લોકોને વાહનથી કચડી નાખવાની ક્રુર માનસિકતા

Wednesday 04th June 2025 06:04 EDT
 

તાજેતરમાં બ્રિટનમાં લોકોને કાર દ્વારા કચડી નાખવાની બે ઘટના સામે આવી. લીવરપુલમાં વિજયોત્સવ મનાવી રહેલા લોકો પર એક વ્યક્તિએ કાર ચડાવી દેતાં 50 જેટલાં લોકો ઘાયલ થયાં. ગયા શનિવારે લેસ્ટરમાં એક કાર રાહદારીઓ પર ચડાવી દેવાતાં 4 વ્યક્તિને ઇજા થઇ હતી. સવાલ એ થઇ રહ્યો છે કે શું વાહનો હવે રોષ પ્રગટ કરવાનું સાધન બની રહ્યાં છે?
આતંકવાદીઓ દ્વારા હુમલા માટે વાહનનો ઉપયોગ નવો નથી. 14 જુલાઇ 2016ના રોજ નાઇસ શહેરમાં બેસ્ટિલી ડેની ઉજવણી કરી રહેલી જનમેદની પર ટ્યુનિશિયન મૂળના મોહમ્મદ લાહૌએજે 19 ટન વજન ધરાવતી ટ્રક ચડાવી દેતાં 86 લોકોનાં મોત થયાં હતાં અને 430થી વધુને ઇજા પહોંચી હતી. આ હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી હતી. નાઇસ હુમલા બાદ તો યુરોપમાં આતંકવાદીઓ દ્વારા આ પ્રકારે વાહન દ્વારા લોન વૂલ્ફ હુમલાની જાણે કે વણઝાર ચાલી હતી.
ફક્ત આતંકવાદીઓ જ નહીં પરંતુ પોતાનાથી વિપરિત વિચારધારા ધરાવનારા પર પણ
આ પ્રકારે વાહન દ્વારા હુમલા કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે. ફાર રાઇટ્સ અને ફાર લેફ્ટ પણ પોતાના રાજકીય વિરોધીઓનો અવાજ દબાવી દેવા આ પ્રકારના હુમલાનો આશરો લઇ રહ્યાં છે.
તે ઉપરાંત માનસિક તણાવથી ગ્રસ્ત લોકો પણ આ પ્રકારના હુમલા કરીને અન્યોને નુકસાન પહોંચાડતા ખચકાતાં નથી. જીવનમાં નિષ્ફળ ગયેલાં લોકો, બેરોજગારો અને માદક દ્રવ્યોના બંધાણીઓ પણ ઘણીવાર આ રીતે વાહનો દ્વારા રોષ પ્રદર્શિત કરી નિર્દોષ જનતાને નિશાન બનાવતાં રહ્યાં છે.
લીવરપુલની ઘટના કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓ માટે પણ પદાર્થપાઠ સ્વરૂપ છે. મોટી જનમેદની હાજર હોય તેવી સ્થિતિમાં કોઇ અવળચંડાઇ ન કરી જાય તે માટે તેમને વધુ સજાગ થઇ સુરક્ષાના પગલાં સુનિશ્ચિત કરવા પડશે. નહીંતર આ પ્રકારના અપરાધીઓ વાહનો દ્વારા લોકોને કચડતાં જ રહેશે.


comments powered by Disqus