હનોઈઃ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ વિયેતનામના હોન મે રુટ દ્વીપથી એન થોઈ પોર્ટ જઈ રહેલા ભારતીય પ્રવાસીઓની સ્પીડ બોટ પલટી ગઈ. કિનારાથી 400 મીટર પહેલાં થયેલી દુર્ઘટનામાં 15 ભારતીયનાં મોત થઈ ગયાં છે, જ્યારે 17 લોકોને બચાવી લેવાયા છે. બે લોકોની હાલત ગંભીર છે. મૃતકોમાં 13 પુરુષ અને 2 મહિલા છે. મોટાભાગના પ્રવાસીઓ આંધ્રપ્રદેશ અને તામિલનાડુના હતા. સ્પીડ બોટના તમામ 4 ફૂ મેમ્બર સુરક્ષિત હોવાનું કહેવાય છે. પીએમ નરેન્દ્ર મોદીએ ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, હનોઈ સ્થિત ભારતીય દૂતાવાસ પીડિતોને તમામ સંભવ મદદ પહોંચાડી રહ્યું છે.
સ્પીડ બોટ પલટી જવાનો રેડિયો મેસેજ મળ્યા બાદ તરત જ કોસ્ટગાર્ડની બચાવ નૌકાઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને 5 મિનિટમાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ થઈ ગયું હતું. રેસ્ક્યુમાં સામેલ એક બોટ ઓનરે જણાવ્યું કે તેજ પવનના કારણે બોટની નીચે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં ઘણી મુશ્કેલી પડી હતી. ઘટનાસ્થળ વિયેતનામના સૌથી મોટા ફુ ક્યુઓક દ્વીપમાં આવે છે, જે કોરલ રીફ અને વ્હાઈટ સેન્ડ બીચ માટે પ્રખ્યાત સ્પોટ છે.

