લો... એક લાંબા સમય બાદ આપસૌ દ્વારા વધાવી લેવામાં આવેલા ગુજરાત સમાચારના ખાસ ઝૂમ કાર્યક્રમ ‘સોનેરી સંગત’ ફરીથી શરૂ થઈ ગયું છે. ફરીથી અવનવા વિષયો, ધર્મ, સમાજ અને દેશ-વિદેશના વિવિધ મુદ્દાઓ સાથે. 15 જાન્યુઆરીએ ગુરુવારે સોનેરી સંગતમાં લોહાણા મહાપરિષદ અને LIBF- (લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ) દ્વારા બ્રિટનમાં કરવામાં આવતાં વિવિધ કાર્યો અને મુંબઈમાં કરવામાં આવતાં વિશાળ આયોજન અંગે ચર્ચા કરવામાં આવી. આ સુંદર કાર્યક્રમમાં લોહાણા સમાજના 140 વર્ષ જૂના લોહાણા મહાપરિષદના પ્રેસિડેન્ટ અને LIBFના ચેરમેન સતિષભાઈ વિઠ્ઠલાણી, વિજયભાઈ કારિયા અને સુભાષભાઈ ઠકરાર ખાસ હાજર રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત કરતાં સંપાદક-તંત્રી સી.બી. પટેલે જણાવ્યું કે, લોહાણા જ્ઞાતિ આમ તો અલ્પસંખ્યક છે, પરંતુ સમાજ બંધારણમાં તેમનું ખૂબ મોટું યોગદાન છે. શિક્ષણ, વ્યવસાય, સિદ્ધિ, સહયોગ સખાવત, દેશપ્રેમ અને ધર્મપ્રેમમાં હંમેશાં લોહાણા જ્ઞાતિ અગ્રેસર રહી છે.
સી.બી. પટેલઃ સતિષભાઈ જણાવો કે, ‘મુંબઈમાં જિયો કોમ્પ્લેક્સમાં LIBFનું મોટું આયોજન કરાઈ રહ્યું છે, તેમાં કેટલો ખર્ચ આવશે? કારણ કે તમને કોઈ ધાર્મિક સંસ્થા કે સરકારનો સપોર્ટ નથી. તેમાં કોણકોણ આવી શકે?
સતિષભાઈ વિઠ્ઠલાણીઃ અમે લોહાણા વ્યવસાયિક પ્રજા છીએ. અમારા વડીલો એક જ લાઇનમાં જીવનસૂત્ર આપી ગયા તે છે, ‘સંનિષ્ઠા, સંગઠન, સેવા દ્વારા સિદ્ધિ.’ આ સૂત્ર દ્વારા કોઈપણ સિદ્ધિ આપણે મેળવી શકીએ છીએ. હું એવો પ્રેસિડેન્ટ હતો, જે 27 મુદ્દા સાથે આ પદ પર આવ્યો, મારા તમામ અનુગામીઓએ ખૂબ મહેનત કરી છે, તેથી જ આ સંસ્થા ટૂંક સમયમાં સફળતાપૂર્વક 75મા વર્ષે પ્રવેશ કરશે.
લોહાણા મહાપરિષદ ચેરિટેબલ સંસ્થા છે, જેથી બિઝનેસ કરવા નિયંત્રણ હોવાથી મહાપરિષદ હેઠળ અમે ‘લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ’- (LIBF) નામની બીજી કંપની બનાવી. તે એક સેક્શન-8 નોન-પ્રોફિટ કંપની છે. બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં સુભાષભાઈ અને વિજયભાઈની સાથે આંતરરાષ્ટ્રીય સમુદાયથી હાલમાં 18 ડાયરેક્ટર્સ છીએ. 2023માં યુગાન્ડામાં અમારો પ્રથમ કાર્યક્રમ હતો. અમે અહીં નાની શરૂઆત કરવાના હતા, પરંતુ ઇવેન્ટ ખૂબ જ સફળ રહી. અમે 22 દેશો અને 140 શહેરોમાંથી લગભગ 950 લોકોને એકત્ર કર્યા. મહત્ત્વની વાત એ છે કે, યુગાન્ડાના રાષ્ટ્રપતિ મુસેવેની ચાર કલાક હાજર રહ્યા હતા, સાથે યુગાન્ડા, રવાન્ડા, કોંગો, કેન્યા, તાન્ઝાનિયાના ઘણા મંત્રી અને ગુજરાતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. તે એક રીતે ખૂબ સફળ મીટિંગ હતી. તમે કહ્યું તેમ, તેને કોઈ ટેકો નહોતો - અમે કોઈની પણ મદદ વગર શરૂઆત કરી હતી, જેમાં સુભાષભાઈ અને વિજયભાઈએ ઘણી મહેનત કરી હતી.
