લંડનના નાગરેચા પરિવારનું રૂા.૧૦૮ કરોડનું અતૂલ્ય દાન

- કોકિલા પટેલ Wednesday 11th March 2026 09:17 EDT
 
 

રાજકોટના પડધરી તાલુકાના રામપર ગામે ૩૦ એકરમાં તૈયાર થયેલ "સદભાવના વૃધ્ધાશ્રમ"નું ગયા સોમવારે પૂજ્ય મોરારીબાપુના વરદ હસ્તે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે ૪૦૦ થી ૪૫૦ કરોડના ખર્ચે તૈયાર થયેલા એશિયાના આ સૌથી વિશાળ વૃધ્ધાશ્રમ "સદભાવના' માટે ઇસ્ટ લંડનસ્થિત ઉદારમના વિનુભાઇ તથા હસુભાઇ નાગરેચા પરિવારે £૧૦ મિલિયન (રૂા.૧૦૮ કરોડ)નું વિપુલ દાન અર્પણ કર્યું છે. આ માવતર સેવા યજ્ઞ "સદભાવના" વૃધ્ધાશ્રમના લોકાર્પણ વિધિમાં નાગરેચા પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યો હતો.
વિનુભાઇ તથા હસુભાઇ નાગરેચાના બહેન ઉમીબહેન રાડિઆએ "ગુજરાત સમાચાર"ને જણાવ્યું કે અમારી આ સખાવત નિરાધાર, અશક્ત, બિમાર વૃધ્ધ વડીલોના જતન માટે તેમજ માવતરની ધરતી પર હરિયાળી લાવે એવા વૃક્ષોના વાવેતર અને જતન માટે વપરાશે.
આ અદ્યતન વૃધ્ધાશ્રમમાં અંદાજે ૫, ૪૦૦ નિરાધાર વૃધ્ધ, અશક્ત, બિમાર વડીલો એક છત હેઠળ માનભેર રહી શકશે. આ વૃધ્ધાશ્રમમાં રહેવા સાથે અત્યાધુનિક હોસ્પિટલની સુવિધા પણ ઉપલબ્ધ કરાઇ છે. આ લોકાર્પણ પ્રસંગે પૂજ્ય મોરારીબાપુએ નાગરેચા પરિવારની આ ઉદારતાને બિરદાવતાં હ્દયપૂર્વક આશીર્વાદ પાઠવ્યા હતા. "માતા પિતાની સેવા એ જ પરમેશ્વરની સેવા" અને સેવા, સંસ્કાર અને સમર્પણ"ના ઉમદા ભાવને જોઇ પ્રેમવશ પૂ. મોરારીબાપુએ હસુભાઇ નાગરેચા પરિવારને લંડનમાં રામકથા કરવાનું જાહેર કર્યું હતું.


comments powered by Disqus