ગુજરાતી સમાજ દોઢ સૈકાથી દુનિયાના ખૂણેખૂણે વસ્યો છે. એક રીતે કહી શકીએ કે દુનિયાનો કોઈ એવો ખૂણો નથી, જ્યાં ગુજરાતી ન વસતો હોય. આજે આપણે ગુજરાતીઓના એવા સમાજ અંગે વાત કરી રહ્યા છીએ, જે સ્કોટલેન્ડમાં વર્ષોથી વસી રહ્યો છે અને ધર્મ, સંસ્કૃતિ, ધરોહર, રીતરિવાજો, ભાષા અને ખોરાકને બખૂબી વળગી રહ્યો છે. ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ના 61મા અધ્યાયમાં આપણે સ્કોટલેન્ડની ભૂમિ પર સ્થાયી થયેલા લોકોના વિચારો જાણીશું.
કાર્યક્રમનું સંચાલન કરતાં કન્સલ્ટિંગ એડિટર જ્યોત્સનાબહેન શાહે જણાવ્યું કે, સ્કોટલેન્ડના પ્રતિકૂળ વાતાવરણમાં ગણ્યાગાંઠ્યા ગુજરાતીઓ હોય ત્યાં ધર્મ, સંસ્કાર અને સંસ્કૃતિનું પાલન કરવું કઠિન બની જાય છે. કવિ ખબરદારની પંક્તિ છે ને, ‘જ્યાં-જ્યાં વસે એક ગુજરાતી ત્યાં-ત્યાં સદાકાળ ગુજરાત’ આ જ પંક્તિને ચરિતાર્થ કરી છે ગુજરાતી સમાજની ચાર બહેનો મીનાક્ષીબહેન ચાંપાનેરી, બ્રિજ ગાંધી MBE, જસવંતીબહેન મહેતા અને કિંજલબહેન બલાનીએ. આજે આપણે આ ચારેય ગુજરાતી પરિવારની સ્કોટલેન્ડમાં સ્થાયી થવાની પ્રેરક વાતો કરીશું અને તેમના અનુભવો જાણીશું.
જ્યોત્સનાબહેને 1976માં 19 વર્ષની વયે પુણેથી યુકે આવી સ્કોટલેન્ડને કર્મભૂમિ બનાવનારાં મીનાક્ષીબહેનને આમંત્રણ આપતાં પૂછયું,
મીનાક્ષીબહેન આપે સ્કોટલેન્ડમાં વસવાનો વિચાર કેમ કર્યો અને તેનું પ્રેરકબળ કયું?
મીનાક્ષીબહેન ચાંપાનેરીઃ સ્કોટલેન્ડમાં સ્થાયી થવાનો મારો વિચાર જ નહોતો. હું સંયુક્ત કુટુંબમાંથી આવું છું. બર્મિંગહામથી અહીં આવીને ખૂબ એકલું લાગતું હતું, પરંતુ ગ્લાસગો કેલેડોનિયન યુનિવર્સિટીમાં પ્રોફેસર એવા મારા પતિ રમેશ ચાંપાનેરીની જોબના કારણે સ્થળાંતર કરવું પડે તેમ હતું. શરૂઆતમાં સ્કોટિશ ઉચ્ચારો સમજવામાં તકલીફ પડતી હતી. જોકે, હવે અહીંયા ફાવી ગયું છે. અન્ય ક્યાંય જવાનું વિચારી શકતી જ નથી, કારણ કે હવે અમે અહીં એક વિસ્તરીત કુટુંબ બનાવી લીધું છે.
અહીં કોઈના દ્વારા મને ભારતીય મરી-મસાલા અંગે સ્ટોરની ખબર પડી. જ્યાં જતાં હાજર બહેનની તેમના પતિ સાથેની વાતચીત સાંભળી હું ચોંકી ગઈ, કારણ કે તેઓ ગુજરાતીમાં વાત કરતાં હતાં. તેમની સાથેની વધુ વાતચીતમાં મેં તેમને ગોયણી માટે આમંત્રિત કર્યાં. આમ એકથી બે અને બેથી પાંચ બહેનો સાથે સંપર્ક થતો ગયો. આમ હું તેમની સાથે સંસ્થામાં જોડાઈ ગઈ, જ્યાં અમે વિવિધ આયોજનો કરીએ છીએ.
