જિનેવાઃ પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK)માં પાકિસ્તાની સરકાર સામે ઉગ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. જેમાં ઘણા લોકોનાં મોત પણ થયાં છે. પીઓકેમાં ચાલી રહેલી અશાંતિ પર હવે સંયુક્ત રાષ્ટ્રોએ પાકિસ્તાનને આકરી ફટકાર લગાવી છે અને લોકોના મોતની તપાસ કરાવવા કહ્યું છે. જિનેવાથી જાહેર કરાયેલા નિવેદનમાં કહેવાયું છે કે, સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર હાઇકમિશનર વોલ્કર તુર્કએ આ મહિનાના અંતમાં યોજાનારી પ્રાદેશિક ચૂંટણી પહેલાં પીઓકેમાં ફેલાયેલી અશાંતિ વચ્ચે શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. નિવેદન મુજબ, જૂનથી અત્યાર સુધીમાં ઘણા લોકોના મોતની માહિતી મળી છે. આમાં મોટાભાગના પ્રદર્શનકારીઓ છે, જ્યારે કેટલાક કાયદો અને વ્યવસ્થા જાળવતી એજન્સીઓના કર્મચારીઓ પણ સામેલ છે. તુર્કે અશાંતિ દરમિયાન થયેલા મોતના તમામ કિસ્સાની તાત્કાલિક. ગહન અને નિષ્પક્ષ તપાસ કરાવવાની માગ કરી છે.
12 પ્રદર્શનકારીઓને ગોળીઓથી વીંધ્યા
પાક.એ મુઝફ્ફરાબાદમાં પ્રદર્શન કરતા પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હતી. જેમાં 12 લોકોનાં મોત થયાં છે અને 12થી વધુ લોકોને ઇજા પહોંચી છે. પ્રદર્શનકારીઓના હુમલામાં સલામતી દળોના બે જવાનો પણ મોતને ઘાટ ઉતારી દેવાયા છે.

