ઇસ્લામાબાદઃ ઓપરેશન સિંદૂરમાં ભારતે પાકિસ્તાનના ભૂંડા હાલ કર્યા બાદ પાકિસ્તાન સરકાર અને પાકિસ્તાનનું સૈન્ય હવે વધુ ફજેતી થતી રોકવા હવાતિયાં મારી રહ્યા છે. એક તરફ પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીરને ફિલ્ડ માર્શલ બનાવી દેવાયા તો બીજી તરફ પાક. સરકાર યેનકેન પ્રકારે ભારત સાથે સંબંધો સામાન્ય કરવા ઇચ્છે છે. તેના ભાગરૂપે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફ હવે સાઉદી અરેબિયાના ખોળે બેઠા છે. શહબાજ હવે એવો સૂર છેડી રહ્યા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે વાટાઘાટોની તાતી જરૂર છે અને તે માટે સાઉદી એક તટસ્થ સ્થળ હોઈ શકે છે. શહબાજે મુનીરના પ્રમોશનની ક્રેડિટ લેવા પણ પ્રયાસ કર્યો. તેમણે કહ્યું કે તેમણે પીએમએલ-એનના વડા, મોટા ભાઈ નવાઝ શરીફ સાથે સલાહ મસલત બાદ આ નિર્ણય લીધો હતો.