ગુજરાત સમાચાર વિના મને જરાપણ ચાલતું નથી. અખબારની સાથે એક ચાનો કપ હોય અને પ્રથમ પેજથી છેલ્લા પેજ સુધીનાં તમામ શીર્ષક વાંચી જઉં. જે બાદમાં આરામથી બેસી જે સમાચાર મહત્ત્વના લાગે તેનું વાંચન કરું. તેમાં આપેલી મહત્ત્વની જાહેરાતની નોંધ પણ કરતી જાઉં. મને લખવાનો શોખ છે. જેથી બાદમાં મેં લખેલા લેખ અને કવિતાઓ ગુજરાત સમાચારને મોકલતી ગઈ, જે છપાતાં પણ ખરાં. મારી પુત્રીઓ ગુજરાતી બોલી અને લખી શકે છે, પરંતુ કડકડાટ નહીં.
મીનાક્ષીબહેનના અનુભવો જાણ્યા બાદ જ્યોત્સનાબહેને કેન્યાથી 1974માં યુકે આવી ગ્લાસગોમાં સ્થાયી થનારાં અને અહીં વસતા ભારતીયો પોતાનો વારસો-સંસ્કૃતિનું રખોપું કરી શકે એ માટે 46 વર્ષથી પ્રવૃત્ત બ્રિજ ગાંધી-એમબીઈને આમંત્રણ આપ્યું.
બ્રિજબહેન આપ ગ્લાસગો આવ્યાં ત્યારે કેટલાં ભારતીય કુટુંબો ત્યાં વસતાં હતાં, તેમને એકત્રિત કરી રીતે કર્યાં?
બ્રિજબહેનઃ હું જ્યારે ગ્લાસગો આવી ત્યારે માંડ એકાદ-બે ગુજરાતી - ભારતીય પરિવાર હતા, છતાં તેમના દ્વારા એક ગ્રૂપ બનાવાયું હતું અને નિયમિત મળતા પણ હતા. આ સમયે ત્યાં કોઈ મંદિર નહોતું. અહીં મંદિર બનાવવા મારાં માતા-પિતાએ ભારતીય લોકો સાથે મળીને ખૂબ મહેનત કરી. જે અંતર્ગત લાઇસન્સ ન મળતાં આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ સમયે મારી માતાએ કોર્ટમાં વજૂદ વાળી દલીલ કરી હતી, જે બાદ મંદિરને મંજૂરી મળી હતી.
સમય જતાં હું અહીં મારાં સંતાનો અત્રે સ્થાયી થઈ ગયા. આ સમયે મને અહીં ભારતીય તહેવારો ઊજવવા માટે કો.ઓર્ડિનેટર ફોર હિન્દુઇઝમ તરીકે કામ મળી ગયું. મને શાળામાં જઈને હિન્દી ભાષા અને સંસ્કૃતિના પ્રચાર માટે ખાસ એપોઇન્ટ કરાઈ હતી. એ સમયે હું સ્કૂલમાં જઈ રિલિજિયસ એજ્યુકેશનના શિક્ષકોને લેક્ચર આપી હિન્દુઇઝમ શું છે તે જણાવતી હતી.
