નવી દિલ્હીઃ યુક્રેન-રશિયા યુદ્ધનો અંત લાવવા માટે ભારત કોઈપણ મદદ કરવા તૈયાર છે તેમ વિદેશમંત્રી એસ. જયશંકરે ગુરુવારે કિવમાં તેમના યુક્રેનિયન સમકક્ષ અંદ્રીય સિબિહા સાથે વિસ્તૃત મંત્રણા બાદ જણાવ્યું હતું. તમામ વાટાઘાટો બાદ સિબિહા સાથેના એક સંયુક્ત નિવેદનમાં તેમણે કહ્યું કે, ‘ભારતે સતત એ બાબત પર ભાર મૂક્યો છે કે આ યુદ્ધનો યુગ નથી, ઉકેલ યુદ્ધના મેદાનથી નહીં આવે.’
જયશંકરે યાદ અપાવ્યું કે, વડાપ્રધાન મોદીએ માત્ર બે દિવસ પહેલાં જ SCO સમિટ દરમિયાન રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની મુલાકાતમાં જાહેરાત કરી હતી કે અનંત યુદ્ધ માટે નહીં હવે યુદ્ધના અંત માટે માર્ગ આપવો જ જોઈએ. તેમણે ઉમેર્યું, ‘સંઘર્ષનો દરેક પસાર થતો દિવસ માત્ર વધુમાં વધુ મોત અને વિનાશ જ લાવે છે. સ્વાભાવિક રીતે આમાં સામેલ પક્ષોએ જ રસ્તો શોધવાનો છે. પરંતુ જો ભારત કોઈપણ પ્રકારે મદદરૂપ થઈ શકે તો અમે તૈયાર છીએ.’ જયશંકરે બાદમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી અને દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા
તેમના યુક્રેનિયન સમકક્ષ સાથે થયેલી ચર્ચા વિશે તેમને માહિતગાર કર્યા હતા.

