લા બાંધ્યા.’ આ જીવન પરપોટો છે, ગમે ત્યારે ફૂટી જાય પણ એને મજબૂત બનાવી ક્ષણભંગુરતામાં અનંતતાની યાત્રા મેં શરૂ કરી છે.
અમારા ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ પુસ્તકાલય હતાં, જે બંનેમાં હું સભ્ય હતો અને ત્યાં સંસ્કૃત આચાર્યોથી લઈ મને જમતી ગઝલો અંગેનું મેં ખૂબ વાંચન કર્યું. ત્યાં 34 કવિઓનું દર શનિવારે મિલન થતું, જેમાં રાજેન્દ્ર શુક્લ, મનોજ ખંડેરિયા જેવા અનેક કવિઓ આવતા; હું પણ ત્યાં જતો, પરંતુ કોઈને કાંઈ સંભળાવતો નહીં. જો કે બાદમાં જૂનાગઢના નાગરવાડામાં દરવર્ષે આયોજિત દિવાળી સંમેલનમાં 12 વર્ષની વયે મેં ‘આજે જીવી જઈએ, કાલે મરી જવાના’ ગઝલ રજૂ કરી હતી.
કવિઓના એ મિલન સંમેલનમાં તખ્તસિંહજી પરમાર, પ્રોફેસર મઝલુમી આવતા, મનુભાઈ ત્રિવેદી પણ ત્યાં જજ તરીકે આવેલા હતા. મનુભાઈ ગાફિલના નામે ગઝલ અને સરોદના નામે ભજન લખતા. અહીં શાયરની ગઝલ અને શાયરી પર જે ટીકા થાય – કે અહીં આ શબ્દ ખોટો હતો, અહીં છંદ છૂટો પડે છે, અહીં પ્રતીક ખોટું છે, અહીં કલ્પના ખોટી છે. આ વાતાવરણમાં મારી ગઝલની સૌંદર્યલક્ષી વિભાવના વધુ સતેજ બની. મારા જૂનાગઢ રહેતાં આમ મારી ગઝલોનાં મૂળ નખાયાં.
મુંબઈમાં અભ્યાસ દરમિયાન પણ તમારું ગઝલ સર્જન તો ચાલુ રહ્યું. આ ગાળા દરમિયાન તમારી સાથેના મરિઝ, શૂન્ય અને સૈફના તમે પ્રિય શાયર બની ગયા તેના વિશે અમને જણાવો
જવાહર બક્ષીઃ 1947થી 1964 દરમિયાન જૂનાગઢમાં જ અભ્યાસ કર્યો. મે 1964માં મેં સિડેનહામ કોલેજમાં પ્રવેશ લીધો, જેના બે વર્ષ બાદ ગુજરાતી સાહિત્ય મંડળ સિડેનહામ કોલેજમાં સેક્રેટરી થયો અને 1965-66માં મુશાયરા સાંભળેલા. આ સમયે સૈફ પાલનપુરી સંચાલન કરતા હતા અને મેં નક્કી કર્યું કે આપણે મુશાયરો કરીએ. મુશાયરાનો મારો વિચાર સાંભળીને અને મારા હાલ જોઈને તેમને થયું કે 19 વર્ષનો આ જૂનાગઢી શું મુશાયરો કરશે, એટલે એમણે મારી પાસે ગઝલો, ઊર્દૂ શેર સાંભળ્યા. એ સમયે તેમણે મને કહ્યું કે, તમારી પસંદગી ખૂબ સારી છે, આપણે મુશાયરો કરીએ.
