ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના સંરક્ષણમંત્રી ખ્વાજા આસિફે સિંધુ જળસંધિ સ્થગિત રહેવા અંગે ભારતને ધમકી આપી છે. પાકિસ્તાની ચેનલ ARY ન્યૂઝ સાથેની વાતચીતમાં ખ્વાજા આસિફે કહ્યું કે, જો અમને લાગશે કે અમારી રાષ્ટ્રીય સુરક્ષાને ખતરો છે અને પાણી પણ અમારી સુરક્ષાનો એક ભાગ છે, તો અમે ચોક્કસપણે ભારત વિરુદ્ધ યુદ્ધ કરીશું.
ખ્વાજા આસિફે એમ પણ કહ્યું કે, જો ભારત પાકિસ્તાન માટે પાણીની ઉપલબ્ધતાને ઝડપથી અસર કરવાનો પ્રયાસ કરતું જોવા મળશે તો લશ્કરી કાર્યવાહી પર વિચાર કરી શકાય છે. એપ્રિલ 2025માં પહલગામ આતંકી હુમલામાં 26 લોકોનાં મોત બાદ ભારતે 1960ની સિંધુ જળસંધિને સ્થગિત કરી દીધી હતી. ભારતનું કહેવું છે કે જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પાર આતંકવાદ વિરુદ્ધ નક્કર કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી સંધિ પુનઃસ્થાપિત કરાશે નહીં.

