ઢાકાઃ બાંગ્લાદેશના ગાયબાંધા જિલ્લામાં 82 ફૂટ ઊંચી રામ પ્રતિમાનો પ્રોજેક્ટ કટ્ટરપંથી દબાણ બાદ રોકી દેવામાં આવ્યો છે. આ મૂર્તિ શ્રી શ્રી રાધા ગોબિંદ અને કાલી મંદિર પરિસરમાં બની રહી હતી. મંદિર સમિતિએ તેને સાંપ્રદાયિક સૌહાર્દ જાળવી રાખવા માટે અસ્થાયી રોક ગણાવી છે, પરંતુ તેનું અસલી કારણ કટ્ટરપંથી સંગઠનોનું દબાણ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
પ્રોજેક્ટનો વિરોધ કરી રહેલાં સંગઠનોએ અપૂર્ણ બાંધકામ તોડી પાડવાની પણ માગ કરી છે. ઈમામ-ઉલમા પરિષદે પ્રોજેક્ટ રદ કરવા, ભવિષ્યમાં આવી કોઈ પણ પહેલ પર રોક લગાવવા અને ફન્ડિંગની તપાસ કરાવવાની માગ કરી છે. આ નિર્માણ 2025માં ખાનગી ફન્ડિંગથી શરૂ કરવામાં આવ્યું હતું. પરિસરમાં પહેલાથી જ 100થી વધુ દેવી-દેવતાની મૂર્તિઓ છે, જેમાં 30 ફૂટની શિવપ્રતિમા અને 53 ફૂટની કૃષ્ણપ્રતિમા પણ સામેલ છે. રામ પ્રતિમાને એશિયાની સૌથી મોટી રામ પ્રતિમા તરીકે રજૂ કરાઈ રહી હતી.