આ સમયે મેં પણ એમની પરીક્ષા લીધી. મેં એમને કહ્યું કે, સૈફભાઈ તમારી દૃષ્ટિએ ગુજરાતી ગઝલનો શ્રેષ્ઠ શેર કયો? અને એમણે કહ્યું, ‘જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરિઝ, એક તો ઓછી મદીરા છે ને ગળતું જામ છે.’ આ સમયે મારાથી અનાયાસે કહી દેવાયું કે, આ શેર ખોટો છે. આ સાંભળી તેઓ તાડુક્યા ‘શું કહ્યું, શેર ખોટો છે? કેવી રીતે?’ મેં કહ્યું, પીવામાં જલ્દી ન કરાય, એનો લુત્ફ ન આવે. તેમણે મને કહ્યું, ‘લુત્ફનો અર્થ જાણો છો?’ હા, સાહેબ પીવાની જે વિશેષ પ્રકારની મસ્તી છે, તે ઝડપથી ન આવે. આ સમયે સૈફે ખુશ થઈને કહ્યું કે, ‘હા, હું આવીશ પણ તમારે બીજા કોને બોલાવવાના છે?’ મેં કહ્યું, ઘાયલ સાહેબ તો મારા બનેવી જેવા છે એટલે તેઓ આવશે. આ સાથે બેફામ અને શૂન્યને બોલાવીશ, પણ શૂન્ય સાહેબ ક્યાં મળશે. તેમના જ કહેવાથી હું બીજા દિવસે મુંબઈ સમાચાર ખાતે શૂન્ય સાહેબને મળવા પહોંચ્યો. પાંચથી સાત મિનિટ બાદ તેઓ આવ્યા અને કહ્યું કે, ‘તમે જ જવાહર બક્ષી, શેર ખોટો છે, લુત્ફવાળા જ ને!’ આ સાંભળી હું હલબલી ગયો, કારણ કે શૂન્ય ઉસ્તાદોના ઉસ્તાદ ગણાતા. મેં નમ્રભાવે તેમનું મંતવ્ય પૂછતાં તેમણે કહ્યું કે, ‘મારી સૈફ સાથે વાત થઈ. મેં તેને કહ્યું કે જિંદગીના વ્યવહારમાં આ શેર ખૂબ ઉત્તમ છે, પરંતુ ગઝલના હુસ્ન-એ-ખ્યાલ છે - વિચાર અને કલ્પનાનું સૌંદર્ય છે તેમાં શેર નબળો પડે છે.’ બસ, આ દિવસથી મારો સિક્કો જામી ગયો અને પછી તો હજારો કલાક મેં તેમની સાથે વિતાવ્યા.
જવાહરભાઈ ગુજરાતીની છંદ ગઝલ પરંપરા અંગે સમીક્ષા કરી અમને જણાવશો
જવાહર બક્ષીઃ ગઝલના સીમાડા વિસ્તારવા છંદ અને તેના પ્રકારમાં ઘણા પ્રયોગ કર્યા, જેમ કે દોહા ગઝલ, છપ્પા ગઝલ, કુંડળી ગઝલ, આખ્યાન ગઝલ, ભજન ગઝલ, ગીત ગઝલ, ગરબા ગઝલ. જોવાનું એ છે કે ગીત ગઝલમાં ‘રે લોલ...’ છે. અષ્ટનાયિકા ગઝલો - જેના પ્રિયતમા કે પ્રિયતમ પરદેશ ગયાં હોય તેના વિરહની ‘તારા જવાનું જ્યારે મને સાંભળે રે લોલ... આકાશ મારી આંખમાં ટોળે વળે રે લોલ...’ આ મારો શેર તે જમાનામાં ક્લાસિક ગણાતો, જે ખૂબ મોર્ડન અભિવ્યક્તિ છે કે, ‘પરદેશીનું સ્મરણ તો ફકત આજની જ હૂંફ, કાલે ફરી બરફનો સૂરજ ઊગશે રે લોલ...’
