મહાવીર ફાઉન્ડેશન દ્વારા પાંચ દિવસીય ૧૪મો ધ્વજા મહોત્સવ તા. ૫ જૂન ૨૦૨૬ થી ૨૯ જૂન ૨૦૨૬ દરમિયાન ખૂબ જ ભક્તિભાવ, ઉમંગ અને સંઘની એકતા સાથે ભવ્ય રીતે ઉજવાયો. પાંચેય દિવસ દરમિયાન ધાર્મિક વિધિ, પૂજન, ભક્તિ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વામિવાત્સલ્યના આયોજનોમાં મોટી સંખ્યામાં સંઘના સભ્યો, લાભાર્થી પરિવારો, મહાનુભાવો અને જૈન સમાજના અગ્રણીઓએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
મહોત્સવની શરૂઆત ગુરુવાર, ૨૫ જૂન ૨૦૨૬ના રોજ મહેંદી નાઈટથી થઈ હતી. સંઘના સભ્યો અને પરિવારોની ઉપસ્થિતિમાં આનંદમય અને ઉત્સાહભર્યા વાતાવરણ વચ્ચે મહોત્સવનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો.
શુક્રવાર, ૨૬ જૂન ૨૦૨૬ના રોજ દેરાસર ખાતે ૧૮ અભિષેકનું પવિત્ર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક પ્રસંગ ખૂબ જ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો હતો. હર્ષિલભાઈ અને મોક્ષિતભાઈની બંધુ બેલડી દ્વારા વિધિ અને પૂજન ખૂબ જ સુંદર રીતે કરાવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં સંઘના સભ્યોએ આ પવિત્ર પ્રસંગમાં ભાગ લીધો હતો. આ દરમિયાન દેરાસરનું વાતાવરણ ભક્તિ, શ્રદ્ધા અને આરાધનાથી પવિત્ર બની ગયું હતું.
શનિવાર, ૨૭ જૂન ૨૦૨૬ મહોત્સવનો મુખ્ય અને વિશેષ દિવસ રહ્યો. સવારથી જ JFS School ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. દિવસની શરૂઆત JFS Schoolના મુખ્ય ગેટથી અંદર સુધી શોભાયાત્રા દ્વારા થઈ હતી. ત્યારબાદ નવકારશીનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી શ્રી ઘંટાકર્ણ મહાવીર પૂજનનો મંગલ પ્રારંભ થયો હતો, જેમાં અનેક લાભાર્થીઓએ શ્રદ્ધા અને ભક્તિભાવથી ભાગ લીધો હતો.
પૂજન બાદ ધ્વજા ઉચ્છવણી/ બોલી યોજાઈ હતી, જેમાં લાભાર્થી પરિવારો દ્વારા ખૂબ જ ઉમંગ અને ભક્તિભાવ સાથે ભાગ લેવામાં આવ્યો હતો. ત્યારબાદ સ્વામિવાત્સલ્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૫ વાગ્યે ફરીથી JFS High School ખાતે સ્વામિવાત્સલ્ય રાખવામાં આવ્યું હતું.
સાંજે ૭ વાગ્યે મહાવીર ફાઉન્ડેશનનો ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશરે ૨૫૦ જેટલા કલાકારો અને ભાગ લેનારાઓએ પોતાની સુંદર રજૂઆતો આપી હતી. નાના બાળકો થી લઈને સંઘના વડીલો સુધી સૌએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઉપસ્થિત સૌ સભાજનોએ પ્રત્યેક રજૂઆતને ખૂબ પ્રશંસાપૂર્વક તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. પાઠશાળાના વિદ્યાર્થીઓ, લેડીઝ વિન્ગ, મહાવીર મંડળ, યુવા, વગેરેએ ખુબ ઉત્સાહ પૂર્વક ભાગ લઇ પ્રસંગને સફળતા બક્ષી હતી. શ્રી સૌરભભાઈ અને પલકભાઈ દ્વારા કાર્યક્મનું આયોજન ખુબ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.
આ ખાસ પ્રસંગે અનેક મહાનુભાવો અને અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મલ્ટી ફેઇથના શ્રી ગોપાલ બચુ, જયસુખભાઇ મહેતા, બ્રેન્ટના કાઉન્સિલર મોહમ્મદ બટ્ટ, બ્રેન્ટ અને હેરોના GLA સભ્ય શ્રી કૃપેશ હિરાણી, હેરો ઇસ્ટના એમ.પી. ગેરેથ થોમસ, પ્રમુખ શ્રી નિરજ સુતરીયા, હેરોના મેયર કાઉન્સિલર યોગેશ તૈલી અને ડો.મેહુલ સંઘરાજકા. કાઉન્સિલર અંજના પટેલ અને કાઉન્સિલર સુરેશભાઈ કણસાગરા. ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના કન્સલ્ટીંગ એડીટર જ્યોત્સના બહેન શાહ તથા અન્ય જૈન સંસ્થાઓના અગ્રણીઓ અને સમાજના માનનીય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહાવીર ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી નિરજ સુતરિયા તથા કમિટીના સભ્યો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે પોતાના સંબોધનમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો, જૈન સંસ્થાઓના અગ્રણીઓ, લાભાર્થી પરિવારો, દાતાશ્રીઓ, સ્વયંસેવકો અને સંઘના સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રી નિરજભાઈએ જણાવ્યું હતું કે મહાવીર ફાઉન્ડેશને છેલ્લા માત્ર ૪ વર્ષના સમયગાળામાં સંઘના સહકાર, શ્રદ્ધા, વિશ્વાસ અને સર્વેના આશીર્વાદથી એક વિશેષ ઊંચાઈ પ્રાપ્ત કરી છે. તેમણે કહ્યું કે આ સફળતા કોઈ એક વ્યક્તિની નહીં, પરંતુ સમગ્ર કમિટી, સમગ્ર સંઘ, લાભાર્થીઓ, દાતાશ્રીઓ, સ્વયંસેવકો, જૈન સંસ્થાઓના આગેવાનો અને મહાવીર ફાઉન્ડેશન સાથે જોડાયેલા દરેક સભ્યના સમર્પણ અને સહયોગનું ફળ છે. તેમણે સૌનો આભાર માનતા જણાવ્યું કે આવનારા સમયમાં પણ મહાવીર ફાઉન્ડેશન ધર્મ, સેવા, સંસ્કાર અને સમાજની એકતાના માર્ગે વધુ આગળ વધતું રહેશે.
આ પાંચ દિવસીય ૧૪મો ધ્વજા મહોત્સવ મહાવીર ફાઉન્ડેશન માટે એક યાદગાર, ભવ્ય અને ઐતિહાસિક પ્રસંગ બની રહ્યો.

