વેટિકનઃ ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ)ના પ્રતિનિધિઓને વેટિકન સિટીના સેન્ટ પીટર્સ બેસિલિકા ખાતે નવનિયુક્ત પોપ લીઓ XIVના રવિવાર, 18 મે 2025ના રોજ અધિષ્ઠાપન પ્રાર્થના સમારોહમાં ઉપસ્થિત રહેવાનું સન્માન સાંપડ્યું હતું. આ ઐતિહાસિક પ્રસંગે વિશ્વના દેશોના વડાઓ અને ધાર્મિક નેતાઓ સાથે IOJના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મેહૂલ સંઘરાજકા MBE, સેક્રેટરી અમિત લાઠીઆ અને ટ્રેઝરર દીલિપ શાહે વૈશ્વિક જૈન સમાજનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
જૈન પ્રતિનિધિઓને 19 મેએ અન્ય ધાર્મિક નેતાઓની સાથે પોપ લીઓ સાથે ખાનગી બેઠકમાં પણ આમંત્રિત કરાયા હતા. આ વિશિષ્ટ મુલાકાત દરમિયાન ડો. સંઘરાજકાએ વિશ્વ જૈન સમાજ વતી પોપ લીઓ XIVને જૈન મૂલ્યો અહિંસા, સત્ય અને આધ્યાત્મિક જ્ઞાનના પ્રતીક સમાન ‘તત્વાર્થસૂત્ર’ ગ્રંથની નકલ ભેટ આપી હતી. બીજી સદીના આ પાયારૂપ જૈન ગ્રંથને આચાર્ય ઉમાસ્વાતિએ લખ્યો હતો. ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીએ 30 કરતાં વધુ વર્ષથી વેટિકન સાથે આંતરધર્મી સંવાદ અને વિશ્વના ધર્મો વચ્ચે પારસ્પરિક આદરને આગળ વધારવાની સહભાગી પ્રતિબદ્ધતાનો અર્થસભર સંબંધ જાળવી રાખ્યો છે. આ જ રીતે ઈન્સ્ટિટ્યૂટનું પ્રતિનિધિત્વ 2013માં દિવંગત પોપ ફ્રાન્સિસના અધિષ્ઠાપન સમારોહમાં દિવંગત હર્ષદ સંઘરાજકા MBE દ્વારા કરાયું હતું. વૈશ્વિક ધાર્મિક ઈવેન્ટ્સમાં જૈન ઉપસ્થિતિનો વારસો જાળવી રખાયો છે.
આ પ્રસંગ જૈન ફીલોસોફીમાં અભિપ્રેત મૂલ્યો, તમામ ધર્મો વચ્ચે આપસી સમજ, શાંતિ અને સહકારને વિકસાવવાની ઈન્સ્ટિટ્યૂટની પ્રતિબદ્ધતાને પુનઃસ્થાપિત કરે છે.