નિરાધાર, નિ:સંતાન, બિમાર માવતરને જીવનભર નિ:શુલ્ક આશ્રય આપવાના ઉદ્દેશથી સાકાર થઈ રહેલા વિશ્વના સૌથી મોટા વૃધ્ધાશ્રમ "વિનુભાઇ બચુભાઇ નાગ્રેચા ભવન" સદભાવના વૃધ્ધાશ્રમના લાભાર્થે તેમજ સમગ્ર ભારતમાં ૧૫૧ કરોડ વૃક્ષોના વાવેતર અને ઉછેર કરવાના સંકલ્પ સાથે મુંબઇના ઘાટકોપર ખાતે
તા. ૨૨ નવેમ્બરથી તા. ૩૦ નવેમ્બર દરમિયાન
પૂ. મોરારિબાપુની રામકથા યોજવામાં આવી હતી. રામકથાની પૂર્ણાહુતિ કરતાં પૂ. મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી હસુભાઇ નાગ્રેચાને આશીર્વચન આપતાં જણાવ્યું કે, ‘પરદેશમાં વસવાટ છતાં નાગ્રેચા પરિવારના હસુભાઇએ દિવંગત મોટાભાઇ વિનુભાઇના નામે રૂા. ૧૦૮ કરોડની ઉદાર સખાવત કરી જે ઉત્તમ કાર્ય કર્યું એ ખૂબ જ સરાહનીય છે.’
ઉલ્લેખનીય છે કે રામ અને લક્ષ્મણ વચ્ચે જેવો ભાતૃભાવ હતો એવો જ અતૂટ સ્નેહનો ભાતૃભાવ વિનુભાઇ અને હસુભાઇ વચ્ચે જોઇ શકાય છે. આ જમાનામાં આવું કાર્ય ભાગ્યે જ કોઇ કરી શકે. રાજકોટ જામનગર રોડ ઉપર "સદભાવના ટ્રસ્ટ" દ્વારા સાકાર થઇ રહેલ આ વિશાળ વૃધ્ધાશ્રમના પ્રોજેક્ટનું નામ 'વિનુભાઇ બચુભાઇ નાગ્રેચા' રાખવામાં આવશે.

