લંડનઃ લંડનમાં નીસ્ડન સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે 15 ફેબ્રુઆરી -રવિવારના રોજ મહા શિવરાત્રિના પર્વની ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક પ્રવૃત્તિઓનું આયોજન કરાયું હતું. આખો દિવસ ચાલેલી ઉજવણીમાં ભક્તો, શુભેચ્છકો, સ્થાનિક સમુદાયના લોકોએ મોટી સંખ્યામાં મંદિરની મુલાકાત લીધી હતી. પર્વની ઉજવણી ઉપવાસ, પૂજા, ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર અને અન્નકૂટ ધરાવવા સાથે કરાઇ હતી. સ્વામીઓ અને ભક્તોએ શિવલિંગ પર પંચામૃત અર્પણ કરી બિલી પત્રો ચડાવ્યાં હતાં. આ પ્રસંગે સમગ્ર વિશ્વમાં માનવજાતની સુખાકારી, સુરક્ષા અને સફળતા માટે પ્રાર્થના કરાઇ હતી. હવેલી રિસેપ્શનમાં બરફનું શિવલિંગ તૈયાર કરાયું હતું, જે ભારતમાં યાત્રાધામ અમરનાથની યાદ તાજી કરાવતું હતું.

