બ્રિટનના સોશિયલ કેર સેક્ટરની કટોકટીનો અંત આવી રહ્યો નથી. તેમાં પણ લેબર સરકારે સોશિયલ કેર વિઝા પર નિયંત્રણો લાદવાની જાહેરાત કરી છે તેથી આ કટોકટી ઘણી ગંભીર બને તેવી સંભાવના છે. આજે પણ સોશિયલ કેર સેક્ટરમાં 1,00,000 વર્કર્સની જરૂરીયાત છે. વિદેશી કેર વર્કર્સ સેક્ટરની કટોકટી હળવી કરવામાં મહત્વનું યોગદાન આપી રહ્યાં હતાં પરંતુ ઇમિગ્રેશનના આંકડા નીચા લાવવાની લાહ્યમાં સરકાર હવે વિદેશી કેર વર્કર્સને યુકેમાં લાવવા ઇચ્છતી નથી.
આ સમસ્યાના મૂળમાં હાલની લેબર સરકાર અને તેની પુરોગામી કન્ઝર્વેટિવ સરકારની નીતિઓ જવાબદાર છે. ઇમિગ્રેશનના આંકડા ઘટાડવાના રાજકીય દબાણ હેઠળ સરકારો સોશિયલ કેર વિઝા પર નિયંત્રણો વધુ આકરાં બનાવતી ગઇ જેના કારણે યુકેમાં આવી કામ કરવા અને સારું જીવન જીવવા ઇચ્છતા વિદેશી કેર વર્કર્સ માટે સ્થિતિ વધુ વણસતી ગઇ હતી. એવી દલીલો કરવામાં આવે છે કે વિદેશી કેર વર્કર્સ અને તેમના પરિવાર દેશની જાહેર સેવાઓ પર દબાણ સર્જે છે પરંતુ તેમના દ્વારા બ્રિટનની વૃદ્ધ પેઢીની કરાતી સેવા અને રાષ્ટ્રીય જીવનમાં અપાતા યોગદાનોને કોઇ ધ્યાનમાં લેવા તૈયાર નથી. વિદેશી કેર વર્કર્સ કરવેરા ચૂકવે છે, રાષ્ટ્રીય આવકમાં યોગદાન આપે છે, પાડોશીઓને મદદરૂપ થાય છે અને બ્રિટિશ સમાજના વૃદ્ધો અને બીમારોની કાળજી લે છે.
પરંતુ સરકારો દ્વારા તેમના પર લવાયેલી તવાઇના કારણે સોશિયલ કેર પ્રોવાઇડર્સ માટે કામ કરવું અઘરૂં બની ગયું છે. કેર વર્કર્સની અછતના કારણે વેતનો ઊંચા જઇ રહ્યાં છે જેની સીધી અસર કરદાતાઓ પર જ થઇ રહી છે. કેમી બેડનોક જેવા નેતાઓ કામદારોની અછતને પહોંચી વળવા બ્રિટિશ જનતાને વધુ બાળકો પેદા કરવાની અપીલ કરી રહ્યાં છે પરંતુ હાલમાં પ્રવર્તતી કટોકટીનું શું. વધુ બાળકો પેદા થશે તો પણ તેઓ એક પેઢી બાદ જ વર્કર્સમાં સામેલ થશે. તે ઉપરાંત બ્રિટિશરો કેર વર્કર તરીકેની કારકિર્દી અપનાવવા જલદી તૈયાર થતાં નથી. તેના કારણે જ તો સોશિયલ કેર સેક્ટરની આ હાલત થઇ છે. તેમાં મહત્વનું યોગદાન આપી રહેલા વિદેશી કેર વર્કર્સને સરકારો હવે યુકેમાં લાવવા ઇચ્છતી નથી. સરકારે સોશિયલ કેર સેક્ટરની કટોકટીનો ઉકેલ લાવવા માટે રચનાત્મક અને સકારાત્મક અભિગમ અપનાવવાની જરૂર છે.