હાલ ભારતના પ્રતિનિધિમંડળો નાના-મોટા દેશોની મુલાકાત લઇ રહ્યાં છે. તેમનું આ મિશન બહુપરિમાણીય છે. મોટાભાગના લોકોનું માનવું હોઇ શકે કે તેનો હેતૂ ઓપરેશન સિંદુર પર ભારતનો પક્ષ રજૂ કરવાનો છે. અને હા, આ ગેમપ્લાનનો જ હિસ્સો છે. જોકે, આંતરરાષ્ટ્રીય ભાગીદારો સુધી વધુ ગંભીર સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે. તેનો અર્થ એ થાય છે કે પાકિસ્તાનનો અંત નજીક છે. હવે બહુ થયું. ભારત તેના સાર્વભૌમત્વની સુરક્ષા માટે પગલાં લેતાં પહેલાં કશાની રાહ નહીં જૂએ, કોઇ દેશની મંજૂરી નહીં માગે.
ભારતે પાકિસ્તાનને પહોંચાડેલું નુકસાન વર્ણવવામાં ઘણી કાળજી રાખી છે. ભારત પાકિસ્તાનને છાતી ઠોકવાની પરવાનગી પણ આપી રહ્યો છે. જ્યારે તમે આકાશમાં ઘણે ઊંચે ઉડવાના પ્રયાસ કરતા દુશ્મનને ઘૂંટણિયે લાવી દો છો ત્યારે ઇતિહાસમાં હંમેશ માટે તેની નોંધ લેવાઇ જાય છે અને દુશ્મનને તે હંમેશા યાદ રહે છે.
હવે સ્પષ્ટ થઇ રહ્યું છે કે ભારતે પાકિસ્તાનને બરાબરનો પાઠ ભણાવ્યો છે. ભારતે હાથ ધરેલા ઓપરેશન સિંદુરમાં 9 આતંકવાદી કેમ્પ અને 140 આતંકવાદીઓનો સફાયો થઇ ગયો હતો. ભારતે આતંકવાદીઓને સાથ આપી રહેલી પાકિસ્તાની સેનાને પદાર્થપાઠ આપતાં 11 એરબેઝ, 4 રડાર યુનિટને ઘમરોળી નાખ્યાં અને કિરાના હિલ્સમાં આવેલા તેના પરમાણુ શસ્ત્રના સ્ટોરેજને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
તે ઉપરાંત ભારતની કાર્યવાહીમાં પાકિસ્તાનના એફ-16 યુદ્ધવિમાનના 8 યુનિટ, 1 સાબ 2000 એઇડબલ્યુ, મિરાજના બે યુનિટ, આઇએલ-78 રિફ્યુઅલરના 1 યુનિટ, સી-130 ટ્રાન્સપોર્ટ વિમાનના 1 યુનિટ, એચક્યુ-9 એસએએમ બેટરીના એક યુનિટ, રડારના 4 યુનિટ, એડી કમાન્ડ પોસ્ટના 2 યુનિટને વ્યાપક નુકસાન થયું હતું. ઓછામાં ઓછા 13 યુદ્ધવિમાન કાટમાળમાં ફેરવાઇ ગયાં અને 50 પાકિસ્તાની સૈનિકના મોત થયાં હતાં. ભારતે ફક્ત 3 દિવસમાં પાકિસ્તાનને ઘૂંટણિયે લાવી દીધું હતું.
અમેરિકનોએ ભારત પાસે યુદ્ધવિરામની ભીખ માગવી પડી કારણ કે અમેરિકાને અનુભૂતિ થઇ ચૂકી હતી કે ઓપરેશન સિંદુરના આગામી ચરણમાં પાકિસ્તાની માળખું ધ્વસ્ત થઇ જશે. અમેરિકા દાયકાઓથી પાકિસ્તાનને ફંડિંગ કરતો રહ્યો છે અને તેના પર જ આધારિત છે. જો આમ થયું હોત તો અમેરિકાનો મોટો પરાજય ગણાત. ભારતે હંગામી ધોરણે યુદ્ધવિરામનો સ્વીકાર કર્યો જેથી પાકિસ્તાનને પોતાને જ ફાંસી ચડાવવા માટે થોડો સમય મળી રહે. હવે જો પાકિસ્તાન યુદ્ધવિરામનો ભંગ કરવાનો પ્રયાસ કરશે તો આકરાં પગલાં લેવા માટે સમગ્ર વિશ્વ ભારતના પક્ષે રહેશે અને પાકિસ્તાનને ખોખરું કરવાનું કામ પુરું કરશે.
