બેઈજિંગઃ હંમેશા ભારત વિરોધી રાગ આલાપતા ચીને બદલાતાં વૈશ્વિક રાજકીય માહોલ વચ્ચે પોતાનો સૂર બદલી ભારત સાથેના સંબંધો સુધારવાની તરફેણ કરી છે. ભારત અને ચીન એકબીજાના હરીફ નહીં, બલ્કે ભાગીદાર હોવાનું જણાવતાં ચીનના એક અધિકારીએ એકબીજાના વિકાસ માટે સહયોગ વધારવાની અપીલ કરી છે.
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં જ ભારત અને ચીન, એમ બંને દેશો સાથે નિકટના સંબંધો જાળવી રાખવાના તેમના પ્રયાસો મુદ્દે કરેલાં નિવેદન અંગે પ્રતિક્રિયા આપતાં ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિઆને જણાવ્યું હતું કે, બંને દેશોએ એકબીજાના વિકાસની તકોને ઉજાગર કરી યોગ્ય વ્યૂહાત્મક દ્રષ્ટિકોણ જાળવી રાખવો જોઈએ. લિને વધુમાં જણાવ્યું હતું કે, ભારત અને ચીન વચ્ચે સરહદનો મામલો અત્યારે શાંત છે અને બંને દેશો વચ્ચે સૌહાદપૂર્ણ મંત્રણાઓ થઈ રહી છે. ભારત, ચીન અને રશિયા વચ્ચેના સંબંધો અંગે લિને જણાવ્યું હતું કે, ત્રણે ઉભરતા અર્થતંત્રો છે. ત્રણેય દેશો વચ્ચે મજબૂત સંબંધો ત્રણેય દેશોના હિતમાં હોવાની સાથે સાથે જ, પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા માટે અનુકૂળ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
ભારત-પાક. સંવાદ દ્વારા મતભેદો દૂર કરે: ચીન
ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને શસ્ત્ર સહિતની ટેકનિકલ સહાય પૂરી પાડવા અંગે ભારતની ચિંતા અંગેના એક પ્રશ્નના ઉત્તરમાં લિન જિઆને જણાવ્યું હતું કે, ચીને અનેક પ્રસંગે ભારત અને પાકિસ્તાન સંબંધો અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે.
ભારત અને પાકિસ્તાન પરસ્પર સંવાદ દ્વારા તેમની વચ્ચેના મતભેદો દૂર કરી પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા જાળવે તે બાબતનું અમે સમર્થન કરીએ છીએ.