મંદિર બન્યું ત્યારથી દિવાળી અને અન્ય તહેવારોએ સ્કૂલનાં બાળકો આવે છે. એ સમયે અમારા દ્વારા ક્રોસ કલ્ચર્સ વિઝિટ્સ થાય છે. સ્કૂલમા હિન્દુઇઝમનો અભ્યાસ કરાવાતો નથી, પરંતુ અમે અમારા અભ્યાસક્રમમાં હિન્દુઇઝમ વિષયને પણ સમાવ્યો છે, જેની પરીક્ષા પણ લેવાય છે. હવે તો આપણા હિન્દુ સમાજ દ્વારા શિક્ષક પણ મળી રહ્યા છે, જેઓ દ્વારા ઓનલાઇન હિન્દીનો અભ્યાસ કરાવાય છે. ગ્લાસગોમાં અમને એટલું બધું મળ્યું છે, કે તે અમારું બીજું ઘર બની ગયું છે. અમે બધા ત્યાં મળીએ છીએ અને પૂજાપાઠ કરીએ છીએ અને બાળકોને પણ પ્રેરણા આપીએ છીએ કે તેઓ પણ આવે અને આપણી સંસ્કૃતિને અનુસરી ત્યાં પૂજાપાઠ કરે.
અમે એક એક્ઝિબિશન તૈયાર કર્યું છે, જેનો તમામ સ્કૂલમાં રાઉન્ડ થશે. જેમાં હિન્દુઇઝમ શું છે?, આપણો સનાતન ધર્મ શું છે?, આપણે કેવી રીતે તેને જીવંત રાખી શકીએ?, આપણાં બાળકો કેવી રીતે જોડાઈ રહી શકે છે? તે અંગે માર્ગદર્શન અપાય છે. અમે અહીંની ભારતીય કોમ્યુનિટી માટે તો કરીએ જ છીએ પણ સ્થાનિક બાળકો માટે પણ કંઈક કરવા માગીએ છીએ. આ એક્ઝિબિશન લંડન, માન્ચેસ્ટર, મિડલેન્ડની સ્કૂલોમાં પણ જશે.
મારો એ જ સંકલ્પ છે કે મારાથી બને તેટલો હિન્દુઇઝમનો ફેલાવો કરું. મને MBE એટલે જ મળ્યું હતું કે મેં હિન્દુઇઝમનું ખૂબ કામ કર્યું હતું, પોતાની સંસ્કૃતિને ખૂબ ફેલાવી, મહિલાઓ માટે મેં ખૂબ કામ કર્યું. હું સ્કોટલેન્ડની પ્રથમ હિન્દુ મહિલા છું, જેને ક્વીન તરફથી વર્ષ 2006માં MBEનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કેન્યાના જૈન પરિવારમાં જન્મેલાં, 8 વર્ષ ભારત અને 15 વર્ષ ઇંગ્લેન્ડમાં રહેલાં અને 1987માં લગ્ન બાદ ગ્લાસગોમાં સ્થાયી થયેલાં જસવંતીબહેન મહેતાને આમંત્રણ આપતાં જ્યોત્સનાબહેને તેમના અનુભવો જણાવવા કહ્યું.
જસવંતીબહેન મહેતાઃ અમે 1972માં માન્ચેસ્ટર મૂવ થયા, જ્યાં યુગાન્ડાથી આવેલી જૈન કોમ્યુનિટી પણ મોટાપાયે સેટ થઈ હતી. 1973થી યુકેમાં જૈન સમાજ માન્ચેસ્ટર ચાલે છે, જ્યાં અમે રિલિજિયસ ફેસ્ટિવલ માટે જતાં હતાં. આગળનું એજ્યુકેશન કર્યા બાદ હું જોબ કરતી હતી. 1987માં મારાં લગ્ન થયાં અને અમે ગ્લાસગોમાં સ્થળાંતર કર્યું. મને ત્રણ દીકરીઓ છેે. દીકરીઓ નાની હોવાથી હું વર્ષો સુધી કોઈ જોબ કરી શકી નહોતી. જો કે નાની દીકરી સ્કૂલે જતી થઈ એ સમયે સ્કૂલેથી લેટર આવ્યો કે ‘પેરેન્ટ્સ હેલ્પર જોઈએ છે, જો કોઈ મદદ કરી શકે તો.’ આમ પ્રથમ મેં સ્કૂલમાં મદદ કરવાનું શરૂ કર્યું. આમ દીકરીના અભ્યાસની સાથે મારું કામ પણ પ્રાઇમરીથી સેકન્ડરી સુધી પહોંચી ગયું. આ ઉપરાંત મેં પીપલ સપોર્ટનો કોર્સ કરી હાઇસ્કૂલમાં 13 વર્ષ સુધી કામ કર્યું અને હવે હું રિટાયર્ડ છું.
