ના. કોઈ વેપારી નહિ, પણ અદ્દલ રાષ્ટ્રીય રાજકારણનો તેજસ્વી નેતા. દેશમાં જ નહિ, વિદેશે પણ તેને માન-સન્માન આપવા પેનિસિલ્વિયાની યુનિવર્સિટીમાં તેના તમામ દસ્તાવેજો અને તેમના વિષેની નોંધ જળવાઇ છે. ટુરિસ્ટ બનીને કે નાના મોટા કવિ સંમેલનો કે પોતાના સમાજની પરિષદોમાં જાઓ ત્યારે ફિલાડેલ્ફિયાની 3420 વોલમાર્ટ સ્ટ્રીટ, છઠ્ઠા માળની મુલાકાત લેજો. ભારતની સ્વાતંત્ર્ય રાજનીતિ અને તેના નાયક-ખલનાયક-મહાનાયક સાથેના કાનજી દ્વારકાદાસના ગાઢ સંબંધો, તેમની સાથેના પત્રવ્યવહારો, સ્વલિખિત પુસ્તકોની સામગ્રી મળી રહેશે. અને ઓગણીસમી સદીના અંતિમ વર્ષોમાં તેમજ વીસમી સદીમાં ભારતવર્ષનો આત્મા જાગીને મુક્તિ-માર્ગે નીકળી પડ્યો હતો તેની ઝાંખી નજર સમક્ષ જીવંત થશે.
ઈંગ્લેન્ડના વાઇસરોયો, ચર્ચિલ સહિતના વડાપ્રધાનો, અમેરિકન રાજનીતિકારો, પત્રકારો, લેબર પાર્ટીના ધુરંધરો, ભારતમાં એની બિસેન્ટ, ગાંધીજી, બેરિસ્ટર મોહમ્મદઅલી ઝીણા, મદનમોહન માલવિયા, લોકમાન્ય તિલક, સર સૈયદ અહમદ ખાન, બદરૂદ્દીન તૈયબજી, દાદાભાઈ નવરોજી, ફિરોઝશાહ મહેતા, લાલા લાજપતરાય, બિપિનચંદ્ર પાલ, ગોપાલકૃષ્ણ ગોખલે, મોતીલાલ નેહરુ, મુહમ્મદ ઇકબાલ, આગાખાન સુલ્તાન મોહમ્મદ શાહ, ડો. આંબેડકર, સરદાર ભગતસિંહ, મોહમ્મદ કરીમ ચાગલા, ખલીકુજમા, હુસેન શાહિદ સુહરાવરદી, નવાબજાદા લિયાકત અલી, ફાતિમા ઝીણા, સરોજિની નાયડુ, પદ્મજા નાયડુ, વિઠ્ઠલભાઈ પટેલ, મુંબઈના પારસી, સરદાર વલ્લભભાઇ, પત્રકાર લુઈ ફિશર, સુભાષચંદ્ર બોઝ... આ બધા ભારત ભાગ્ય વિધાતાની આંધીમાં સક્રિય હતા. લોકોના ચિત્તમાં એક યા બીજી રીતે સ્થાપિત હતા.
આની વચ્ચે આપણો ગુજરાતી કાનજી દ્વારકાદાસ. ઝીણાના અંતરંગ મિત્ર, છેક વિદેશથી આવેલા પરમ રાષ્ટ્રભક્ત એની બિસેન્ટ, થિયોસોફીના અભ્યાસીઓ, હોમરૂલ આંદોલનના સ્થાપકોમાંના એક, મુંબઈની કામદાર ચળવળના મુખ્ય નેતા... કેટલી ભૂમિકા તેમણે ભજવી પણ કદી નેતાગીરીની ઝાકઝમાળની લાલસા ના રાખી. તેમની સક્રિયતા સ્વાધીન ભારત માટે હતી. તેને માટે બ્રિટિશ લેબર પાર્ટીના નેતા ડેવિડ ગ્રેહામ સાથે દોસ્તી કરી. એની બિસેન્ટની સાથે હોમરૂલમાં રહ્યા અને દેશભરમાં તેની શાખા ફેલાવી. ઈંગ્લેંડથી વકીલાત માટે આવેલા બેરિસ્ટર ઝીણાને મળ્યા. પ્રખર તાર્કિક, જિદ્દી અને રાજકીય ફલક પર શાનદાર ભૂમિકા ભજવવાના મહત્વાકાંક્ષી ઝીણાને સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ પ્રભાવી સંગઠન હોમરૂલ લીગમાં જોતર્યા. એટલું જ નહિ, બેરોનેટ દિનશા પેટિટની, હજુ તો અઢારમા વર્ષમાં પ્રવેશ કરી રહેલી પુત્રી રૂટી અર્થાત રતનબાઈનો હાથ માંગવાનું દુઃસાહસ ઝીણાએ કર્યું ત્યારે કાનજી એકલા ઝીણા-રૂટીની સાથે રહ્યા. એક મુસ્લિમ. વળી ઉમ્મર બેંતાળીસ વર્ષ, સામે પારસી દિનશા, દીકરી માંડ સોળ વર્ષની. મુસ્લિમ અને પારસી સમાજોનો પ્રચંડ વિરોધ, મૌલવી-મુલ્લાઓનો ગુસ્સો, દિનશાની પિતા તરીકે નારાજગી... આવા સંજોગોમાં ગુજરાતી મોહમ્મદ અલીને ગુજરાતી કાનજીનો સહયોગ મળ્યો હતો.
