અમદાવાદઃ અજાણ્યા દેશમાં મુશ્કેલી આવે અને ઘરે પાછા આવવાના તમામ રસ્તા બંધ થઈ જાય, ત્યારે એક નાનકડી મદદ પણ મહત્ત્વની સાબિત થાય છે. મિડલ ઇસ્ટમાં યુદ્ધ ફાટી નીકળતાં દુબઈમાં ફ્લાઇટ્સ રદ થવાથી ઘણા ભારતીય પરિવારો અટવાયા છે. વધતાં હોટેલનાં બિલ અને ચિંતાએ તેમને માનસિક રીતે તોડી નાખ્યા છે, આવા સમયે વૈષ્ણવ સંઘ UAEની ટીમ તેમની મદદે આવી છે.
દ્વારકેશ લાલજીની પ્રેરણાથી વૈષ્ણવ સંઘ UAEની ટીમે હજારો કિલોમીટર દૂર પરદેશમાં માનવતાનો દીવો પ્રગટાવ્યો છે. જેની હૂંફ અહીં ભારતમાં બેઠેલા પરિવારો સુધી પહોંચી રહી છે. વૈષ્ણવ સંઘ UAEએ દુબઈમાં ફસાયેલા પ્રવાસીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા કરી, સાથે જ સવારના યોગથી લઈને રાતની અંતાક્ષરી અને ફિલ્મો સુધી વૈષ્ણવ સંઘે એવું વાતાવરણ ઊભું કર્યું કે ડરેલા ચહેરાઓ પર ફરી સ્મિત આવ્યું છે.
સોશિયલ મીડિયા પોસ્ટ મુકાઈ
વૈષ્ણવ સંઘ યુએઈના નિખિલ સાયાણીએ કહ્યું કે, શરૂઆતના તબક્કે અમે ફક્ત 300 લોકો માટે વ્યવસ્થા કરી હતી. જેમાં સૂવા અને ખાવા-પીવા માટેની સુવિધા હતી. જો કે હવે 600 લોકો માટેની સુવિધા ઊભી કરાઈ છે. સંખ્યા વધવા લાગી એટલે અમારી પાસે જે ખુલ્લી જગ્યા હતી ત્યાં બહાર મોટા ટેન્ટ તાત્કાલિક ઊભા કરાવડાવ્યાં અને ત્યાં પણ પથારી, કૂલર અને ફેનની વ્યવસ્થા કરી.
ફોન આવતાં જ મદદ માટે ટીમ પહોંચે
સાયાણીએ કહ્યું, ઘણા લોકોને ફાઇનાન્શિયલ ઇશ્યૂ થયા, જેના કારણે તેઓ હોટેલમાં પૈસા ભરી શકે તેમ નહોતા. આવા ઘણા લોકોએ મદદ મેળવવા માટે અમને કોલ કર્યા હતા. અમે વન બાય વન બેચ બનાવીને જ્યાં-જ્યાંથી કોલ આવ્યા હતા, ત્યાં
જઈને તેમને પિક કરીને અમારા લોકેશન સુધી લાવ્યા હતા.