હું લંડનમાં પ્રવીણભાઈ શાહના ઘરે મારો નરસિંહ મહેતાનો કાર્યક્રમ હતો. આ સમયે મારી પત્ની દક્ષાનો ફોન આવ્યો, તેણે કહ્યું કે તમારે ભગવતી શર્માને ફોન કરવાનો છે. એક કાગળ આવ્યો છે કે તમને નર્મદ સુવર્ણ ચંદ્રક અપાય છે. મેં આ અંગે ભગવતીભાઈને ફોન કર્યો અને તેમણે મને કહ્યું કે, ‘જવાહર તમને કદાચ ખબર નથી કે 100 વર્ષના ઇતિહાસમાં કોઈપણ ગઝલસંગ્રહને આ એવોર્ડ મળ્યો નથી. આ એવોર્ડ પાંચ વર્ષમાં એકને જ મળે છે અને તમારું ‘‘તારાપણાના શહેરમાં’’ તેમાં પસંદ થયું છે.’ આ સાંભળી મારી તો રાડ પડી ગઈ કે, મારી પહેલાં સઇદા, મરીઝ, શૂન્ય, બેફામ અને મારી પહેલાની પેઢીમાં આદિલ મન્સૂરી, મનોજ ખંડેરિયા, રાજેન્દ્ર શુક્લ, ચીનુ મોદી, મનહર મોદી, અદમ ટંકારવી તેમણે પણ બહુ મોટું કામ કર્યું છે. મર્યાદામાં રહીને અનંતતાને પામવાનો મારો જે પ્રયત્ન છે, એ અનેર રીતે હું અનંતતાને પામ્યો છું તેમ કહી શકું. આ કામને કારણે મને આ એવોર્ડ મળ્યા છે.
અમને નરસિંહ મહેતા અને તેમનાં કાવ્યો વિશે જણાવો.
જવાહર બક્ષીઃ નરસિંહ મહેતાની કવિતાઓના કેટલાક સંકેતો છે તે પકડી શકાયા નહોતા. મેં 25 વર્ષ સંશોધન કર્યા બાદ પીએચડી શરૂ કર્યું. આ સંશોધન બાદ મેં સિદ્ધ કર્યું છે કે નરસિંહ મહેતા પોતે એક યોગી હતા, અવધૂત હતા, જ્ઞાની-વેદાંતી હતા, ભક્ત હતા અને એક નિપુણ કવિ હતા. જેમને કાવ્યશાસ્ત્ર અને તે પહેલાં લખાયેલી ભાગવત અને જયદેવની કવિતા જેના ચાતુરીનાં ગીતો ગીતગોવિંદ પર આધારિત છે. તેમની મધુરા ભક્તિનાં શૃંગાર કાવ્યો છે, જેને કારણે તેમને જેલમાં જવું પડ્યું ‘પહેર શણગાર ને હાર, ગજગામિની, ક્યારની કહું છું જે ચાલ ઊઠી; રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ; આજ તો લાજની દુહાઈ છૂટી.’ આ જે ચૂમવાની, વળગવાની, ઝૂમવાની વાત છે એ અંગે લોકોને એમ થયું કે આ ભક્તિ નથી. એ લોકોને શૃંગાર ભક્તિની પરંપરા ખબર જ નહોતી. એમના પછી તરત જ વલ્લભાચાર્ય આવ્યા તેમણે પણ બાળકૃષ્ણની ભક્તિ પર વધારે પ્રાધાન્ય આપ્યું.
એક દાખલો આપું, ‘જળકમળ છાંડી જાને બાળા’ કાવ્ય આપણા દરેક ક્લાસમાં હજારો શિક્ષકો દ્વારા ભણાવવામાં આવ્યું, પરંતુ 600 વર્ષમાં કોઈને ખબર ન પડી કે તે કુંડલિની યોગનું કાવ્ય છે. મેં શિવસંહિતાના યોગીઓનો એક સર્વમાન્ય ગ્રંથ, પતંજલિના, ભગવદ્ ગીતાના આધારો સાથે મેં મારી થીસીસ પ્રૂવ કરી છે.
કાર્યક્રમના સમાપન પ્રસંગે સી.બી. પટેલે કહ્યું કે, ગુજરાતી ભાષાના મૂળાક્ષરોનું આજે સુંદર મિશ્રણ કરવામાં આવ્યું. કાયમ માટે ગુજરાતીતા આપણી અસ્મિતા રહેશે અને તેમાં જવાહર બક્ષીનું અનુદાન સુવર્ણ અક્ષરે કાયમ માટે અંકિત થઈ ગયું છે.


comments powered by Disqus