શાળાઓ શરૂ થવા અને શરદ ઋતુના આગમન સાથે જ બ્રિટિશ એશિયન સમુદાય માટે વર્ષના સૌથી વ્યસ્ત ઉત્સવ-કાળનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી દિવસોમાં નવરાત્રિના ગરબા, દશેરા અને દિવાળીની તૈયારીઓથી સમગ્ર યુકેના મંદિરો, કોમ્યુનિટી હોલ, બજારો અને ઘરો રંગબેરંગી રોશની, સંગીત અને ભેટ-સોગાદોથી ઝળહળી ઉઠશે. આ મોસમ પરિવાર અને સમાજને એકતાના સૂત્રે બાંધે છે, પરંતુ તેની સાથે આત્મસંયમ અને સાવચેતી રાખવી પણ તેટલી જ આવશ્યક બની રહે છે.
આ ઉત્સવો ઊંડી ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓનું વહન કરે છે. નવરાત્રિ શક્તિ અને ભક્તિનું પર્વ છે; દશેરા અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક છે અને દિવાળી પ્રકાશ તથા નવી આશાનું સૂચક છે. જોકે, આજના આધુનિક યુગમાં તહેવારોનું આધ્યાત્મિક મહત્વ ક્યારેક વ્યાપારીકરણના અતિરેક હેઠળ દબાઈ જતું હોય છે. કોઈ પણ પરિવારે મોંઘા પોશાકો, અતિશય શણગાર કે બજેટ બહારની ભેટ-સોગાદો ખરીદવાનું સામાજિક દબાણ અનુભવવું જોઈએ નહીં.
વર્તમાન મોંઘવારીના સમયમાં, અતિશય ખર્ચ કરવાને બદલે પ્રેમથી બનાવેલું ભોજન, મીઠાઈનું એક બોક્સ, સ્થાનિક સામાજિક સંસ્થાને આર્થિક યોગદાન કે કોઈ વૃદ્ધ પડોશી સાથે વિતાવેલી થોડી ક્ષણો વધુ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. ઉત્સવોનો મૂળ હેતુ પરિવાર અને સમાજમાં નિકટતા લાવવાનો છે, લોકોને દેવાના બોજ હેઠળ કચડવાનો કે એકબીજા સાથે સરખામણી કરવાનો નથી.
તહેવારોની ખરીદીમાં નાણાકીય જાગરૂકતા પણ એટલી જ જરૂરી છે. છેલ્લી ઘડીએ ખરીદી કરનારા લોકો મોંઘા ભાવ, નકલી વસ્તુઓ અથવા સાયબર ઠગાઈનો ભોગ બનવાની શક્યતા વધુ રહે છે. કપડાં, જ્વેલરી કે શણગારની ખરીદી કરતા પહેલા વિવિધ સ્થળે ભાવ સરખાવવા, વેપારીની વિશ્વસનીયતા તપાસવી અને સોશિયલ મીડિયા પર અવાસ્તવિક ડિસ્કાઉન્ટ આપતી જાહેરાતોથી સાવધ રહેવું. સાયબર ભ્રષ્ટાચારીઓ ઘણીવાર વિલંબ વિના ખરીદી કરવા દબાણ ઊભું કરતા હોય છે. ઓનલાઈન ખરીદી માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન અને સુરક્ષિત પેમેન્ટ પદ્ધતિઓ અપનાવવી હિતાવહ છે.
ખરીદી ઉપરાંત કાર્યક્રમો અને ઘરોમાં ભૌતિક સુરક્ષા જાળવવી અનિવાર્ય છે. ગરબા આયોજકોએ ભીડ નિયંત્રણ, કટોકટીના રસ્તા અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. ઘરોમાં દીવા કે મીણબત્તીઓને પડદા અથવા સળગી શકે તેવી સામગ્રીથી દૂર રાખવા અને રસોડામાં પણ તેલ તથા કપડાં બાબતે સાવધાની રાખવી. ફટાકડા માટે જાહેર આયોજનો જ સૌથી સુરક્ષિત માધ્યમ છે. ઘરે ફોડવાના ફટાકડા માટે યોગ્ય વેપારી પાસેથી ખરીદી કરવી, બાળકો અને પાલતુ પ્રાણીઓની કાળજી લેવી અને સ્મોક એલાર્મ કાર્યરત રાખવા જરૂરી છે.
સાવચેતી, જવાબદારી અને પરસ્પર સમભાવ સાથે ઉજવાયેલા નવરાત્રિ, દશેરા અને દિવાળી જ સાચા અર્થમાં સાર્થક, સુરક્ષિત અને આનંદદાયક ઉત્સવ બની રહેશે.
