અમદાવાદઃ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)એ પંજાબ કિંગ્સ ઇલેવન સામે 6 રનથી જીતી લીધી. આ જીતની સાથે આરસીબીએ 18 વર્ષે આઇપીએલ ચેમ્પિયન બની ચૂકી છે. ફાઇનલ મેચમાં આરસીબીએ પ્રથમ બેટિંગ કરતાં 9 વિકેટે માત્ર 190 રન બનાવ્યા હતા, જેના જવાબમાં પંજાબ કિંગ્સ ઇલેવન ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 184 રન જ બનાવી શકી હતી.
આ ફાઇનલ મેચમાં પંજાબ ટીમે ટોસ જીતીને આરસીબીને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. આરસીબી ટીમે 9 વિકેટ ગુમાવ્યા બાદ 190 રન બનાવ્યા. જેમાં વિરાટ કોહલીના 43 રન મુખ્ય હતા. આરસીબીના 190 રનના જવાબમાં પંજાબ કિંગ્સ ફક્ત 184 રન બનાવી શક્યું અને આ સાથે આઇપીએલને 18મી સીઝનમાં તેનો આઠમો ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ મળ્યો. આ પહેલાં ચેન્નઈ સુપર કિંગ્સ (5 વખત), મુંબઈ ઇન્ડિયન્સ (5 વખત), કોલકાતા નાઇટ રાઇડર્સ (3 વખત), રાજસ્થાન રોયલ્સ (1 વખત), ડેક્કન ચાર્જર્સ (1 વખત), સનરાઇઝર્સ હૈદરાબાદ (1 વખત) અને ગુજરાત જાયન્ટ્સ (1 વખત) ચેમ્પિયન બની ચૂક્યા છે.
ચોથી ફાઇનલ પણ પ્રથમ વખત ચેમ્પિયન
આરસીબી 18 સિઝનમાં ચોથી ફાઇનલ રમી રહ્યું છે. ટીમે અગાઉ 2009, 2011 અને 2016માં ટાઇટલ મેચ રમી છે. દરેક વખતે ટીમ રન ચેઝ કરવા ઉતરી કરી હતી, પરંતુ પ્રથમ વાર ફાઇનલમાં પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો. 2025 પહેલાં ટીમ બે વાર ટોસ હારી ગઈ હતી, જ્યારે 2009માં તેઓએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. બીજી તરફ 2014માં ટોસ હાર્યા બાદ પંજાબ કિંગ્સને પહેલા બેટિંગ કરવી પડી હતી. ટીમે હવે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી છે. આ વખતે 18મી સિઝનમાં ફાઇલન પોતાના નામે કરતાં વિરાટ કોહલીની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં.
આરસીબીની નવમી કેપ્ટનશિપમાં ખિતાબ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં રાહુલ દ્રવિડથી શરૂ કરી આઠ કેપ્ટન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને આઇપીએલનો ખિતાબ જીતાડવામાં અસફળ રહ્યા હતા. જેમાં રાહુલ દ્રવિડ બાદ અનિલ કુંબલે, વિરાટ કોહલી, ફાફ ડુપ્લેસીસ, ડેનિયલ વેટ્ટોરી, શેન વોટ્સન, કેવિન પિટરસન અને જિતેશ શર્માનો સમાવેશ થાય છે.
ફાઇનલમાં વિરાટ કોહલીના સૌથી વધુ ચોગ્ગા
અમદાવાદમાં આરસીબીના ઓપનરની ભૂમિકામાં આવેલા વિરાટ કોહલીએ ફાઇનલ મેચમાં ઇતિહાસ રચ્યો. વિરાટે ફાઇનલ મેચમાં કુલ ફટકારેલી 4 ચોગ્ગા ફટકારી, જેની સાથે આઇપીએલમાં તેના કુલ 771 ચોગ્ગા થયા છે, જે આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધારે છે. આ પહેલાં આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો, જેણે 768 ચોગ્ગા લગાવ્યા હતા. જે બાદ ડેવિડ વોર્નર 663 ચોગ્ગા સાથે ત્રીજા અને રોહિત શર્મા 640 ચોગ્ગા સાથે ચોથા સ્થાને છે.
આરસીબીના હીરો
આરસીબીના જીતના હીરોની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી આરસીબીની ટીમથી કોહલીએ પહેલા બેટિંગથી જાદુ બતાવ્યો હતો અને ટીમ માટે સૌથી વધુ 35 બોલમાં 43 રનની શાનદાર ઇનિંગ રમી હતી. ત્યારબાદ કેપ્ટન રજત પાટીદાર અને જિતેશ શર્માએ મેચની બાજી પલટી નાખી હતી. બોલિંગમાં કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને હેઝલવૂડ જીતના હીરો રહ્યા હતા.
વિરાટ અને અનુષ્કા રડી પડ્યાં
વિરાટ કોહલી 18 વર્ષના વનવાસનો અંત જોઈને છેલ્લી ઓવર પૂરી થાય તે પહેલાં જ ભાવુક થઈ ગયો હતો અને તેની આંખમાં હર્ષનાં આંસુ આવી ગયાં હતાં. જીત બાદ મેદાનમાં દોડી આવેલી પત્ની અનુષ્કા શર્મા અને વિરાટ એકબીજાને ભેટીને રોઈ પડ્યાં હતાં.
ગુજરાત ટાઇટન્સનો પણ દબદબો
સાંઈ સુદર્શનને ઓેરેન્જ કેપઃ આઇપીએલ-2025નો મહામુકાબલો ભલે આરસીબી જીતી ગઈ, પરંતુ ગુજરાત ટાઇટન્સના ઓપનિંગ બેટ્સમેન સાંઈ સુદર્શને તેમની બેટિંગથી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સાંઈ સુદર્શને આ સિઝનની 15 મેચમાં 759 રન બનાવ્યા છે. આ દરમિયાન તેમણે એક સદી અને 6 અડધી સદી ફટકારી છે. સાંઈ સુદર્શને સિઝનમાં 21 છગ્ગા અને 88 ચોગ્ગા પણ ફટકાર્યા છે. આ સાથે સાંઈ સુદર્શનને ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝનનો એવોર્ડ પણ અપાયો છે.
પ્રસિદ્ધ કૃષ્ણાને પર્પલ કેપઃ આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સના પ્રસિદ્ધ કૃષ્ણાએ સૌથી વધુ વિકેટ ઝડપી છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ 15 મેચમાં કુલ 25 વિકેટ લીધી હતી. તેની સરેરાશ પણ 19.52 હતી. એક વખત તેણે એક જ મેચમાં 4 વિકેટ પણ લીધી હતી. આમ સમગ્ર સિઝનમાં પ્રસિદ્ધ કૃષ્ણાએ ગુજરાત ટાઇટન્સ માટે શાનદાર બોલિંગ કરી હતી.