ચંડીગઢઃ પંજાબના રાજકારણમાં એક મોટો ઊલટફેર જોવા મળ્યો છે. મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માનના પિતરાઈ ભાઈ જ્ઞાનસિંહ માન ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ ગયા છે. સોમવારે ચંદીગઢસ્થિત ભાજપ કાર્યાલયમાં પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડ અને હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીની હાજરીમાં તેમણે પક્ષનું સભ્યપદ લીધું હતું. આવતા વર્ષે પંજાબમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલાં આ ઘટનાક્રમને આપના ગઢમાં ભાજપનું મોટું ગાબડું મનાય છે. મુખ્યમંત્રીના કાકા બલજિંદરસિંહ પણ ભાજપમાં સામેલ થઈ ગયા છે, જેની અસર આગામી ચૂંટણીનાં સમીકરણો પરપડી શકે છે.