ભારતમાં જ શોધાયેલ શતરંજની રમતમાં દરેક ચાલ મહત્વની હોય છે. ફક્ત ભારત જ જાણે છે કે તે ક્યારે પાકિસ્તાનને શેહ અને માત આપશે.
મારા ગયા અંકના આર્ટિકલમાં મેં કહ્યું હતું કે ટ્રમ્પ જે કાંઇ કહે છે તેને ગંભીરતાથી ન લો. ટ્રમ્પ એવો માણસ છે જે ગમે તે બકવાસ કરી શકે છે, દિવસમાં 10 વાર ફેરવી તોળે છે અને કેલિફોર્નિયાના દાવાનળ કરતાં પણ વધુ ધુમાડો ઓકે છે. છેલ્લા એક જ સપ્તાહમાં ટ્રમ્પ યુક્રેન, રશિયા, ફ્રાન્સ, કેનેડા, યુરોપિયન સંઘ અને ભારત અંગે બકવાસ કરી ચૂક્યા છે. આવા સંજોગોમાં ભારતીય નેતૃત્વ થોડું શાણપણ દાખવીને એક કાંકરે અનેક પક્ષીનો શિકાર કરી શકે છે. ભારત ટ્રમ્પના પાગલપનનો પોતાના લાભ માટે ઉપયોગ કરી શકે છે.
ભારતે તુર્કી, ચીન અને બાંગ્લાદેશ જેવા દેશોને આજીવન યાદ રહે તેવો પાઠ ભણાવીને સંબંધો તોડી નાખવા જોઇએ. દાખલા તરીકે 2024ના નાણાકીય વર્ષમાં ભારતે ચીન ખાતેથી 102 બિલિયન ડોલરની આયાત કરી હતી. જેની સામે ભારતની ચીન ખાતેની નિકાસ ફક્ત 17 બિલિયન ડોલર હતી. કેટલીકવાર એક દેશ તરીકે તમારે મોટા નિર્ણય લેવા પડે છે. ચીનના કિસ્સામાં પણ આવું કંઇક જરૂરી છે. વિશ્વ વેપાર સંસ્થાના નિયમોનું ઉલ્લંઘન ન થાય તે રીતે ભારતે તમામ પ્રકારની ચીની આયાતો અટકાવી દેવી જોઇએ. ભારતની જનતાએ એ સારી રીતે સમજી લેવાની જરૂર છે કે વિશ્વમાં માથુ ઉંચકીને જીવવું છે તો તેની કિંમત ચૂકવવી પડશે. બૂમો પાડવાથી, નારાબાજી કરવાથી, મોટી મોટી વાતો કરવાથી કે ઉન્માદી ઉજવણીઓથી કશું વળવાનું નથી.
હાલમાં ભારતીય સાંસદોના પ્રતિનિધિમંડળો તેમનું કામ કરી રહ્યાં છે. તમામ દેશોની નેતાગીરીને એક જ સંદેશ પાઠવવામાં આવી રહ્યોછે કે જો પાકિસ્તાન ફરીવાર ઉલ્લંઘન કરશે તો તેનો અંત આવી જશે. ભારત પાકિસ્તાનની માનસિકતા સારી પેઠે જાણે છે. તેના અહંકારનો કોઇ અંત નથી. તેની સત્તાની ધોરીનસોમાં સરમુખત્યારશાહી વહી રહી છે. બલોચ અને સિંધ પાકિસ્તાનથી અલગ થવા તલપાપડ થઇ રહ્યાં છે.
અમેરિકા સારી રીતે જાણે છે કે અત્યારે રાહ જોવામાં જ ભલીવાર છે. પશ્ચિમના દેશો સારી રીતે જાણે છે કે હવે ભારત પર તેમનું નિયંત્રણ રહ્યું નથી. પુતિન અને રશિયા પણ પશ્ચિમને ભૂલી ન શકાય તેવો પાઠ ભણાવી રહ્યાં છે. ઇઝરાયેલ પણ ઇસ્લામિક આતંકવાદીઓને બરાબર પાઠ ભણાવી રહ્યોછે અને આ વખતે ઇસ્લામિક આતંકવાદીઓના સફાયાનો સમય આવી ગયો છે. ઇઝરાયેલ મીડલ ઇસ્ટમાં જે કરી રહ્યું છે તેવું જ કાર્ય ભારત પાકિસ્તાન સાથે કરી શકે છે. જે લોકો આતંકવાદીઓનો સાથે આપે છે તેમનું પતન નિશ્ચિત છે કારણ કે નવી વૈશ્વિક વ્યવસ્થા અમલમાં આવી રહી છે.