ત્યારબાદ અમે વર્ષ 2024માં ગાંધીનગરમાં એક્ઝિબિશન કર્યું. ત્યાં પણ અમારી પાસે ઘણા સ્ટોલ અને સારાં સંમેલનો હતાં, જેમાં ગુજરાતના ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ, પૂર્વ ઇસરો ચીફ કિરણ રાવ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા. ત્યારબાદ 2025 માં અમે દુબઈમાં ખૂબ જ સફળ સંમેલન કર્યું. તેમાં ફરીથી 25 થી વધુ દેશોના 750 થી વધુ લોકોએ હાજરી આપી હતી. તે ત્રણ દિવસનું સંમેલન હતું અને તે ખૂબ જ સફળ રહ્યું હતું.
તે જ વખતે અમે જાહેરાત કરી હતી કે અમ મુંબઈમાં એક્સ્પો યોજીશું. પેવેલિયન 1, 2 અને 3 માં 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ આ એક્ઝિબિશન છે. આ ત્રણ દિવસમાં લગભગ 1,62,000 સ્ક્વેર ફૂટમાં આ એક્ઝિબિશન-કમ-કન્વેન્શન થવા જઈ રહ્યું છે. એક્ઝિબિશનમાં અમારી પાસે 250થી વધુ સ્ટોલ છે, જ્યાં લગભગ તમામ સ્ટોલ સોલ્ડ થઈ ચૂક્યા છે. અહીં અમે ગૃહઉદ્યોગમાં કામ કરતી બહેનોને નિઃશુલ્ક સ્ટોલ આપ્યા છે. એટલું જ નહીં, વિવિધ ગામોથી આવતી બહેનો માટે નિઃશુલ્ક રહેવાની અને પરિવહનની વ્યવસ્થા પણ કરાઈ છે, જેથી તેઓ તેમના ગૃહઉત્પાદને વિશ્વસ્તરે લઈ જઈ શકે.
સમાજ-જ્ઞાતિના દીકરા-દીકરીઓને ધ્યાને રાખી મેટ્રિમોનિયલ અમારા માટે અને દરેક સમાજ માટે બહુ મોટો પ્રશ્ન છે. તેને ઉકેલવા અમે મેટ્રિમોનિયલ માટે આખું પેવેલિયન બનાવ્યું છે અને મેટ્રિમોનિયલનું કામ કરતા તમામ લોકોને નિઃશુલ્ક સ્ટોલ આપી રહ્યા છીએ. અમે ઇન્ડિયન મર્ચન્ટ ચેમ્બર અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સ સાથે ભાગીદારી કરી છે. અમે લગભગ 20 કન્વેન્શન કરી રહ્યા છીએ, જેના માટે ગ્લોબલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, ગ્લોબલ ડોક્ટર્સ મીટ, ગ્લોબલ એડવોકેટ્સ મીટ, રિયલ એસ્ટેટ અને મોટાપાયે મહિલા સંમેલનને આમંત્રણ આપ્યું છે.
