યુરોપથી વેચાતાં શસ્ત્રોનો ભારત વિરુદ્ધ વર્ષોથી ઉપયોગઃ એસ. જયશંકર

Wednesday 17th June 2026 06:29 EDT
 
 

હેલસિન્કીઃ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પશ્ચિમી દેશોની બેવડી નીતિને વધુ એક વખત ખુલ્લી પાડી દીધી છે. નિલેન્ડમાં આયોજિત કુલતારાન્તા ટોક્સ દરમિયાન જ્યારે ભારત અને રશિયાના સંબંધો પર સવાલો ઉઠાવાયા તો જયશંકરે ખૂબ જ તીખા અને સ્પષ્ટ અંદાજમાં યુરોપને અરીસો ધરી દીધો. તેમણે સાફ કહ્યું કે, કોઈપણ યુરોપીય દેશ પર આજ સુધી ભારતમાં બનેલાં હથિયારોથી હુમલો થયો નથી, પરંતુ યુરોપથી વેચાયેલાં હથિયારોનો વર્ષોથી ભારતની વિરુદ્ધ ઉપયોગ થતો રહ્યો છે. આવા સમયમાં ભારતને નૈતિકતાના પાઠ ભણાવવાનો કોઈને અધિકાર નથી.
‘ઊભરતી શક્તિઓ અને નવી ભૂ-રાજકીય સ્પર્ધા’ વિષય પર ચર્ચામાં જયશંકરને પૂછવામાં આવ્યું કે, શું યુક્રેન યુદ્ધ પછી ભારત રશિયા પ્રત્યે જરૂર કરતાં વધારે નરમ થયું છે અને શું તે રશિયન ક્રૂડ પર વધારે નિર્ભર થઈ ગયું છે?
આ સવાલ પર જયશંકરે ખૂબ જ સચોટ અને ધારદાર અંદાજમાં જવાબ આપ્યો હતો અને ઉમેર્યું હતું કે. આ માત્ર આજની વાત નથી પરંતુ ઘણા વર્ષોથી ચાલી આવતી હકીકત છે. ભારતે ક્યારેય યુરોપની સુરક્ષાને ખતરામાં ન મૂકી હોવા છતાં યુરોપ ભારતની નીતિઓ પર સવાલ ઉઠાવવાનું ચૂકતું નથી. વિદેશમંત્રીએ રશિયા પાસેથી તેલ ખરીદવાના ભારતના નિર્ણયનો મજબૂતાઈથી બચાવ કરવા સાથે સ્પષ્ટ કર્યું હતું કે ભારતની ઊર્જા નીતિ કોઈ રાજકીય દબાણથી નહીં પણ ખર્ચ અને ઉપલબ્ધતાના આધારે નક્કી થાય છે.
યુક્રેન યુદ્ધ અને પ્રતિબંધો પછી વૈશ્વિક તેલ બજારની સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. યુરોપિયન દેશો મધ્ય-પૂર્વથી મોટા પ્રમાણમાં તેલ ખરીદી રહ્યા હતા, જે પરંપરાગત રીતે ભારતનો મુખ્ય સ્રોત રહ્યો છે. આ સ્થિતિમાં ભારત સામે રશિયા પાસેથી તેલ ખરીદવું એ એક વ્યવહારુ વિકલ્પ બની ગયો હતો.


comments powered by Disqus