વેમ્બલી સ્થિત ૧૦૨ વર્ષનાં શાન્તાબા દેવલોક પામ્યાં

Wednesday 16th September 2026 09:16 EDT
 
 

ચાંગા ગામના મૂળવતની અને આફ્રિકાના યુગાન્ડા કંપાલા નજીક કિરીરી અને કવમ્પેમાં વર્ષો સુધી રહ્યા પછી હાલ વેમ્બલી સ્થિત પૂ. શાન્તાબહેન ગોેરધનભાઇ પટેલ તા ૧૨ સપ્ટેમ્બર, શનિવારે સવારે ૧૦૨ વર્ષની વયે દેવલોક પામ્યાં છે.
 ગત તા.૨૬ જૂન ૨૦૨૬ના રોજ ૧૦૨ વર્ષ પૂરાં કરી ૧૦૩માં પ્રવેશ કરનાર પૂ.શાન્તાબાને જાણવાનો એમની સાથે વાતો કરવાનો અમને લહાવો મળ્યો છે. (જે અમે અમારા આગામી "માતૃવંદના" વિશેષાંકમાં પ્રસિધ્ધ કરીશું) કંપાલા નજીક કવેમ્પેમાં એકલા હાથે ગ્રોસરી સ્ટોર ચલાવી પાંચ સંતાનોનો ઉછેર કરનાર બાહોશ મા શાન્તાબાએ કોઇ બાહ્ય ટેકા વગર મુશ્કેલભરી સામાજિક અને નાણાકીય પરિસ્થિતિઓ હોવા છતાં પરિવારની સંપૂર્ણ જવાબદારી લીધી અને બધા સંતાનોને નોંધપાત્ર શક્તિ અને દૃઢ નિશ્ચય સાથે આગળ લાવ્યા. બા ઉચ્ચ શિક્ષિત ન હતા, પરંતુ તેમની પાસે પ્રચંડ શાણપણ, હિંમત અને તેમના સંતાનો માટે શ્રેષ્ઠ શું છે તેની સ્પષ્ટ સમજ હતી. એક પછી એક, તેમણે પરિવારના સભ્યો માટે લંડન જવાની વ્યવસ્થા કરી જેથી તેઓનું ભવિષ્ય ઉજળું બનાવી શકે. લંડનમાં આવીને સંતાનો સાથે પૂ.શાન્તાબાએ પણ વિલ્સડનની ફેકટરીમાં કામ કર્યું.
દિર્ઘાયુ જીવન જીવીને પૂ.શાન્તાબાને તેમના પરિવારની ત્રણ પેઢીઓને મોટા થતા, સાથે રહેતા અને જીવનમાં આગળ વધતા જોવાનો તેમને અદભૂત સંતોષ મળ્યો. આટલું લાંબુ અને અર્થપૂર્ણ જીવન જીવ્યા પછી, તેમણે શાંતચિત્તે આ દુનિયા છોડી દીધી અને ઇશ્વર શરણ લઇ લીધું. . તેમના સમગ્ર જીવન દરમિયાન, કષ્ટમયી સંજોગોમાં બાએ ક્યારેય ભગવાનમાં વિશ્વાસ ગુમાવ્યો નહીં. ગમે તેટલા મુશ્કેલ સંજોગો હોય, તેઓ હંમેશા માનતા હતા કે ભગવાન તેમની સાથે છે અને હિંમતથી આગળ વધતાં રહ્યા. જેણે ઘણા પડકારોનો સામનો કર્યો અને છતાં જીવનભર મજબૂત, હિંમતવાન અને પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત રહે, ત્યારે એ નિર્મળ આત્માને વંદન કરવા ઘટે. એ પૂણ્યાત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિરશાંતિ આપે એવી ગુજરાત સમાચાર પરિવારની પ્રાર્થના. પૂ શાન્તાબા એમની પાછળ બે દિકરા રસિકભાઇ, અશોકભાઇ, દિકરીઓ હંસાબેન તથા રીનાબહેન અને જમાઇ કાઉન્સિલર હર્ષદભાઇ, શૈલેષભાઇ તથા પૌત્ર-પૌત્રીઓ, ભાણીઓ સહિત બહોળો પરિવાર છોડી ગયાં છે.
સદગતની અંતિમક્રિયા રવિવાર, તા.૨૦ સપ્ટેમ્બર, સવારે ૧૧.૦૦ વાગ્યે, વેસ્ટ ચેપલ, Breakspear Crematorium, Breakspear Road,GA4 7SJ; પ્રાર્થના સભા: શનિવાર, તા. ૧૯ સપ્ટેમ્બર બપોરે ૨.૦૦થી ૫.૦૦ ભજન ત્યારબાદ અલ્પાહાર. સ્થળ: શ્રી સત્તાવીશ પાટીદાર સેન્ટર. વધુ વિગત માટે સંપર્ક: હર્ષદભાઇ પટેલ 07737323600, રસિકભાઇ પટેલ 07932992192


comments powered by Disqus