ખર્ચની વાત કરીએ તો ખર્ચ ઘણો છે, છતાં પહોંચી શકાય તેમ છે. બધાએ મહેનત કરી છે અને સ્વયંભૂ રીતે પૈસા એકઠા થયા છે. અહીં બધા જ લોકો આવી શકે છે. બધા જ વિચારોનું આદાનપ્રદાન કરે અને સહભાગી થાય. તે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે.
સુભાષ ઠકરારઃ સતિષભાઈ જિયો સેન્ટરમાં પ્રદર્શન માટે પ્રદર્શકોએ પ્રતિ સ્ક્વેર મીટર રૂ. 25 હજાર ચૂકવવા પડે છે, પરંતુ અહીં તેમને રૂ. 9 હજારનો વિશેષ દર મળી રહ્યો છે. પ્રદર્શકોને આટલો સબસિડાઇઝ્ડ દર આપવો કેવી રીતે શક્ય છે? સતિષભાઈ આપણા સ્પોન્સર્સ વિશે થોડી વાત કરો.
સતિષ વિઠ્ઠલાણી: આટલાં વર્ષોમાં આપણે જે ગુડવિલ ઊભી કરી છે તેનાથી આપણે આપણું શ્રેષ્ઠ આપી શકીએ છીએ. જ્યારે લોકોને સમજાયું કે આપણે નિઃસ્વાર્થ કામ કરીએ છીએ, ત્યારે પહેલા દિવસથી જ યુરો એક્ઝિમ બેન્ક - જે આપણા ધ્યાનમાં પણ નહોતી - તેણે અમુક રકમ આપવાનું નક્કી કર્યું અને ત્યારબાદ ટાઇટલ સ્પોન્સર તરીકે યથાવત્ રહી. તેવી જ રીતે નાસિકના દીપક ચાંદે આપણા ટાઇટલ સ્પોન્સર છે. પછી આપણી પાસે વિનમાર, A1 સ્ટીલ પાવર-બાય સ્પોન્સર છે. કેતનભાઈ કોટેચા, રશ્મિભાઈ ચતવાણી, ખ્યાતિ ગ્રૂપ અને વિજયભાઈ કારિયા, માધવાણી, મહેતા, સોમૈયા. મુંબઈના યુવરાજ ઠક્કર, પ્રવીણભાઈ કોટક (ઇસ્કોન ગ્રૂપ), દેવ ગ્રૂપ, એલ્ગોન-કેન્યા, વિમલભાઈ કંતારિયા, જોબન ગ્રૂપ અને કિશોરભાઈ જોબનપુત્રાએ પોતાની ક્ષમતા મુજબ ઘણી મદદ કરી છે. કુલ 26 લોકો છે, જેમણે ઉદારતા દાખવી છે.
આપણને જે 4,756 સ્ક્વેર મીટર નેટ એરિયા મળી રહ્યો છે તેમાંથી પણ આપણે 600-700 સ્ક્વેર મીટર મફત સ્ટોલ તરીકે આપી રહ્યા છીએ. એટલે સરેરાશ આપણે રૂ. 9000-9500માંથી માંડ આપણો ખર્ચ કાઢી શકીશું. પણ સંસ્થાનો વિચાર વ્યાપ વધારવાનો છે. હું આ તમામ સ્પોન્સર્સનો આભાર માનું છું અને ગણપતિ બાપ્પાને પ્રાર્થના કરું છું કે તેમને લાભ મળે અને સંસ્થાને મદદ કરવા બદલ આપણે તેમનો આભાર માનીએ છીએ.
સીબી પટેલ: સુભાષભાઈ ઠકરાર તમે આ બધું કેવી રીતે મેનેજ કરો છો?