અહીંની લોકલ કાઉન્સિલે કો.ઓપરેટ યુનિટથી મને પત્ર લખ્યો અને તેમના સહયોગથી ભેગા થઈને ફેર વેધર ડ્રોપિંગ સેન્ટર ફોર સીનિયર સિટીઝન્સની રચના કરી, જે 20 વર્ષથી અવિરત ચાલે છે. પછીથી મહિલાઓ માટે કંઈ ન હોવાથી વિમન્સ ગ્રૂપ ઊભું કરવાની જવાબદારી અપાઈ અને તે કરી 7થી 8 વર્ષ ચલાવ્યું પણ ખરું. આ સંગઠનમાં અમે હિન્દુ, મુસ્લિમ, શીખ, જૈન બધી જ કોમ્યુનિટીના લોકો સાથે ભેગા થઈએ છીએ. હિન્દુ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ ત્યારે મહાવીર ભગવાનની પણ પ્રતિમા સ્થાપિત કરાઈ. અમે અહીં ચૈત્ર મહિનામાં મહાવીર જયંતી, અષ્ટપ્રકારની પૂજા કરીએ છીએ, જે અંતર્ગત ગત વખતે 500થી 600 લોકો દ્વારા સમૂહ ભોજન લેવાયું. મહિના પ્રથમ શનિવારે અહીં જાપ રાખી જૈનિઝમનું જ્ઞાન પણ અપાય છે.
જસવંતીબહેન સાથે ગોષ્ઠિ બાદ જ્યોત્સનાબહેને કિંજલબહેન બલાનીને આમંત્રણ આપતાં પૂછયું કે, તમે સ્કોટલેન્ડ સ્થાયી થયાં ત્યાર કઈ રીતે પ્રતિકૂળ વાતાવરણને અનુકૂળ બનાવ્યું?
કિંજલબહેન બલાનીઃ હું 2014માં સોફ્ટવેર એન્જિનિયર પતિ અને એક વર્ષની દીકરી સાથે ગ્લાસગો શિફ્ટ થઈ. આ સમયે સોશિયલ મીડિયા દ્વારા અમે એક-બે ગુજરાતી ફેમિલીનો કોન્ટેક્ટ કર્યો અને ધીમેધીમે ફ્રેન્ડ સર્કલ બન્યું. આ સમયે મીનાક્ષીબહેનના સપોર્ટથી અમે ગ્લાસગો સિટી સેન્ટરમાં ચારથી પાંચ ફેમિલીએ ગરબાનું આયોજન કરવાનું શરૂ કર્યું. 75 લોકોથી શરૂ કરેલા આ આયોજનમાં અત્યારે એક હજારથી વધુ લોકો જોડાયેલા છે. સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા અને ગરબાનો શોખ પૂરો કરવા માટે અમારું આ આયોજન સફળ રહ્યું. આમ હવે ગ્લાસગોમાં ગણેશોત્સવ પણ ઊજવાય છે. અહીં હોળી, જન્માષ્ટમી, દિવાળી ઊજવીને હું, મારા પતિ અને દીકરીઓને આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રાખવામાં સફળ રહી છું. આમ ભારતથી દૂર રહીને ભારતીય તહેવારો જ અમને ભારતથી જોડાયેલા રાખે છે.
કાર્યક્રમના સમાપન પ્રસંગે પ્રકાશક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, જ્યાં-જ્યાં માતૃશક્તિ છે ત્યાં-ત્યાં માતૃભાષા રહેશે અને જ્યાં-જ્યાં માતૃભાષા છે ત્યાં-ત્યાં આપણા સંસ્કાર રહેશે અને ભારતનો ધ્વજ ઊંચો રહેશે.