રૂટીની ટૂંકા જીવનની કહાણી શેક્સપિયરના નાટકની ટ્રેજેડી જેવી રહી. ઝીણા પોતાની રાજકીય મહત્વાકાંક્ષા અને વકીલાતમાંથી નવરા પડે નહિ અને પિતાના વૈભવી ઘરમાં રહેલી, બ્રિટિશ પદ્ધતિ અને પાર્ટીઓ, પોશાકો, નૃત્યો, પ્રવાસથી ટેવાયેલી આ યુવતી માટે ઝીણાની રાહ જોયા સિવાય કોઈ જિંદગી જ નહોતી. છતાં તેણે બરદાસ્ત કર્યું અને ભર્યા વસંતમાં પાનખરની જેમ વિદાય લીધી. તેમના જીવન ચરિત્રકારોએ લખ્યું છે તેમ દફનવિધિ (રૂટીનો તો પહેલેથી આગ્રહ હતો કે અગ્નિદાહ સાથે વિદાય મળે) સમયે ઝીણા ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા. મુંબઈમાં, મસ્કરન્સ માર્ગ પર સીતાફળ વાડીની સામે મઝગાંવ ઇલાકામાં આવેલા આરામબાગ સ્થિત ખોજા સંપ્રદાયની એક ઉપશાખા ઇમના અશરીના કબ્રસ્તાનમાં અંગ્રેજી અને ગુજરાતીમાં 20 ફેબ્રુઆરી, 1900 – 20 ફેબ્રુઆરી, 1929ની તખતી છે.
રાજકીય, વ્યક્તિગત, આધ્યાત્મિક અને મજદૂર વર્ગ સાથેની સક્રિયતાના સાત દશક વિતાવનાર કોણ હતા કાનજી દ્વારકાદાસ? ગુજરાતમાં તો કોઈ સંસ્થા કે સમાજે તેમને યાદ કર્યા હોવાનું બન્યું નથી. 1892માં તેમનો જન્મ. સમૃદ્ધ માતાપિતા. પિતા દ્વારકાદાસ ધરમશી. દ્વારકા જતાં એક નગર આવે છે, જામ સાહેબના નામે તે જામ ખંભાળિયા તરીકે જાણીતું. સૌરાષ્ટ્ર-કચ્છના ભાટિયાઓ વ્યાપારમાં સાહસિક એટલે દેશ-વિદેશ સુધી પહોંચ્યા, હાલારી ભાટિયાની ઉપાસના શ્રીનાથજીની. ડાકોર અચૂક જાય, આવા પરમ વૈષ્ણવ પરિવારમાં જન્મેલા કાનજીનું શિક્ષણ મુંબઈમાં. સૌમ્ય, હસમુખો, સંવેદનશીલ કાનજી ઘરબાર અને પરિવારનો જીવ નહોતો. 1897માં લોકમાન્ય તિલક રાજદ્રોહના આરોપસર પકડાયા ત્યારે તેમની જમાનત દ્વારકાદાસે આપી હતી. એ જમાનતની રકમ રૂ. 1,25,000 હતી.
કાનજીના મોટાભાઇ ત્રિકમદાસ ખ્યાત વકીલ અને જાણીતી મે. કાંગા એન્ડ કંપનીના ભાગીદાર હતા. બીજા ભાઈ જમનાદાસ કનૈયાલાલ મુન્શીના અખબાર ‘યંગ ઈન્ડિયા’માં પ્રકાશક બન્યા, પણ તે પછી આ અખબાર ગાંધીજીને સોંપી દેવાયું.
કાનજી એની બિસેન્ટને માતૃવત આદર અને પ્રેમ આપતા. તેનું એક સામયિક ‘ન્યુ ઈન્ડિયા’ હતું. એની બિસેન્ટને 1915માં રાજદ્રોહ માટે પકડાયાં ત્યારે કાનજી દ્વારકાદાસે પી.કે. તેલંગને શોધી કાઢ્યા અને સમયિકનું સુકાન તેમને સોંપ્યું. તેલંગના માધ્યમથી કાનજીનો પરિચય બેરિસ્ટર ઝીણા સાથે થયો. ઝીણા 42 વર્ષના, કાનજી 24 વર્ષના. શરૂમાં ગાંધીજીની અસહકાર ચળવળમાં કામ કર્યું પણ પછી લાગ્યું કે આ કોઈ પ્રભાવી આંદોલન નથી, તેને બદલે ઇંગ્લેન્ડમાં લેબર પાર્ટી સત્તા પર છે, તેની સાથે તાર્કિક મંત્રણા કરાયો તો સારાં પરિણામ આવે. ઝીણા પણ બંધારણીય વાટાઘાટોના આગ્રહી હતા,
કાનજી દેશ-વિદેશના રાજકીય, સાંસ્કૃતિક અને સામાજિક મહાનુભાવો, ચિંતકો, અને સક્રિય લોકોના સંપર્કમાં રહ્યા, જે.કૃષ્ણમૂર્તિથી વિઠ્ઠલભાઈ પટેલ, સરોજિની નાયડુથી ગાંધીજી, ભૂલાભાઈ દેસાઇથી ઝીણા... ઘણો મોટો ફલક હતો તેમનો. રૂટીની મથામણ અને હતાશાભરી જિંદગીમાં એકમાત્ર વડલાની જેમ બીમારી અને ઉદાસીનતાના માહોલને દૂર કરવાનો પ્રયાસ કરતા રહ્યા. ઝીણાના જીવનીકાર વી. બરનવાલે તેમના પુસ્તકમાં રૂટી-કાનજીના સંબંધને દ્રૌપદી-કૃષ્ણ જેવો નિર્દોષ અને દૈવી ગણાવ્યો છે.
રૂટી વિશે એકમાત્ર જીવન-કથા કાનજી દ્વારિકાદાસે લખી હતી ‘રુટી ઝીણા’ નામે માંડ 80 પાનાનું આ આધિકારિક પુસ્તક છે.