સુભાષ ઠકરાર: હું લાંબા સમયથી ઇતિહાસ પર સંશોધન કરી રહ્યો છું. મને લાગે છે કે જો આપણે સમુદાયને ટેકો આપીશું, તો તે આગળ વધશે. આ LIBF તેનું એક ઉત્તમ ઉદાહરણ છે. યુગાન્ડા કેમ? મને લાગ્યું કે ગુજરાત અને ભારતના ઘણા લોહાણાઓએ આફ્રિકાનો અનુભવ નથી કર્યો. બીજું આપણા સમુદાયની મોટી પાર્ટીઓ જેમ કે માધવાણી, મહેતા, જોબનપુત્રા અને કોટેચા તે પ્રદેશમાં સફળ રહ્યા છે, તેથી તે પણ એક સારું ઉદાહરણ છે. જ્યારે સતિષભાઈ, વિજયભાઈ અને હું વાત કરતા હતા કે, પહેલું સંમેલન ક્યાં રાખવું? ત્યારે મારો તત્કાલ જવાબ હતો યુગાન્ડા, સુધીરભાઈ રૂપારેલિયાના રિસોર્ટમાં. બે અઠવાડિયામાં જ સતિષભાઈ યુગાન્ડામાં હતા. બે અઠવાડિયામાં જ તેઓ સુધીરભાઈ સાથે બેઠા અને નક્કી કર્યું કે આ જગ્યા આપણા માટે યોગ્ય છે.
સી.બી. પટેલ: વિજયભાઈ જો તમે તમારો પરિચય આપી શકો અને તમારા વિશે વાત કરી શકો, તો હું ઘણો આભારી રહીશ.
વિજય કારિયા: તે નસીબની વાત છે કે હું થોડાં પ્રદર્શનો અને સંમેલનો કરી શક્યો છું. મેં કરેલાં પ્રદર્શનો પૈકી એક આજે વિશ્વનું સૌથી મોટું ઇલેક્ટ્રિકલ પ્રદર્શન છે - ‘ઇલેક્રામા’ - જેમાં 1,20,000 થી વધુ લોકોની અવરજવર હોય છે. હું લગભગ 15-17 વર્ષથી ઇલેક્રામાની આયોજક સમિતિ સાથે જોડાયેલો છું, પછી મેં ચેરમેન તરીકેનો હોદ્દો સંભાળ્યો. મેં ચાર્જ લીધો ત્યારે અગાઉના ઇલેક્રામામાં લગભગ 4-5 કરોડનો સરપ્લસ (વધારો) હતો. મેં તેને ગ્રેટર નોઇડામાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો, જે આજે ભારતમાં સૌથી મોટું એક્ઝિબિશન ગ્રાઉન્ડ છે. લોકોએ મને કહ્યું કે તે ભરાશે નહીં. દરરોજ અમે મંત્રીઓને બોલાવતા. આખો ડાયસ (મંચ) મંત્રીઓ અને ભારતના ઉપરાષ્ટ્રપતિથી ભરેલો હતો. તેનું અંતિમ પરિણામ એ આવ્યું કે આપણને એવો વધારો (સરપ્લસ) મળ્યો જે પાછલા સાત ઇલેક્રામાના કુલ વધારાની બરાબર હતો - રૂ. 27 કરોડનો સરપ્લસ.
જેમ સતિષભાઈએ યુગાન્ડા વિશે કહ્યું - આપણે કદાચ 100 લોકોના વિચાર સાથે શરૂઆત કરી હતી અને આપણે 950 પર પહોંચ્યા. તે મારા માટે પણ શીખવાનો બહુ મોટો અનુભવ હતો. જ્યારે તમારી પાસે સતિષભાઈ અને સુભાષભાઈ જેવા માર્ગદર્શક હાથ હોય, ત્યારે તમે મહાન અંતર કાપવા માટે બંધાયેલા છો. સતિષભાઈ ખૂબ જ મહાન રિલેશનશિપ મેનેજર છે અને તેઓ ખૂબ જ મક્કમ છે. સોનેરી સંગતમાં લોહાણા મહાપરિષદ અને LIBFનાં વિવિધ કાર્યો જાણ્યા બાદ પૂજાબહેન રાવલ દ્વારા કાર્યક્રમમાં હાજર તમામનો આભાર માની સમાપનવિધિ કરાઈ હતી.

